લોકડાઉનમાં સરકારે કરેલા કાર્યના કારણે ચૂંટણીમાં ભાજપની જીત: નીતિનભાઈ પટેલ
બજેટ રજુ કરતી વખતે નીતિનભાઈ પટેલે તાજેતરની ચૂંટણીની જીત વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું મફત અનાજ, મફત સારવાર અને રોકડા રૂપિયા આપ્યા અને આના કારણે ભાજપની જીત થઇ છે.
નાણાં વિભાગનો હવાલો ધરાવતા નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ 3જી માર્ચ, 2021 ના રોજ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું નવમી વાર અંદાજપત્ર (Budget) રજુ કર્યું. નાણાંપ્રધાન નીતિન પટેલે વર્ષ 2021-22 માટે રજૂ કર્યું 2,27,029 કરોડનું બજેટ, ગુજરાતનાં ઇતિહાસનું સૌથી મોટું બજેટ તરીકે જોવામાં આવે છે.
બજેટ રજુ કરતી વખતે નીતિનભાઈ પટેલે તાજેતરની ચૂંટણીની જીત વિશે પણ વાત કરી હતી. તેમને કહ્યું કે લોકડાઉનમાં સરકારે કરેલા કામના જવાબમાં જનતાએ ભાજપને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજયી બનાવ્યા છે. તેમણે કહ્યું મફત અનાજ, મફત સારવાર અને રોકડા રૂપિયા આપ્યા અને આના કારણે ભાજપની જીત થઇ છે. આ ઉપરાંત લોકડાઉન દરમિયાન ગુજરાત સરકારે કરેલી કામગીરીની વાત કરી હતી.
નીતિનભાઈએ કહ્યું કે, લોકડાઉન સમયે રાજ્યમાં એક પણ વ્યક્તિ ભૂખ્યો ના રહે તેનું ધ્યાન સરકારે રાખ્યું છે. દવા સાથે ભોજનની પણ વ્યવસ્થા કરી. જેમાં સરકારે 69 લાખ કુટુંબોની 3 કરોડ 36 લાખની જનસંખ્યાને સસ્તા અનાજની મંડળી દિન દયાલ ઉપાદ્યાય દ્વારા 6 વખત વિના મુલ્યે અનાજ આપ્યું. જેમાં સરકારે ઘઉં ચોખા ચણા દાળ ખાંડ અને મીઠાનું વિતરણ કર્યું. આ બાદ BPL સિવાયના APLના માધ્યમવર્ગના 61 લાખ પરિવારોને પણ સરકારે 1 કિલો ચણા દાળ, એક કિલો ખાંડનું વિતરણ કર્યું.
આ બાદ નીતિનભાઈએ કહ્યું કે મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ 67 લાખ 38 હજાર પરિવારોને લોકડાઉન વખતે 1 હજાર રૂપિયા આપવામાં આવ્યા. જે બેંક ખાતામાં સીધા જમા કરાવ્યા. આ કાર્યોનો હવાલો આપતા નાણા પ્રધાને કહ્યું કે આ કામગીરીએ જ ભાજપને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજયી બનાવ્યા છે.