Arun Lal એ બંગાળ ક્રિકેટ ટીમના કોચ પદેથી આપ્યું રાજીનામું, ટીમ વિશે કહી આ મોટી વાત
Cricket : બંગાળ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપ્યા બાદ અરુણ લાલે પોતાની પ્રતિક્રિયા આપી છે. સાથે જ તેણે બંગાળની ટીમને લઈને પણ મોટી ભવિષ્યવાણી કરી છે.
અરુણ લાલ (Arun Lal) એ બંગાળ ક્રિકેટ ટીમ (Bengal Cricket Team) ના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપી દીધું છે. તમને જણાવી દઇએ કે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અરુણ લાલ છેલ્લી 3 સીઝનથી બંગાળની ટીમ સાથે સંકળાયેલા હતા. પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ અરુણ લાલે કહ્યું કે, બંગાળની ટીમે છેલ્લા ઘણા સમયથી વધુ સારું પ્રદર્શન કર્યું છે અને તે યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. ભૂતપૂર્વ ભારતીય ખેલાડીનું માનવું છે કે ભલે તે ટીમ સાથે હાલ જોડાઇ નથી રહ્યા. પણ તે પોતાની જાતને સમય આપવા માંગે છે. ઉપરાંત અરુણ લાલ માને છે કે બંગાળ ભારતીય સ્થાનિક ક્રિકેટમાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે અને આગામી દિવસોમાં ટ્રોફી જીતશે.
બંગાળ ટીમ ઘણી સારી સ્થિતિમાં છેઃ અરુણ લાલ
અરુણ લાલ (Arun Lal) એ કહ્યું કે, સમય સાથે સ્પર્ધા વધુ કઠિન બની રહી છે. એક ઉદાહરણ આપતાં તેણે કહ્યું કે જે ટીમ ગત સિઝનમાં સેમિ ફાઇનલમાં પણ પહોંચી શકી ન હતી તે ટીમ આ સિઝનમાં ફાઇનલિસ્ટ હતી. તેમણે કહ્યું કે આ કામ સરળ નથી. લગભગ 9 મહિના, 24 કલાક, સાતેય દિવસ બહાર રહેવું પડે છે. બંગાળ સારું કરી રહ્યું છે અને સાચી દિશામાં આગળ વધી રહ્યું છે. અરુણ લાલે વધુમાં જણાવ્યું હતું કે બંગાળની ટીમ છેલ્લી બે સિઝનમાં નોકઆઉટમાં પહોચી હતી. તેથી હું માનું છું કે આ ટીમ ઘણી સારી સ્થિતિમાં છે.
હું ખુદને આરામ આપવા માંગુ છુંઃ અરુણ લાલ
નોંધનીય છે કે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અરુણ લાલે 16 ટેસ્ટ મેચો સિવાય 13 વનડેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. બંગાળના કોચ પદેથી રાજીનામું આપ્યા બાદ તેણે કહ્યું કે, બંગાળ માટે આ શાનદાર પ્રદર્શન હતું અને મેં મારા સમયનો પૂરો આનંદ માણ્યો હતો. આવનારા દિવસોમાં હું આ વસ્તુને મિસ કરીશ. આ એક એવું કામ છે જેમાં તમારી પાસેથી ઘણી મહેનતની જરૂર છે. પરંતુ હું મારી જાતને આરામ આપવા માંગુ છું. તેણે વધુમાં કહ્યું કે, મને ક્રિકેટમાં ઘણી રુચી છે. સાથે જ તેણે કહ્યું કે બંગાળની ટીમ (Bengal Ranji Team) જલ્દી જ ટાઇટલ જીતવામાં સફળ રહેશે.