મમતા બેનરજીને કેવી રીતે પહોંચી ઈજા ? બંગાળ સરકારે CIDને સોંપી તપાસ
થોડા દિવસો અગાઉ નંદિગ્રામમાં મમતા બેનર્જીના ઘાયલ થયા હતા. આ બાદ તેઓ વ્હીલચેર પર પ્રચાર કરી રહ્યા છે. આવામાં રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે આ ઘટનાની તપાસ CID કરશે.
પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં થોડા દિવસો પહેલા મમતા બેનર્જી ઘાયલ થયા હતા. CID હવે બંગાળના નંદિગ્રામમાં મમતા બેનર્જીના ઘાયલ થયાની ઘટના પર તપાસ કરશે. પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારે તેની જાહેરાત કરી છે. સોમવારે એડીજી સીઆઈડીની (CID ) આગેવાનીમાં છ સભ્યોની ટીમ નંદીગ્રામની મુલાકાત લેશે. એક તરફ ચીફ સેક્રેટરી અને પોલીસ ડાયરેક્ટર જનરલની સંયુક્ત સમિતિએ કહ્યું કે સુરક્ષા કર્મચારીઓ કોરોના સંક્રમિત હોવાના કારણે નંદિગ્રામમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘાયલ થયાની ઘટના અંગે વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં વધુ સમય લાગશે.
ઉલ્લેખનીય છે કે સીએમ મમતા બેનર્જીએ 10 માર્ચે વિધાનસભાની ચૂંટણી માટે નંદીગ્રામ વિધાનસભા બેઠક પર નામાંકન નોધાવ્યું હતું. નામાંકન નોંધાવ્યા બાદ એક રોડ શો દરમિયાન મમતા બેનર્જી ઘાયલ થયા હતા. હાલમાં તેઓ વ્હીલચેર પર છે. અને વ્હીલચેરની મદદથી જ જાહેર સભાઓ યોજી રહ્યા છે. તેમજ કમિશનના મુખ્ય સચિવ અલાપન બેનર્જીને 17 માર્ચ સુધીમાં આ ઘટનાનો વિગતવાર અહેવાલ આપવા કહેવામાં આવ્યું હતું. સંયુક્ત સમિતિએ કહ્યું છે કે ઘટનાના દિવસે હાજર રહેલા બે સુરક્ષા કર્મીઓ હાલમાં કોરોના સંક્રમિત આવ્યા છે. તેથી તેમની પૂછપરછ હમણા શક્ય નથી. આ કારણ આપતા સમિતિએ કહ્યું કે કર્મીઓ કોરોના પોઝિટિવ હોવાના કારણે તપાસમાં સમય લાગશે તેમજ અહેવાલ રજૂ કરવામાં વધુ સમય લાગશે.
જણાવી દઈએ કે પૂર્વ મેદિનીપુર જિલ્લાના નંદિગ્રામમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઘાયલ થયા હતા. આ ઘટનામાં ચૂંટણી પંચે તેમના સુરક્ષા નિયામક વિવેક સહાયને પદ પરથી હટાવ્યા છે અને તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ પૂર્વ મેદિનીપુર જિલ્લાના જિલ્લા અધિકારી (ડીએમ) વિભુ ગોયલને પણ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે મેદિનીપુરના પૂર્વ એસપી પ્રવીણ પ્રકાશને પણ સસ્પેન્ડ કરી દીધા છે. આ ઘટનામાં મમતા બેનર્જીએ પોતાની જાત ઉપર હુમલો થયાનો આરોપ લગાવ્યો છે. જો કે ચૂંટણી પંચે એ પણ સાફ કરી દીધું હતું કે આ કોઈ હુમલો નહોતો પરંતુ માત્ર અકસ્માત હતો. આવામાં રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ સીઆઈડીને સોંપી છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યાએ રાજ્યમાં દરેક પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર પણ થઇ રહ્યો છે. મમતા પણ વ્હીલચેર પરથી રેલી અને સભાઓ સંબોધી રહ્યા છે.