Puducherry: નારાયણસામી સરકાર પર સંકટ, ઉપરાજ્યપાલે 22 ફેબ્રુઆરીએ ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો
Puducherry : કેન્દ્રશાસિત પ્રદેશ પોંડીચેરીમાં કોંગ્રેસ ધારાસભ્ય એ જોન કુમાર, મલ્લડી કૃષ્ણ રાવ, નમિચિવામ અને થિપિનાદાન રાજીનામું આપી ચૂક્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોના રાજીનામા બાદ મુખ્યમંત્રી નારાયણસામી સરકાર સંકટમાં છે.
Puducherry : પોંડીચેરીમાં રાજકીય સંકટ વચ્ચે ઉપરાજ્યપાલ તમિલિસાઈ સૌન્દર્યરાજને 22 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યા સુધીમાં વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. પોંડીચેરીમાં શાસક પક્ષના ધારાસભ્યોના રાજીનામા બાદથી રાજ્યમાં રાજકીય સંકટ ઘેરાયું છે.ઉપરાજ્યપાલ સચિવાલય દ્વારા જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિધાનસભામાં વિપક્ષી નેતા અને AINRCના ચીફ એન. રંગસ્વામ ભારપૂર્વક જણાવી રહ્યા હતા કે સરકારે ગૃહમાં પોતાનું બહુમત સાબિત કરવું જોઈએ. ત્યારબાદ ઉપરાજ્યપાલ તમિલિસાઈ સૌન્દર્યરાજને મુખ્યપ્રધાન વી.નારાયણસામીને ફ્લેર ટેસ્ટનો આદેશ આપ્યો છે.
ઉપરાજ્યપાલે આપ્યો ફ્લોરટેસ્ટનો આદેશ ઉપરાજ્યપાલ સચિવાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં મુખ્યપ્રધાન વી.નારાયણસામીને કહેવામાં આવ્યું છે કે સોમવારે વિધાનસભાની બેઠક મળશે અને તેનો એકમાત્ર એજન્ડા એ હશે કે સરકાર હજી પણ ગૃહમાં બહુમતી ધરાવે છે કે નહીં. ર્ફ્લોર ટેસ્ટમાં એક હાથથી મતદાન થશે અને આખી પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવાની રહેશે. ઉપરાજ્યપાલ સચિવાલયની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ઉપરોક્ત સૂચનો મુજબ ફ્લોરટેસ્ટની પ્રક્રિયા 22 ફેબ્રુઆરી 2021 ના રોજ સાંજના 5 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને ફ્લોરટેસ્ટની કાર્યવાહી કોઈપણ કિંમતે મુલતવી કે મોડી રાખવામાં આવશે નહીં.
વિપક્ષે કરી હતી ફ્લોરટેસ્ટની માંગ પોંડીચેરીમાં AINRCના સહિતના વિપક્ષી દળના પ્રતિનિધિ મંડળે બુધવારે ઉપરાજ્યપાલ સચિવાલયના અધિકારીને ગૃહમાં બહુમતી સાબિત કરવા મુખ્યપ્રધાન નારાયણસામીની સરકારને નિર્દેશ આપવાની માંગ કરી હતી. પોંડીચેરીના કોંગ્રેસના તેમજ અન્ય ધારાસભ્યના રાજીનામા બાદ રાજ્યની કોંગ્રેસ સરકારે બહુમત ગુમાવી દીધો છે. જેમાં એન.રંગાસમીની આગેવાની હેઠળના વિપક્ષી પાર્ટીઓના તમામ 14 ધારાસભ્યોએ સંયુક્ત રૂપે રાજભવનના વિશેષ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
ચાર ધારાસભ્યોના રાજીનામાથી સરકાર અલ્પમતમાં કેન્દ્રશાસિત પ્રદેશ પોંડીચેરીમાં કોંગ્રેસ ધારાસભ્ય એ જોન કુમાર, મલ્લડી કૃષ્ણ રાવ, નમિચિવામ અને થિપિનાદાન રાજીનામું આપી ચૂક્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોના રાજીનામા બાદ મુખ્યમંત્રી નારાયણસામી સરકાર સંકટમાં છે. મંગળવારે કોંગ્રસના ધારાસભ્ય એ. જહોન કુમારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને એક માસમાં રાજીનામું આપનારા ચોથા ધારાસભ્ય છે. જેના લીધે સત્તાધારી પક્ષ કોંગ્રેસ અને ડીએમકે ગઠબંધનના 33 સભ્યોવાળા ગૃહમાં બેઠકોની સંખ્યા ઘટીને 14 થઈ ગઈ છે.