Maharashtra : મહાવિકાસ આઘાડી પર BJPના પ્રહાર, કહ્યું, “આઝાદ ભારતમાં પહેલા ક્યારેય આવું નથી બન્યું”
Maharashtra : કેન્દ્રીય મંત્રી તેમજ BJP નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે અનિલ દેશમુખે રાજીનામું આપી દીધું છે, પરંતુ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે કેમ ચુપ છે?
Maharashtra : 100 કરોડ રૂપિયાના વસુલી કેસ અંગે બોમ્બે હાઈકોર્ટના CBI તપાસના આદેશના ત્રણ જ કલાકમાં મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે રાજીનામું આપ્યું છે. અનિલ દેશમુખે પોતાનું રાજીનામું મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને સુપ્રત કર્યું હતું. હવે ભારતીય જનતા પાર્ટી (BJP) એ આ સમગ્ર મામલે મહારાષ્ટ્રની મહાવીકાસ આઘાડી પર આકરા પ્રહારો કર્યા છે.
આઝાદ ભારતમાં પહેલા ક્યારેય આવું નથી બન્યું : રવિશંકર પ્રસાદ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે મહારાષ્ટ્ર સરકાર પર આ મામલે આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે સ્વતંત્ર ભારતમાં આવું ક્યારેય બન્યું નથી. તેમણે કહ્યું કે આ મામલે ઘણી કડીઓ બહાર આવશે. તેમણે કહ્યું કે Maharashtra ના ગૃહપ્રધાને રાજીનામું આપી દીધું છે. સીએમ ઉદ્ધવ ઠાકરે ચૂપ છે. શરદ પવાર કહે છે કે મુખ્યપ્રધાન આ અંગે નિર્ણય લેશે. કોંગ્રેસ અને શિવસેનાનું કહેવું છે કે અનિલ દેશમુખ અંગે NCP નિર્ણય લેશે. અનિલ દેશમુખ શરદ પવારને મળ્યા છે અને મુખ્યપ્રધાનને રાજીનામું આપી દીધું છે, આ કેવી રીતે સરકાર ચાલી રહી છે?
શરદ પવાર અંગે રવિશંકર પ્રસાદે કહ્યું કે શરદ પવાર દેશના વરિષ્ઠ નેતા છે. તેમણે અનિલ દેશમુખને સંપૂર્ણ રીતે ક્લીનચીટ આપવાના નિહીતાર્થો સમજવા જોઈએ. પ્રસાદે કહ્યું કે ભાજપને આશા છે કે આ મામલાની નિષ્પક્ષ અને યોગ્ય તપાસ થવી જોઇએ અને તેમાં શામેલ લોકો સામે મોટી કાર્યવાહી કરવામાં આવે.
અનિલ દેશમુખનું રાજીનામું પહેલાં જ લેવું જોઈએ : ફડણવીસ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને BJP નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખનું રાજીનામું પહેલા જ થઇ જવું જોઈતું હતું, જ્યારે તેમના પર આરોપ મૂકાયો હતો. હાઈકોર્ટે આ કેસમાં દખલ કર્યા બાદ ગૃહપ્રધાનને રાજીનામું આપવું પડ્યું હતું. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે કેમ ચુપ છે?
મહારાષ્ટ્ર સરકારનો કાર્યકાળ પુરો થાય એવું લાગતું નથી : આઠવલે કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કહ્યું કે એવું લાગતું નથી કે મહારાષ્ટ્ર સરકારનો કાર્યકાળ જલ્દી જ પૂર્ણ થશે. દેશભરમાં કોરોના કેસોમાં મહારાષ્ટ્રનો હિસ્સો 60-65% છે. કાયદો વ્યવસ્થા કથળી છે. મેં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને કહ્યું છે કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવું જોઈએ. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખને પહેલા જ રાજીનામું આપવાની જરૂર હતી. એનસીપી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા તેમણે બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યાં હતા. શરદ પવારે અનિલ દેશમુખને રાજીનામું આપવાની મંજૂરી આપી છે, તે સારી વાત છે.