પ્રશાંત કિશોર પંજાબમાં કેબિનેટ મંત્રી તરીકે લેશે માત્ર 1 રૂપિયો પગાર, પરંતુ મળશે આ સુવિધાઓનો લાભ
ચૂંટણીલક્ષી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ તેમને અહીં કેબિનેટ મિનીસ્ટરનો દરજ્જો આપવામાં આવ્યો છે.
ચૂંટણીલક્ષી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ તેમને અહીં કેબિનેટ મિનીસ્ટરનો દરજ્જો આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય વતી આ માહિતી આપતા કહેવામાં આવ્યું છે કે પ્રશાંત કિશોર ટોકન મની તરીકે માત્ર 1 રૂપિયા પગાર લેશે. જો કે તેમને બંગલો, ઓફિસ, ટેલિફોન સહિતની અન્ય સુવિધાઓ આપવામાં આવશે. સીએમઓ દ્વારા જારી કરવામાં આવતી સેવાની શરતોમાં જણાવવામાં આવ્યું છે કે પ્રશાંત કિશોરનો કાર્યકાળ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહના કાર્યકાળ સમાન હશે. તેમને ખાનગી સચિવ, અંગત સહાયક, ડેટા એન્ટ્રી ઓપરેટર, એક કારકુન અને બે પટાવાળા આપવામાં આવશે.
તેમને કેબિનેટ પ્રધાનને આપવામાં આવતો બંગલો આપવામાં આવશે. ઓફિસ અને કેમ્પ ઓફિસ/નિવાસમાં ટેલીફોન ઉપરાંત, મોબાઈલ ફોનનો ખર્ચો પણ આપવામાં આવશે. જેની કોઈ મર્યાદા નહીં હોય. રાજ્ય પરિવહન કમિશનર દ્વારા તેમને પરિવહન પ્રદાન કરવામાં આવશે. તેઓ કેબિનેટ મંત્રીને આપેલી મુસાફરીની સુવિધાનો લાભ લઈ શકશે. હોસ્પિટાલીટીના નામે તેઓ 5 હજાર રૂપિયા સુધી ખર્ચ કરી શકે છે. કેબિનેટ પ્રધાનને મળતી તબીબી સુવિધાઓ પણ તેમના માટે ઉપલબ્ધ રહેશે.
#PunjabCabinet clears the appointment of Shri @PrashantKishor as Principal Advisor to the Chief Minister @capt_amarinder Singh in the rank and status of a Cabinet Minister. pic.twitter.com/h7bTK9qKdD
— CMO Punjab (@CMOPb) March 1, 2021
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે સોમવારે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને તેમના મુખ્ય સલાહકાર બનાવવાની જાણકારી આપી હતી. અમરિંદર સિંહે ટ્વીટ કરતા કહ્યું હતું કે, “પ્રશાંત કિશોર મુખ્ય સલાહકાર તરીકે મારી સાથે જોડાયા છે એનો અમને આનંદ થયો છે. હું પંજાબના લોકોની સુખાકારી માટે સાથે મળીને કામ કરવાની આશા રાખું છું. ” પ્રશાંત કિશોરે વર્ષ 2017માં પંજાબ વિધાનસભા દરમિયાન કોંગ્રેસના ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હતી. હાલમાં કિશોરની કંપની, ભારતીય પોલિટિકલ એક્શન કમિટી (આઈ-પીએસી) મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસને પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. કિશોરે 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદ માટેના અભિયાનની આગેવાની કરી હતી.
આ પણ વાંચો: West bengal assembly election 2021: યોગી આદિત્યનાથ આજે પશ્ચિમ બંગાળમાં સભા સંબોધિત કરશે