કોરોનાને લગતી મહત્વની બેઠક બાદ વડાપ્રધાન મોદી કરી શકે છે મોટી જાહેરાત
સતત કોરોના વિસ્ફોટની વચ્ચે, રવિવારે દેશમાં ત્રણ લાખ જેટલા નવા કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાથી મૃત્યુ પામનારાઓના આંકડાઓ પણ હવે રોજેરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે.
કોરોનાની બીજી લહેરના પગલે દેશમાં ખળભળાટ મચી ગયો છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( Prime Minister Modi ) રોજ નવાનવા તોડાતા રેકોર્ડની વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજી રહ્યા છે. મોદીના અધ્યક્ષ સ્થાને યોજાઈ રહેલી બેઠક બાદ કોઈ મોટી જાહેરાત કરી શકે છે તેમ મનાઈ રહ્યુ છે.
આપને જણાવી દઈએ કે સતત કોરોના વિસ્ફોટની વચ્ચે, રવિવારે દેશમાં ત્રણ લાખ જેટલા નવા કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાથી મૃત્યુ પામનારાઓના આંકડાઓ પણ હવે રોજેરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. દેશમાં કુલ 2,75,306 નવા કોરોના સંક્રમિત નોંધાયા છે. આ સમય દરમિયાન 1625 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.
સાજા થવાનો દર ઘટયો કોરોનાથી સંક્રમિત થનારા લોકો સારવાર બાદ સાજા થવાનો દર ઘટીને 86 ટકા થઈ ગયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 1,29,48,848 થઈ છે અને મૃત્યુ દર ઘટીને 1.20 ટકા થઈ ગયો છે.
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દર માત્ર બે અઠવાડિયાથી ઓછા સમયમાં બમણો થઈ ગયો છે. એટલે કે, કુલ ચકાસાયેલ નમૂનાઓમાંથી 16.7 ટકા નમૂના પોઝીટીવ હોવાનું જણાયું છે. હાલ દેશમાં કોરોના પોઝીટીવ થવાના સાપ્તાહિક દરની સરેરાશ 14.3 ટકા છે. અગાઉ ગયા વર્ષે 19 જુલાઇએ પોઝિટિવિટી રેટ 15.7 ટકા પર પહોંચ્યો હતો અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 12.5 ટકા હતો. 16.7 ટકા ચેપ દરનો અર્થ એ છે કે દર છ નમૂનાઓમાંથી એક કેસ કોરોના પોઝીટીવ જોવા મળે છે.