Surat : સુરતમાં વિધાનસભાની તૈયારીઓનો ધમધમાટ, ધારાસભ્યોએ લોકસંપર્ક શરૂ કર્યા
Surat : વિધાનસભા ચૂંટણીને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. જેના ભાગરુપે ભાજપના ધારાસભ્યો દ્વારા લોક સંપર્ક શરૂ કરવામાં આવ્યો છે.
Surat : સુરત મહાનગરપાલિકાની (Surat Municipal Corporation) ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAM AADMI PARTY) દ્વારા 27 બેઠકોની પછડાટ ખાધા પછી હવે ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીની(VidhanSabha Election) તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી વિધાનસભા ચૂંટણી સામે છે. ત્યાડે હવે અલગ-અલગ વિધાનસભાના ધારાસભ્યોએ (MLA) પોતાના મતવિસ્તારમાં પ્રજા સાથે સંપર્ક તેજ બનાવ્યો છે.
ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારમાં ડોર ટુ ડોર સંપર્ક કરીને પ્રજા સાથે સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે.મજુરા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા પોતાના મતવિસ્તારમાં પ્રજા સુધી પહોંચવા માટે હાઈટેક સંપર્ક કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા પણ આવતીકાલથી “ધારાસભ્ય પ્રજા દ્વારે” કાર્યક્રમ શરૂ કરવામાં આવનાર છે.
વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ધારાસભ્ય હવે પ્રજાના દ્વારે જઈ રહ્યા છે. સુરતના રાજકારણમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો. ત્યારે હવે આમ આદમી પાર્ટીને જ મુખ્ય વિપક્ષ માનીને વિધાનસભાની ચૂંટણી માટે કેવી રણનીતિ બનાવવી તેની તૈયારીઓ જોરશોરમાં શરૂ કરી દેવામાં આવી છે. જેના શ્રીગણેશ આવતીકાલથી થઈ રહ્યા છે.
પ્રદેશ હાઈ કમાન્ડ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં વોર્ડના કોર્પોરેટર, કાર્યકરો સાથે પ્રજાની વચ્ચે જઈને સરકાર તેમજ મહાનગરપાલિકાની કામગીરીની માહિતી આપવા તેમજ લોકોને નડતા પ્રશ્નોથી રૂબરૂ થવાની સૂચના આપવામાં આવી છે.
જેને કારણે હવે ધારાસભ્યો દ્વારા પોતાના મત વિસ્તારમાં ફરી એકવાર લોકસંપર્ક વધારવાનો કાર્યક્રમો થઈ રહ્યા છે. સુરત ધારાસભ્ય અરવિંદ રાણાએ ધારાસભ્ય પ્રજાના દ્વારે કાર્યક્રમ અંતર્ગત પોતાના મતવિસ્તારમાં આવતાં તમામ વોર્ડમાં તબક્કાવાર કાર્યક્રમો ગોઠવ્યા છે. જેનો પ્રારંભ 4 જુલાઈ થશે. રવિવારે વોર્ડ નંબર 20માં ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા લોકસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવશે.
આ અંગે ભાજપના પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના જણાવ્યા પ્રમાણે આવતીકાલે પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય ડોર ટુ ડોર લોકસંપર્ક કાર્યાલય શરૂ કરવાના છે. તે જ પ્રમાણે અન્ય વિધાનસભાના ધારાસભ્યો પણ અનુકૂળતાએ તેમની વિધાનસભામાં લોકસંપર્ક કાર્યાલય આવનારા દિવસોમાં ખોલી શકે છે.
સત્તાપક્ષની સીધી ટક્કર કોઈ સાથે નથી એવું તેમણે ઉમેર્યું હતું. વિકાસના કામો અને પ્રજાનો વિશ્વાસ લઈને તેઓ આગળ વધશે એવું તેમણે ઉમેર્યું છે. જોકે 2022 વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપની સૌથી પહેલા લોકસંપર્ક શરૂ કરવાની રણનીતિને પક્ષની તૈયારી કહીએ કે ફફડાટ તે અંગે કંઈ કહી શકાય નહીં.
તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આવા કોઈ કાર્યાલય કે સંપર્ક કાર્યક્રમ હજી સુધી શરૂ કરાયા ન હોવાનું જાણવા મળ્યું છે.