Ravindra Jadeja vs CSK: રવિન્દ્ર જાડેજા અને CSK વચ્ચે બ્રેક-અપ ફાઈનલ? સ્ટાર ઓલરાઉન્ડરે ફ્રેન્ચાઈઝી સંબંધિત તમામ સોશિયલ મીડિયા પોસ્ટ હટાવ્યા
Cricket : IPL 2022 ની મેગા હરાજી પહેલા CSK દ્વારા રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને 16 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો. જાડેજાને ટીમની કપ્તાની પણ સોંપવામાં આવી હતી પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો ન હતો.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 2022 ટીમ ઈન્ડિયા (Team India) ના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) માટે ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. આઈપીએલની 15મી સીઝનની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) એ પણ ધોની (MS Dhoni) એ કેપ્ટનશીપ છોડ્યા બાદ રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યો હતો. પરંતુ જાડેજા કેપ્ટનશિપમાં શાનદાર પ્રદર્શન કરી શક્યો ન હતો. તેના પછી એમએસ ધોનીએ છેલ્લી કેટલીક મેચોમાં ફરીથી કેપ્ટનશિપની જવાબદારી સંભાળી હતી. આટલું જ નહીં જાડેજા ઈજાના કારણે CSKની બાકીની મેચોમાંથી પણ બહાર હતો.
હવે એવું લાગે છે કે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ચેન્નાઈ સુપર કિંગ્સ કેમ્પમાં પાછા જવાના મૂડમાં નથી. રવિન્દ્ર જાડેજા આગામી IPL સિઝનની શરૂઆત પહેલા હરાજીમાં ઉતરે તેવી પૂરી શક્યતા છે. જાડેજા અને CSK પહેલાથી જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકબીજાને અનફોલો કરી ચૂક્યા છે.
છેલ્લા 3 વર્ષની પોસ્ટ કરી ડીલિટ
હવે રવિન્દ્ર જાડેજાએ શુક્રવારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી છેલ્લા ત્રણ વર્ષથી Chennai Super Kings ની તમામ પોસ્ટ હટાવી દીધી છે. આ દર્શાવે છે કે ખેલાડી અને ફ્રેન્ચાઈઝી વચ્ચેના સંબંધો ખૂબ જ બગડી ગયા છે. રવીન્દ્ર જાડેજાના નજીક ના એક સૂત્રએ સ્પોર્ટ્સ વેબસાઈટને જણાવ્યું કે, ‘હા, તે ખૂબ જ પરેશાન અને દુખી છે. કેપ્ટનશિપ નો મુદ્દો વધુ સારી રીતે હેન્ડલ કરી શકાયો હોત. બધું ખૂબ જ અચાનક થયું. જે રીતે વસ્તુઓ આકાર થઇ રહી હતી તે કોઈપણ માણસને નુકસાન પહોંચાડશે.
16 કરોડમાં જાડેજા રિટેન થયો હતો
2012ની હરાજીમાં CSK સાથે જોડાયા બાદ જાડેજાએ આ ટીમ સાથે કુલ દસ વર્ષ વિતાવ્યા હતા. આ પ્રવાસ દરમિયાન જાડેજાએ CSK સાથે બે IPL ટાઇટલ જીત્યા હતા. તો તે રમતના શ્રેષ્ઠ ઓલ રાઉન્ડરોમાંના એક તરીકે પોતાને સ્થાપિત કરવામાં સક્ષમ હતો. IPL 2022 ની મેગા હરાજી પહેલા 31 વર્ષીય રવિન્દ્ર જાડેજાને ફ્રેન્ચાઇઝીએ 16 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો.
આઈપીએલ 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સે જાડેજાની કપ્તાની હેઠળ તેમની આઠમાંથી છ મેચ ગુમાવી હતી. આ સમયગાળા દરમિયાન રવિન્દ્ર જાડેજાએ પણ તેનું ફોર્મ ગુમાવ્યું હતું અને તે કેપ્ટન તરીકે માત્ર 111 રન બનાવવા સિવાય ત્રણ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.