NARMADA : કેવડિયા ખાતે BJPની OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક , વિધાનસભા ચૂંટણી પહેલાં OBC મત ખેંચવાની રણનીતિ !
ભારતીય જનતા પાર્ટીની OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ઓબીસી મોરચાને વધુ સંગઠિત કરી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ પ્રજા સુધી પહોંચાડવા આહવાન કરવામાં આવ્યું.
NARMADA : કેવડિયા ખાતે ભારતીય જનતા પાર્ટીની OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન થયું હતું. જેમાં ઓબીસી અધ્યક્ષ ડો. કે લક્ષ્મણના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી, ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રીય ભાજપ મહામંત્રી બી એલ સંતોષ,રાષ્ટ્રીય ઓબીસી મોરચા અધ્યક્ષ ડી.કે.લક્ષ્મણ અને ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર તથા પ્રદીપસિંહ વાઘેલા હાજર રહ્યા હતા. જેમાં રાષ્ટ્રીય ઓબીસી મોરચા મહામંત્રી અરૂણસિંહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
ભારતીય જનતા પાર્ટીની OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ઓબીસી મોરચાને વધુ સંગઠિત કરી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ પ્રજા સુધી પહોંચાડવા આહવાન કરવામાં આવ્યું. આ પ્રસંગે કેંદ્ર સરકારના સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે ઓબીસી મોરચાની આ પ્રથમ બેઠક છે અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં નવભારતનું નિર્માણ થઇ રહ્યું છે. ત્યારે દેશના છેવાડાના અન્ય વર્ગોનો પણ વિકાસ થાય તે દિશામાં આગળ વધવા ચર્ચાઓ કરવામાં આવી અને સરકારની યોજનાઓ અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.
ઓબીસી મોરચાના જનરલ સેકેરેટરી અને બિહારના સાંસદ ડો.નિખિલ આનંદે જણાવ્યું હતું કે આવનારી 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ઓબીસી મોરચાની મહેનતથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે, ઓબીસી સમગ્ર ભારતમાં એક થઇ સરકારની વિવિધ યોજનાઓ પહોંચાડશે. અને ઓબીસી મોરચો ભારતની કરોડરજ્જુ બનીને કાર્ય કરશે અને આગામી ચૂંટણીઓમાં ફરીથી વડાપ્રધાન તરીકે પીએમ મોદીને ચૂંટી લાવશે. સરદાર પટેલની ભૂમિ પરથી આજે અમે આ બાબતનું એલાન કરીએ છીએ. જે સમગ્ર ભારતમાં જશે અને અમે એ પરિવારવાદી પાર્ટીને નેસ્તનાબૂદ કરીશું અને જે પાર્ટીઓ માત્ર ખિસ્સા ભરવા આવેલી છે અને જે લોકો જાતિવાદ દ્વારા ભડકાવે છે તેમને પણ પ્રજા સમક્ષ લાવીશું .
આ કારોબારીમાં ખાસ ઉપસ્થિત ઓબીસી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. અને જણાવ્યું હતું કે આઝાદી પછી 70 વર્ષ સુધી શાસન કર્યું. પરંતુ ગરીબોની કોંગ્રેસે કોઈ દરકાર કરી નથી. ગરીબી હટાવોના માત્ર નારા લગાવ્યા અને શુદ્ધ પાણી આપવા પણ કોંગ્રેસ સક્ષમ ન હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનજીવન મિશન દ્વારા 8 કરોડ 47 લાખ ઘરોમાં પીવાનું પાણી પહોંચાડ્યું છે. અને તેથી જ વડાપ્રધાન પર ગરીબો અને ખેડૂતો ભરોસો કરે છે. પહેલાની સરકારો નિર્ણય લેવામાં માનતા જ ન હતા. પરંતુ મોદી સાહેબે ઘણા નિર્ણાયક નિર્ણય લીધા છે. મોદીજીના રામ મંદિર બનાવવાના આ નિર્ણયને કારણે જ કોંગ્રેસના લોકો પણ અયોધ્યામાં જઈ જય શ્રી રામના નારા લગાવતા થયા છે.