NIAને વાઝેની મળી સિક્રેટ ડાયરી, કોના પગ હેઠે આવશે રેલો? જાણો શું છે ડાયરીમાં
સીઆઈયુ કચેરીમાંથી તપાસ દરમિયાન રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ને એક સિક્રેટ ડાયરી મળી આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ડાયરીમાં વસૂલી અંગે ઘણી માહિતી છે.
સીઆઈયુ કચેરીમાંથી સર્ચ દરમિયાન એન્ટિલિયા કેસની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ને એક ડાયરી મળી આવી છે. મળી આવેલી ડાયરી વસુલી અંગેની માહિતીમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ શકશે એવું માનવામાં આવી રહ્યું છે. મળેલી માહિતી અનુસાર આ ડાયરીમાં પૈસાના લેણદેણની બાબતને કોડ વર્ડમાં લખેલી છે. એનઆઈએને શંકા છે કે કોડવર્ડમાં લખેલા નામો અને રકમ રેસ્ટોરન્ટ, પબ અને કેટલાક ઉદ્યોગપતિઓના છે.
આ ડાયરીમાં લખેલી વિગતો જાન્યુઆરીથી અત્યાર સુધીની છે. આ સમયે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે પણ આ બાબતનો તેમના પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. આ ડાયરીમાં હોટલો, પબ અને ઉદ્યોગપતિઓના નામની સામે રેટકાર્ડ પણ લખવામાં આવ્યા છે, આ ડાયરીમાં કેટલાક બુકીઓ પાસેથી પણ વસૂલીની વાતનો ઉલ્લેખ છે.
ડાયરીમાં કેટલાક લોટરીવાળા અને સટ્ટાબાજી કરનારા શખ્સોનાં નામ પણ લખવામાં આવ્યા છે. જેના આગળ પૈસાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે સચિન વાઝે ખુદ વસુલી નહોતા કરતા, તેમના નામે તેમના કેટલાક નજીકના ક્રિમીનલ ઉઘરાણી કરીને વસૂલીની રકમ આગળ પહોંચાડતા હતા.
એનઆઈએના અધિકારીઓનું કહેવું છે કે “પ્રથમ વિસ્ફોટક ક્યાંથી ઉપલબ્ધ થયું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે. અને આ તપાસ હમણાં મુખ્ય છે. કેટલીક માહિતીઓ મળી છે પણ તપાસને કારણે અમે હજી વધારે કહી શકીએ નહીં.”
મુંબઇના પબ અને બારમાંથી ‘100 કરોડની વસૂલાત’ ના કેસમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે “મહારાષ્ટ્રના મોટા હોદ્દા પર રહેલા અધિકારીઓની જમાવટમાં લાંચનું આ ષડ્યંત્ર ચાલે છે, ઉદ્ધવ સરકારે તેનો ખુલાસો કરનાર અધિકારી સામે જ કાર્યવાહી કરી દીધી હતી.”
જાહેર છે કે એન્ટિલિયા કેસમાં પરમબીરસિંહના લેટર બોમ્બે નવા વળાંકો ઉભા કરી દીધા છે. ત્યાર બાદ પરમબીરસિંહે સુપ્રીમના પણ દરવાજા ખખડાવ્યા હતા. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની સીબીઆઈ તપાસની માંગ માટે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે સોમવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં પરમબીરસિંહે દેશમુખ સામે મોટો આરોપ પણ લગાવ્યો. અરજીમાં સિંહે કહ્યું હતું કે, અનિલ દેશમુખ દાદરા નગર હવેલીના સાંસદ મોહન દેલકરના આપઘાત કેસમાં ભાજપના નેતાઓને ફસાવવા માંગતા હતા. આ ઉપરાંત અનીલ દેશમુખ પર લેટર બોમ્બમાં મહિને 100 કરોડની વસૂલીનો ટાર્ગેટ સચિન વાઝેને આપવાની વાતે ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યાર બાદ વિપક્ષના કેટલાક નેતાઓએ અનીલ દેશમુખના રાજીનામાંની માંગ પણ કરી હતી.