FARMER PROTEST: રિહાના વિરૂદ્ધ એક જેવા ટ્વિટ કરી ફસાયા સેલિબ્રિટીઓ, ઉદ્ધવ સરકાર કરશે તપાસ
FARMER PROTEST : અમેરિકન સિંગર વિરૂદ્ધ ભારતની અનેક હસ્તીઓએ ટ્વિટ કર્યા હતા. કોંગ્રેસ નેતા સચિન સાવંતે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખની સામે આ સવાલ ઉઠાવ્યો હતો.
FARMER PROTEST : ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કરનાર અમેરિકન સિંગર રિહાના વિરૂદ્ધ એક જેવી ટ્વિટ કરીને ભારતના કેટલાક સેલિબ્રિટીઓની મુશ્કેલીઓ વધી શકે છે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે ખેડૂત આંદોલન પર સેલિબ્રિટીઓને ટ્વિટ કરવા દબાણ કરવામાં આવ્યું છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. એક ઓનલાઈન બેઠક દરમિયાન કોંગ્રેસના નેતા સચિન સાવંતે અનિલ દેશમુખની સામે આ સવાલ ઉઠાવ્યો હતો. સચિન સાવંતે સેલિબ્રિટીઝના ટ્વીટ્સ પણ બતાવ્યા જે લગભગ એકસરખા હતા.
લતા મંગેશકર સહિતની હસ્તીઓએ કર્યા હતા ટ્વિટ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે લતા મંગેશકર, સચિન તેંડુલકર, અક્ષય કુમાર સહિતની તમામ હસ્તીઓ દબાણમાં ટ્વીટ કરી રહી છે. શું કેન્દ્ર સરકાર તેમના પર દબાણ કરી રહી છે. ઈન્ટેલીજન્સની ટીમ આ મામલે તપાસ કરશે. આ સાથે જ આ સેલિબ્રિટીઓને સુરક્ષાની જરૂર છે કે કેમ એ તરફ પણ ધ્યાન આપવામાં આવશે. અનિલ દેશમુખ કોરોના સંક્રમિત થયા છે, માટે તેઓ જ્યાં કોરોન્ટાઇન પર છે ત્યાંથી જ વીડિયો કોલ દ્વારા આ બેઠકમાં જોડાયા હતા.
ઉદ્ધવ સરકાર તપાસ કરશે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર ખેડૂત આંદોલનને સમર્થન આપી રહી છે. આવી સ્થિતિમાં જ્યારે ખેડૂત આંદોલનને રિહાના જેવા વિદેશી કલાકારોનો ટેકો મળ્યો ત્યારે ભારતની કેટલીક હસ્તીઓમાં ચકચાર મચી ગઈ હતી. સચિન તેંડુલકર, અક્ષય કુમાર, અજય દેવગન, કંગના રાણાવત, લતા મંગેશકર, વિરાટ કોહલી જેવી અનેક હસ્તીઓએ તેની વિરૂદ્ધ ટ્વીટ કરી હતી. તેમણે પોતાના ટ્વિટ દ્વારા કહ્યું હતું કે વિદેશીઓને તેમના દેશના આંતરિક મામલામાં બોલવાની જરૂર નથી. ભારતની હસ્તીઓએ રિહાનાના ટ્વિટ પાછળ પ્રોપેગેંડા હોવાનું પણ કહ્યું.
આ ટ્વીટની પેટર્ન અને ઘણા શબ્દો સમાન હતા. ખાસ કરીને સાયના નેહવાલ અને અક્ષયનું ટ્વિટ એકસરખું હતું. આ ટ્વીટનો સમય પણ લગભગ એક સરખો હતો તેથી મહારાષ્ટ્ર સરકારને આ ટ્વીટ અંગે શંકા છે. અનિલ દેશમુખ કહે છે કે રાજ્યની ઈન્ટેલીજન્સની ટીમ તેની તપાસ કરશે.