West Bengal : સૌરવ ગાંગુલીને જન્મદિનની શુભેચ્છા આપવા તેમના ઘરે પહોંચ્યા સીએમ મમતા બેનર્જી, રાજકીય અટકળો તેજ
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ સૌરવ ગાંગુલીને જન્મ દિવસે પુષ્પગુચ્છ અને કેકની ભેટ આપી હતી. મુખ્યમંત્રીની સૌરવ ગાંગુલીના ઘરે મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ બની છે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલમાં બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી( Sourav Ganguly)ગુરુવારે તેમનો 49 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જો કે આ દરમ્યાન પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી તેમના ઘરે પહોંચ્યા અને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. સીએમ મમતા બેનર્જી (Mamata Banerjee)એ સૌરવ ગાંગુલીને પુષ્પગુચ્છ અને કેકની ભેટ આપી હતી. મુખ્યમંત્રીની સૌરવ ગાંગુલીના ઘરે મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ બની છે.
સૌરવ ગાંગુલી( Sourav Ganguly)નો જન્મ 8 જુલાઈ 1972ના રોજ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં થયો હતો અને તે બંગાળના મહારાજા તરીકે પણ જાણીતા છે. ગુરુવારે ક્રિકેટ જગતના અન્ય લોકો સવારથી સૌરવ ગાંગુલીના જન્મદિવસ પર અભિનંદન પાઠવી રહ્યા હતા.
સૌરવ ગાંગુલીની મમતા બેનર્જી સાથે લાંબી મિત્રતા
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પરાજિત કર્યા પછી મમતા બેનર્જી ત્રીજી વખત બંગાળના મુખ્યમંત્રી બન્યા છે. રાજ ભવન ખાતે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં અન્ય આમંત્રિત મહેમાનોમાં સૌરવ ગાંગુલીનું નામ પણ શામેલ હતું. આ શપથ સમારોહમાં સૌરવ ગાંગુલી પણ હાજર રહ્યા હતા. સૌરવ ગાંગુલીની મમતા બેનર્જી સાથે લાંબી મિત્રતા છે. મમતા બેનર્જીએ એકેડેમી બનાવવા માટે ન્યુટાઉનમાં સૌરવ ગાંગુલીને જમીન પણ ફાળવી હતી. જો કે આ જમીન ગાંગુલીએ પરત આપી હતી.
ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાવાની અટકળો હતી
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી દરમિયાન સૌરવ ગાંગુલી લાંબા સમયથી ચર્ચાનો વિષય બન્યા હતા. તેઓ સતત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલી અને ભાજપ માટેના પ્રચારમાં ભાગ લેશે તેવી અટકળો ચાલી રહી હતી. પરંતુ તેમણે પોતાને રાજકારણથી દૂર રાખ્યા અને ભાજપ અથવા અન્ય કોઈ પક્ષ સાથે સક્રિય રીતે દેખાયા નહીં અને ના તો ટીએમસી માટે પ્રચાર કર્યો. જોકે તેમની સાથે ફિલ્મ સ્ટાર મિથુન ચક્રવર્તી વિશે પણ અટકળો ચાલી રહી હતી. તેઓ ભાજપમાં જોડાયા હતા.
આ પણ વાંચો : Monsoon Alert : દેશના આ રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યા પહોંચ્યું ચોમાસુ
આ પણ વાંચો : eNAM-રાષ્ટ્રીય કૃષિ બજાર યોજના શું છે ? ખેડૂતો તેનો લાભ કેવી રીતે લઈ શકે છે ? જાણો તમામ વિગતો