West Bengal : વિધાનસભામાંથી ભાજપના ધારાસભ્યોનું વોકઆઉટ, જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા
પશ્ચિમ બંગાળ(West Bengal)વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે જ ભાજપે(BJP)આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમજ રાજ્યપાલના અભિભાષણ પૂર્વે જ ભાજપના ધારાસભ્યો 'જય શ્રી રામ' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવીને ગૃહની બહાર નીકળ્યા હતા
પશ્ચિમ બંગાળ(West Bengal)માં ભારે હોબાળા વચ્ચે શુક્રવારે વિધાનસભાના પ્રથમ સત્રની શરૂઆત થઈ હતી. રાજ્યમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી (BJP)મુખ્ય વિપક્ષની ભૂમિકામાં છે. જેમાં રાજ્યમાં ઇલેક્શન પરિણામ બાદ રાજકીય હિંસાના વિરોધમાં રાજ્યપાલના સંબોધન દરમ્યાન ભાજપના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.
શુભેન્દુ અધિકારીએ કહ્યું કે રાજ્યમાં મતદાન પછીની હિંસા એક મોટો મુદ્દો
પશ્ચિમ બંગાળ(West Bengal)વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે જ ભાજપે(BJP)આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમજ રાજ્યપાલના અભિભાષણ પૂર્વે જ ભાજપના ધારાસભ્યો ‘જય શ્રી રામ’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવીને ગૃહની બહાર નીકળ્યા હતા. બાદમાં પત્રકારો સાથે વાત કરતાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે રાજ્યમાં મતદાન પછીની હિંસા એક મોટો મુદ્દો છે. આ લડત અંત સુધી લડવામાં આવશે.
પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી હિંસા વિશે કોઈ ઉલ્લેખ ન હતો
ગૃહમાં વિપક્ષી નેતા અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે વિધાનસભા સત્ર આજથી શરૂ થઈ ગયું છે અને રાજ્યપાલના સંબોધનમાં પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી હિંસા વિશે કોઈ ઉલ્લેખ ન હતો. તેથી અમે વિધાનસભામાં પ્રદર્શન કર્યું . તેમજ તેમના સંબોધનમાં કોલકત્તામાં નકલી રસીકરણ વિશે પણ કોઈ ઉલ્લેખ ન હતો.
રાજ્યપાલ અને મમતા બેનર્જીએ એકબીજાને શુભેચ્છા પાઠવી
આ અગાઉ રાજ્યપાલ જગદીપ ધનખડ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભાની બહાર સામ-સામે મળ્યા હતા. તેમજ આક્ષેપો અને કડવાશને એક બાજુ મૂકીને બંનેએ એકબીજાને શુભેચ્છા પાઠવી અને એસેમ્બલી તરફ પ્રયાણ કર્યું. તાજેતરમાં જ મમતા બેનર્જીએ જૈન હવાલા કેસમાં રાજ્યપાલ જગદીપ ધનખડને ભ્રષ્ટાચારી અને આરોપી ગણાવ્યા હતા. જ્યારે રાજ્યપાલે આ આરોપોને પાયા વિહોણા ગણાવીને મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર પ્રહાર કર્યા હતા.
પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને બમ્પર બહુમતી મળી હતી, જ્યારે ભાજપે 77 બેઠકો મેળવી હતી. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાસે માત્ર 3 ધારાસભ્યો હતા. આ વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પરથી મમતા બેનર્જીને હરાવનાર શુભેન્દુ અધિકારીને ભાજપ દ્વારા વિપક્ષ નેતા બનાવવામાં આવ્યા છે.
રાજ્યપાલ જગદીપ ધનખડ અને મમતા બેનર્જી વચ્ચે પણ વાકયુદ્ધ છેડાયું
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી ફરી એકવાર રાજ્ય વિધાનસભાની ચુંટણીમાં વિજયી બની હતી. જો વિધાનસભા ચુંટણીના પરિણામમાં દિવસથી ભાજપના કાર્યકરો પર ટીએમસી કાર્યકરોના હુમલા તેજ થયા હતા. જેમાં અનેક સ્થળોએ કાર્યકરોની હત્યા કરવામાં આવી હતી. તેમજ આ સમગ્ર મામલે રાજ્યપાલ જગદીપ ધનખડ અને મમતા બેનર્જી વચ્ચે પણ વાકયુદ્ધ છેડાયું હતું.