Politics on vaccine : વિદેશી વેક્સીનની મંજુરી માટે લોબિંગ કરે છે રાહુલ ગાંધી, રવિશંકર પ્રસાદે કર્યા પ્રહારો
Politics on vaccine : કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ (Ravi Shankar Prasad)એ કહ્યું કે પાર્ટ ટાઇમ રાજકારણી તરીકે નિષ્ફળ થયા બાદ હવે રાહુલ ગાંધી (Rahul Gandhi) એ વિદેશી ફાર્મા કંપનીનું લોબિંગ શરૂ કરી દીધું છે.
Politics on vaccine : દેશમાં કોરોના વાયરસ સંક્રમણને કારણે વિકટ પરિસ્થિતિ અને રસીકરણ અંગે કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવનારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)પર શુક્રવારે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ (Ravi Shankar Prasad)એ પ્રહારો કર્યા હતા. એક બાદ એક ટ્વીટ કરીને પ્રસાદે કોંગ્રેસ શાસિત સરકારો પર પણ રસીની અછતનો મુદ્દો ઉઠાવતા અનેક સવાલો કર્યા હતા.
વિદેશી વેક્સીનની મંજુરી માટે લોબિંગ કરે છે રાહુલ ગાંધી : રવિશંકર કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ (Ravi Shankar Prasad)એ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) વિદેશી ફાર્મા કંપનીઓની કોરોના રસી (Corona vaccine) ને મંજૂરી આપવા માટે લોબિંગ કરી રહ્યા છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે પાર્ટ ટાઇમ રાજકારણી તરીકે નિષ્ફળ થયા બાદ હવે રાહુલ ગાંધીએ વિદેશી ફાર્મા કંપનીનું લોબિંગ શરૂ કરી દીધું છે.તેમણે કહ્યું કે અગાઉ તેમણે ફાઇટર એરક્રાફ્ટ બનાવતી વિદેશી કંપનીઓનું લોબિંગ કર્યું હતું. રાહુલ ગાંધીને આડેહાથ લેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે “કોરોના મહામારી સામે લડવું એ કોઈ રમત નથી અને આમાં રસીકરણ સિવાય ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને સારવારની જરૂર છે, પરંતુ રાહુલ ગાંધીની સમસ્યા એ છે કે તેઓ આ બધું જાણતા નથી.”
રાહુલ ગાંધીએ હજી સુધી રસી કેમ નથી લીધી ? : રવિશંકર રસીકરણ પર પ્રશ્નો કરનારા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા રવિશંકર પ્રસાદે કહ્યું કે ‘ભારતને રસીની તંગીનો સામનો કરવો પડી રહ્યો નથી, પરંતુ રાહુલ ગાંધી પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું, રાહુલ ગાંધી ધ્યાનના અભાવનો સામનો કરી રહ્યા છે.રાહુલ ગાંધીએ હજી સુધી કોરોના રસી કેમ નથી લીધી ? આ તેમની બેદરકારી છે કે તેઓ કોરોના રસી લેવા માંગતા નથી અથવા તેમણે તેમની ઘણી વિદેશી યાત્રાઓ દરમિયાન કોરોના રસી લીધી છે પણ તેઓ કહેવા માંગતા નથી.”
કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પ્રતિબદ્ધતાનો અભાવ : રવિશંકર રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધીએ જાણી લેવું જોઈએ કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોરોના રસીની અછત નથી પરંતુ તેમની પાસે આરોગ્યસંભાળ પ્રત્યેની સરળ પ્રતિબદ્ધતાનો અભાવ છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ કોંગ્રેસ સરકારોને પત્ર લખવો જોઈએ કે વસુલીની કામ બંધ કરે અને તેમને આપવામાં આવેલી લાખો કોરોના વેક્સીન આપવાનું કામ ચાલુ કરે.