ENG vs IND: રાહુલ દ્રવિડને હાર બાદ ‘બેજબોલ’ પર પૂછાયો પ્રશ્ન, જાણો ટીમ ઈન્ડિયાના કોચે રિપોર્ટરને શું કહ્યું?
India vs England Test: એજબેસ્ટન ટેસ્ટમાં ભારતની હાર બાદ મુખ્ય કોચ રાહુલ દ્રવિડને ઈંગ્લેન્ડની ટીમના 'બેજબોલ ક્રિકેટ' વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, અને તેણે ખૂબ જ રમુજી જવાબ આપ્યો હતો.
એજબેસ્ટન ખાતે રમાયેલી ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચેની ટેસ્ટના પ્રથમ ત્રણ દિવસમાં ટીમ ઈન્ડિયા (Team India) નો દબદબો રહ્યો હતો. પરંતુ છેલ્લા 2 દિવસમાં ઈંગ્લેન્ડે આખી રમત બદલી નાખી અને આક્રમક ક્રિકેટ રમીને મેચને પોતાની મુઠ્ઠીમાં લઈ લીધી. મેચમાં ઈંગ્લેન્ડની વાપસી બાદથી એક શબ્દ જે વારંવાર આવતો રહ્યો હતો તે હતો ‘બેજબોલ’. હવે સવાલ એ થાય છે કે આ શબ્દનો અર્થ શું છે અને કોણે આપ્યો અને શા માટે અને ઈંગ્લેન્ડની ટીમ સાથે તેનું શું જોડાણ છે? તેના વિશે વિગતે વાત કરીએ. તમને જણાવી દઈએ કે આ શબ્દ ઈંગ્લેન્ડના નવા કોચ બ્રેન્ડન મેક્કુલમે બનાવ્યો છે. બેજ તેનું હુલામણું નામ છે અને તે એક વિચાર છે. જેના દ્વારા ઈંગ્લેન્ડની ટીમ એશિઝ શ્રેણીની નિષ્ફળતા ભૂલી ગઈ છે અને પાછી પાટા પર આવી ગઈ છે.
આ કારણથી ભારત સામે ઈંગ્લેન્ડની જીત બાદ હેડ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid)ને પણ પ્રેસ કોન્ફરન્સમાં આને લઈને એક ફની સવાલ પૂછવામાં આવ્યો હતો. પરંતુ, દ્રવિડે પણ આના પર ખૂબ જ મજેદાર જવાબ આપ્યો. રાહુલ દ્રવિડ ઈંગ્લેન્ડ સામે એજબેસ્ટન ટેસ્ટમાં 7 વિકેટની હારનો સામનો કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યો હતો. તેમના એક ભારતીય પત્રકારે પૂછ્યું, લોકો ‘બેજબોલ’ વિશે ઘણી વાતો કરે છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે તેનાથી ક્રિકેટ સંપૂર્ણપણે બદલાઈ જશે. કોચ તરીકે તમે તેના વિશે શું વિચારો છો? આ સવાલ પર દ્રવિડ થોડીવાર મૌન રહ્યો. પછી તેણે હસીને કહ્યું મને ખબર નથી કે આ શું છે? આટલું બોલતાં જ આખો હોલ હાસ્યથી ગુંજી ઉઠ્યો. જોકે બાદમાં દ્રવિડે પોતાનો જવાબ પૂરો કર્યો હતો.
ઈંગ્લેન્ડની ટીમ કમાલનું ક્રિકેટ રમી રહી છેઃ રાહુલ દ્રવિડ
ઈંગ્લેન્ડની ટીમના વખાણ કરતા દ્રવિડે કહ્યું “હું ચોક્કસપણે કહીશ કે છેલ્લા કેટલાક મહિનામાં તેઓ જે પ્રકારનું ક્રિકેટ રમી રહ્યા છે તે ખરેખર શાનદાર છે. લક્ષ્યનો પીછો કરવામાં ઈંગ્લિશ ટીમ અસાધારણ રહી છે. ઈંગ્લેન્ડમાં ચોથી ઈનિંગ્સમાં લક્ષ્યનો પીછો કરવો ક્યારેય આસાન રહ્યું નથી. તમે કોઈપણ બ્રાન્ડનું ક્રિકેટ રમવા માંગો છો. તે ઘણા બધા ખેલાડીઓ પર નિર્ભર કરે છે અને તેઓ હાલમાં કેવા ફોર્મમાં છે તે પણ મહત્વનું છે. જ્યારે ખેલાડીઓ સારા ફોર્મમાં હોય છે, ત્યારે તમે દેખીતી રીતે વધુ સકારાત્મક ક્રિકેટ રમો છો. જેમ આપણે પ્રથમ દાવમાં કર્યું હતું. જેમાં જાડેજા અને પંત સારું રમી રહ્યા હતા.
બેજબોલ ક્રિકેટે બદલી ઈંગ્લેન્ડનું ભાગ્ય
હવે અમે તમને જણાવીએ કે બેજબોલના આધારે અંગ્રેજી ક્રિકેટ કેવી રીતે પાટા પર આવી. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ શ્રેણીમાં ઈંગ્લેન્ડને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ઈંગ્લેન્ડના કોચ અને કેપ્ટન બદલવાની માંગ ઉઠી હતી અને ત્યારબાદ બ્રેન્ડન મેક્કુલમ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કોચ બન્યા હતા. શરૂઆતમાં દરેકના મનમાં સવાલ હતો કે T20નો નિષ્ણાત બેટ્સમેન ટેસ્ટ ટીમને કેવી રીતે કોચ કરશે. પરંતુ જેવો તે કોચ બન્યો અને બેન સ્ટોક્સે કેપ્ટનશિપ સંભાળી કે તરત જ ઈંગ્લેન્ડની ટીમમાં પરિવર્તન આવ્યું અને તેના માટે ટેસ્ટ ક્રિકેટ બેજબોલ ક્રિકેટ બની ગયું અને તેનું પરિણામ બધાની સામે છે. ઈંગ્લેન્ડે 250 પ્લસના સ્કોરનો પીછો કરીને છેલ્લી ચાર ટેસ્ટ જીતી હતી.