TMCમાંથી રાજીનામુ આપનાર દિનેશ ત્રિવેદી, ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બની શકે છે
TMC માંથી રાજીનામુ આપનારા દિનેશ ત્રિવેદી મોદીની હાજરીમાં ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપમાં જોડાયા બાદ દિનેશ ત્રિવેદીને, માર્ચમાં ગુજરાતમાં યોજાનાર રાજ્યસભાની બે બેઠક માટે ચૂંટણીમાં જીતાડીને રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી સંભાવના છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પૂર્વે તૃણમુલ કોંગ્રેસ ( TMC )ના આગેવાનો એક પછી એક પક્ષ અને મમતાદીદીનો સાથ છોડી રહ્યાં છે. આ પરંપરામાં મૂળ ગુજરાતી એવા પૂર્વ કેન્દ્રિય પ્રધાન દિનેશ ત્રિવેદીએ આજે TMCમાંથી રાજીનામુ આપી દિધુ છે. રાજકિય સૂત્રોનું માનીએ તો, મૂળ ગુજરાતી એવા દિનેશ ત્રિવેદી આગામી 14મી ફેબ્રુઆરીના રોજ, વડાપ્રધાન નરેન્દ્રની હાજરીમાં ભાજપનો ભગવો ધારણ કરી શકે છે. ભાજપમાં જોડાયા બાદ, દિનેશ ત્રિવેદી ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી લડી શકે છે. આગામી પહેલી માર્ચના રોજ ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠક માટે ચૂંટણી યોજાનાર છે. જે પૈકી એક બેઠક ઉપરથી દિનેશ ત્રિવેદીને ભાજપ રાજ્યસભામા મોકલી શકે છે. આ પૂર્વે ભાજપ દ્વારા ગુજરાતમાંથી અરુણ જેટલી, સ્મૃતિ ઈરાની, એસ. જયશંકરને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. રાજકિય સૂત્રોનુ કહેવુ છે કે, પશ્ચિમ બંગાળમાં ટીએમસીની સામે રણનિતીના ભાગરૂપે, દિનેશ ત્રિવેદીને રાજકીય મેદાનમાં ઉતારશે. ખાસ કરીને મમતા બેનર્જીના પશ્ચિમ બંગાળનો ગઢ સર કરવા માટે દિનેશ ત્રિવેદી સહીત TMCમાંથી રાજીનામુ આપનારા રાજકીય અગ્રણીઓને મહત્વની જવાબદારી સોપવામાં આવશે.