Congress માં નવો વિવાદ, હવે સુશીલ કુમાર શિંદે બોલ્યા ,પાર્ટી ગુમાવી રહી છે વિચારધારાની સંસ્કૃતિ
દેશના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસના સિનિયર નેતાઓ હવે પાર્ટીને છોડવાના મૂડમાં હોય તેમ જણાઈ રહ્યું છે. જેમાં એક પછી એક વરિષ્ઠ અને યુવા નેતાઓની નારજગી સામે આવી રહી છે. જે કોંગ્રેસ હાઇ કમાન્ડ માટે નવો પડકાર બની રહ્યો છે.
કોંગ્રેસ(Congress) પાર્ટીને છોડીને ભાજપમાં ગયેલા જિતિન પ્રસાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા પછી હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદે(Sushil Kumar Shinde) પણ કોંગ્રેસ વિરુદ્ધ બળવો કરવાની તૈયારી કરી રહ્યા હોવાની આશંકા છે. આ સંકેત તેમના એક નિવેદનથી મળી રહ્યા છે. જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી સતત તેની વિચારધારાની સંસ્કૃતિ ગુમાવી રહી છે. તેમના મતે હાલ પાર્ટી ક્યાં છે તે સમજવું મુશ્કેલ છે.તેમના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં સુશીલ શિંદે પણ પાર્ટી છોડવાનું મન બનાવી રહ્યાં હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી જે ઘટી રહ્યું છે તેના પરથી લાગે છે કે પક્ષમાં આંતરિક વિવાદ ચરમ પર છે. જેમાં પણ પક્ષના વરિષ્ઠ નેતાઓ જ પક્ષથી નારાજ હોવાનું ખૂલીને સામે આવી રહ્યું છે.
પાર્ટી ક્યાં છે તે સમજવું ખૂબ મુશ્કેલ છે
મહારાષ્ટ્રમાં થોડા સમય પૂર્વે જૂના કોંગ્રેસના નેતાઓનું સન્માન માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સુશીલ કુમાર શિંદે(Sushil Kumar Shinde) હાજર હતા. તેમણે આ કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે એક સમય હતો જ્યારે કોંગ્રેસ પક્ષમાં મારા શબ્દોનું કંઈક મૂલ્ય હતું. પણ મને ખબર નથી કે હવે છે કે નહીં, કોંગ્રેસ પણ તેની વિચાર ધારાની સંસ્કૃતિ ગુમાવી રહી છે.
કોંગ્રેસમાં સુધારણા માટે શિબિર યોજવાની સંસ્કૃતિ હતી
તેમણે વધુમાં ઉમેર્યું જે એક સમય હતો જ્યારે કોંગ્રેસ ‘ચિંતન શિબીર’ યોજતી હતી. જેમાં પાર્ટીની કામગીરી અને નેતાઓની લોકપ્રિયતા અને લોકોમાં તેમનો પ્રભાવ વગેરે પર મંથન કરવામાં આવતું હતું. પરંતુ હવે પક્ષ ક્યાં છે તે સમજવું ખૂબ મુશ્કેલ છે. કોંગ્રેસ દ્વારા અપનાવવામાં આવેલી ઘણી નીતિઓ ખોટી હોઈ શકે છે. પરંતુ કોંગ્રેસમાં સુધારણા માટે શિબિર યોજવાની સંસ્કૃતિ હતી.
શિવસેનાની કોંગ્રેસને સલાહ
કોંગ્રેસ નેતા સુશીલ કુમાર શિંદેએ પાર્ટી હાઈકમાન્ડ સામે નારાજગી વ્યક્ત કર્યા બાદ રાજકારણ ગરમાયું છે. જેમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જો સુશીલ શિંદેએ કંઇક કહ્યું હોય તો પાર્ટીએ આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ. કેમ કે તે કોંગ્રેસના વરિષ્ઠ મોટા નેતાઓમાંના એક છે અને તેમણે પક્ષ માટે ઘણું કર્યું છે.
આ પણ વાંચો : Bank holiday in July 2021 : જાણો જુલાઈમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે , રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ