IND vs SL: ચેતન સાકરીયા માટે ‘કભી ખુશી કભી ગમ’ જેવી કહાની, IPLમાં 7 મેચ રમી સીધો ભારતીય ટીમમાં
ભાવનગર (Bhavnagar) ના ચેતન સાકરીયા (Chetan Sakariya) ને શ્રીલંકા પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો છે. સાકરિયા હવે ટીમ ઇન્ડીયા (Team India) નો સભ્ય બની ચુક્યો છે.
ભાવનગર (Bhavnagar) ના ચેતન સાકરીયા (Chetan Sakariya) ને શ્રીલંકા પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો છે. સાકરિયા હવે ટીમ ઇન્ડીયા (Team India) નો સભ્ય બની ચુક્યો છે. પરિવારની રીતે ચેતન માટે વર્ષ 2021 ખૂબ જ દુઃખદાયક રહ્યુ છે, તો સામે કરિયર માટે ખુબ જ શાનદાર રહ્યું છે. સાકરિયા માટે ‘કભી ખુશી કભી ગમ’ ની માફક 2021 ના છ માસ પસાર કર્યા છે.
વર્ષની શરુઆતે ભાઇને ગુમાવ્યો હતો, તેના ભાઇના દુઃખદ સમાચાર તેના પરિવારે તેનાથી કેટલાય દિવસો સુધી છુપાવ્યા હતા. કારણ કે, તે કરિયર પર ધ્યાન આપી શકે. ટીમમાં સમાવેશના સમાચાર જાણીને, પિતાને યાદ કરતા ચેતન સાકરીયાનુ દર્દ છલકાઇ ગયું હતું. મીડિયા રિપોર્ટસ મુજબ, ચેતન સાકરીયાએ એક વાતચીતમાં કહ્યું હતું કે, જો આજે તેના પિતા હયાત હોત તો તેને ટીમ ઇન્ડીયાની જર્સીમાં જોતા હોત.
IPLમાં રાજસ્થાને ખરિદ્યો
ચેતન સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યો હતો. એ દરમ્યાન બાયોબબલમાં હોઇ તેના પરિવારજનોએ ચેતનથી, ભાઇના આત્મહત્યાના સમાચાર છુપાવ્યા હતા. જોકે તે વાતનુ તેને ખૂબ દુ:ખ થયું હતું. IPL ઓકશનમાં ચેતન ને રાજસ્થાન રોયલ્સે 1.2 કરોડમાં ખરીદ કરી લીધો હતો. ત્યારે તેનો અને તેના પરિવારને ખુશીનો પાર રહ્યો નહોતો. જોકે ત્યાર બાદ તેણે તેના પિતા કોરોનામાં ગુમાવતા ફરી એકવાર ચેતન માટે દુઃખનુ આભ તૂટ્યું હતું.
અડધી IPL થી સીધો ટીમ ઇન્ડીયામાં સામેલ
ચેતન સાકરીયાએ IPL 2021 માં ગત એપ્રિલ માસમાં જ ડેબ્યૂ કર્યુ હતુ. રાજસ્થાન રોયલ્સ વતી રમતા IPL ની 7 જ મેચ તે રમ્યો છે. જે દરમ્યાન તેણે 7 વિકેટ ઝડપી છે. IPLમાં બેસ્ટ બોલીંગ પર્ફોર્મન્સ 31 રન આપીને ત્રણ વિકેટ ઝડપવાનું રહ્યું છે. તેની બોલીંગ ઇકોનોમી 8.22 રહી છે. જ્યારે 2 વાર બેટીંગ ઇનીંગની તક મળી પરંતુ શૂન્ય રન પર જ રહ્યો છે. આમ છતાં સાકરીયાને શ્રીલંકા પ્રવાસ (Sri Lanka Tour) સાથે ટીમ ઇન્ડીયામાં જોડાવવા માટે સોનેરી તક ઝડપી મળી ગઇ.
કાશ પિતા હયાત હોત !
IPL ટૂર્નામેન્ટ સ્થગિત થવાના તુરત જ ચેતન સાકરીયાના પિતાનુ કોરોનાની બીમારીથી અવસાન થયુ હતુ. ચેતનના પિતાને ભાવનગરની સ્થાનિક હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. જ્યાં તે સારવાર દરમ્યાન અવસાન પામ્યા હતા, 23 વર્ષીય ચેતને કહ્યુ હતુ કે, કાશ મારા પિતા આ દિવસ જોવા માટે જીવતા હોત. તે મને ભારત વતી રમતો જોવા ઇચ્છતા હતા. આજે હું તેમને ખૂબ યાદ કરી રહ્યો છુ. પાછળનુ એક વર્ષ મારા જીવનનુ ખૂબ જ ચઢાવ-ઉતારવાળુ રહ્યું છે. આ મારા માટે ઇમોશનલ સમય છે. આ મારા સ્વર્ગીય પિતા અને મારી માતા માટે છે, જે ઇચ્છતા હતા કે હું ક્રિકેટ રમું.