KARNATAKAના રાજકારણમાં UTTARAKHAND જેવો માહોલ, શું CM યેદીયુરપ્પાને હટાવવાની થઈ માંગ?
ઉત્તરાખંડ બાદ હવે કર્ણાટકમાં મુખ્યપ્રધાનની બદલવાની માંગ તીવ્ર થઈ છે. ભાજપના બળવાખોર ધારાસભ્ય બાસણગૌડા પાટિલ યતનલે કહ્યું કે, આગામી ચૂંટણી પહેલા ભાજપે CM Yeddyurappaને મુખ્યપ્રધાન પદ પરથી હટાવવા પડશે.
ઉત્તરાખંડમાં મુખ્યપ્રધાન બદલાયાને માત્ર 10 દિવસ થયા છે ત્યાં હવે કર્ણાટકમાં CM Yeddyurappaને હટાવવાની માંગ તીવ્ર થઈ છે. ભાજપના બળવાખોર ધારાસભ્ય બાસણગૌડા પાટિલ યતનલે તો એમ પણ કહ્યું છે કે, આગામી ચૂંટણીઓ પૂર્વે ભાજપે યેદિયુરપ્પાને મુખ્યપ્રધાન પદ પરથી હટાવવાના પડશે. તેમણે એમ પણ કહ્યું કે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી બાદ કર્ણાટકમાં બદલાવ આવશે.
અસ્તિત્વ ટકાવી રાખવા માટે યેદિયુરપ્પાને હટાવવા જરૂરી બળવાખોર ધારાસભ્ય બાસણગૌડા પાટીલ યતનલે રવિવારે ફરીથી કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ. યેદિયુરપ્પા પર નિશાન સાધતા કહ્યું કે પાર્ટી તેમના નેતૃત્વ હેઠળ આગામી ચૂંટણી લડી શકે એમ નથી. યતનલે કહ્યું કે, મુખ્યપ્રધાન ચોક્કસપણે બદલાશે. જો ભાજપ તેમને સાથે રાખી ચૂંટણી લડશે તો હાર નિશ્ચિત છે. તેમણે વધુમાં કહ્યું કે જો ભાજપે કર્ણાટકમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો યેદિયુરપ્પાને હાંકી કાઢવા જરૂરી છે.
યેદિયુરપ્પા પર પક્ષપાતના આરોપ લગાવ્યા પાટિલે મુખ્યપ્રધાન યેદિયુરપ્પા પર ધારાસભ્યો વચ્ચે પક્ષપાત કરવાનો આરોપ લગાવતા કહ્યું કે ધારાસભ્યોને ફંડનો સમાન હિસ્સો આપવામાં આવ્યો નથી. બાસણગૌડા પાટિલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “મેં હંમેશા ભ્રષ્ટાચાર અને વંશવાદના રાજકારણ સામે અવાજ ઉઠાવ્યો છે. હું ફક્ત વાજપેયી અને નરેન્દ્ર મોદીની પ્રસંશા કરું છું. આ બંને નેતાઓ સામે ભ્રષ્ટાચારનો એક પણ કેસ નથી. જે લોકો વંશવાદની રાજનીતિ કરે છે અને ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે, તેઓની હું કેવી રીતે પ્રસંશા કરી શકું?”
શું ત્રણ રાજ્યોમાં CM બદલશે ભાજપ ? બળવાખોર ધારાસભ્ય બાસણગૌડા પાટીલ યતનલે વધુમાં કહ્યું કે યેદિયુરપ્પા એ દક્ષિણ ભારતના ભાજપના છેલ્લા મુખ્યપ્રધાન બનીને ન રહેવા જોઈએ. કર્ણાટકમાં આગામી 10-20 વર્ષ માટે ભાજપના મુખ્યપ્રધાન હોવા જરૂરી છે, પણ આવું તો જ શક્ય બનશે જો આગામી વિધાનસભા ચૂંટણી ભાજપ યેદિયુરપ્પામાં નેતૃત્વમાં ચૂંટણી ન લડે. જો ભાજપ તેમને સાથે રાખી ચૂંટણી લડશે તો હાર નિશ્ચિત છે.બળવાખોર ધારાસભ્ય બાસણગૌડા પાટીલ યતનલે એમ પણ કહ્યું કે ભાજપ હાઈકમાન્ડ 3 રાજ્યોમાં મુખ્યપ્રધાનો બદલશે. આ વાત લાંબા સમયથી ચાલી રહી છે. ઉત્તરાખંડ પછી હવે હરિયાણા અને કર્ણાટકમાં ભાજપ CM બદલશે.
આ પણ વાંચો : WEST BENGAL ELECTION : PM MODIની પ્રસંશા સાથે સંકલ્પપત્રમાં મળ્યું સ્થાન, BJPને મળી ગયા CM ઉમેદવાર?