T20 World Cup 2021: આફ્રિકન સ્ટાર બોલરે કહ્યુ, ટીમ ઇન્ડિયા એ પાંચ પ્રકારના બોલ ફેંકનારા બોલરને કેમ બહાર રાખી દીધો?
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમની ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) ટીમ પર સવાલો ઉઠી રહ્યા છે.
દક્ષિણ આફ્રિકાના અનુભવી સ્પિનર ઇમરાન તાહિરે (Imran Tahir) T20 વર્લ્ડ કપ 2021ની ટીમમાંથી યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ને બાકાત રાખવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ઈમરાન તાહિરે કહ્યું કે, આ લેગ સ્પિનર પોતાની બોલિંગથી થોડીવારમાં જ મેચનુ પાસુ પલટી શકે છે. સતત બે હાર સાથે T20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માં વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાની હેઠળની ટીમનું અભિયાન સારું રહ્યું નથી અને આ માટે ટીમની પસંદગી પર આંગળીઓ ઉઠાવવામાં આવી રહી છે. જેમાં ચહલને પસંદ ન કરવાની બાબત પણ સામેલ છે.
તાહિરે વર્ચ્યુઅલ મીડિયા વાતચીતમાં કહ્યું, ચહલ એક શાનદાર બોલર છે. હું અંગત રીતે તેને T20 વર્લ્ડ કપમાં જોવા માંગતો હતો. પરંતુ કમનસીબે તેને પસંદ કરવામાં આવ્યો ન હતો. માત્ર ગુગલિંગ કે લેગ બ્રેક જ નહીં, તે ટોપ સ્પિનર, ફ્લિપર અને સ્લાઈડર પણ કરે છે. લેગ સ્પિનરો મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. બેટ્સમેન હવે 10 વર્ષ પહેલા જે રીતે રમતા હતા તે રીતે રમી શકતા નથી. આનો શ્રેય તમામ સ્પિનરો અને ફિલ્ડિંગની સજાવટને જાય છે.
લેગ સ્પિનરો જીત નક્કી કરે છે-ઈમરાન તાહિર
ન્યુઝીલેન્ડના લેગ સ્પિનર ઈશ સોઢીએ રવિવારે ભારત સામે 17 રન આપીને રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિકેટ લીધી હતી. જેના માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તાહિરે કહ્યું, ભૂતકાળમાં અને લીગ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા માટે લેગ-સ્પિનર તરીકે રમ્યા બાદ, હું માનું છું કે લેગ-સ્પિનર 2-3 વિકેટ વહેલી તકે મેળવીને મેચનુ પાસુ પલટી શકે છે.
ચહલ કરતાં રાહુલ ચાહરને પસંદ કરાયો હતો
લેગ સ્પિનર રાહુલ ચાહરને યુઝવેન્દ્ર ચહલ ના સ્થાને પસંદગી આપવામાં આવી હતી. પરંતુ તેને પણ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે રમવાની તક મળી ન હતી. આ ટીમમાં સારું પ્રદર્શન કરનાર દરેક ટીમ લેગ સ્પિનર સાથે મેદાનમાં ઉતરી રહી છે. પરંતુ ટીમ ઈન્ડિયાએ બંને મેચમાં લેગ સ્પિનરને બહાર કર્યા હતા. પાકિસ્તાન પાસે શાદાબ ખાન છે જે સારું પ્રદર્શન કરી રહ્યો છે. શ્રીલંકા પાસે વાનેન્દુ હસરંગા છે, ઈંગ્લેન્ડ પાસે આદિલ રાશિદ છે.
રાશિદ ખાન અફઘાનિસ્તાન માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે. T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ લેગ સ્પિનર પર ઘણું ધ્યાન આપી રહી હતી. પરંતુ ટૂર્નામેન્ટ શરૂ થતાની સાથે જ તેની રણનીતિ અચાનક બદલાઈ ગઈ અને ટીમ હવે તેનો ફટકો સહન કરી રહી છે.