બ્રિટનની સંસદમાં ચર્ચાયો ખેડૂત આંદોલનનો મુદ્દો, 90 મિનીટ ચાલી ચર્ચા, જાણો શું કહ્યું બ્રિટિશ સરકારે
ભારતમાં ખેડૂત આંદોલન લગભગ 3 મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યું છે. હવે આ બાબતે બ્રિટનની સાંસદમાં પણ ચર્ચા થવા લાગી. 90 મિનીટ ચાલેલી ચર્ચામાં સરકારનો વિરોધ અને સમર્થન બંને થયું.
બ્રિટનની સંસદમાં ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે ચર્ચા થઈ. ઓનલાઇન પીટીશન પર લોકોના મળેલા સમર્થન પછી આ ચર્ચા કરવામાં આવી. આ પીટીશનમાં બ્રિટિશ સરકારને અપીલ કરવામાં આવી હતી કે, આંદોલનકારી ખેડુતોની સલામતી અને પ્રેસની સ્વતંત્રતા સુનિશ્ચિત થાય તે માટે ભારત સરકાર પર દબાણ લાવવામાં આવે. આ પીટીશન નવેમ્બર મહિનામાં શરૂ થઈ હતી. જેમાં 1 લાખથી વધુ લોકોએ સહી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર લગભગ 1.16 લાખ લોકોએ આ પીટીશન પર હસ્તાક્ષર કર્યા છે.
ચર્ચા લંડનના પોર્ટકુલિસ હાઉસ ખાતે થઈ હતી. જે લગભગ 90 મિનિટ સુધી ચાલી. કોવિડ પ્રોટોકોલને કારણે કેટલાક સાંસદોએ ઘરેથી ડિજિટલ માધ્યમથી તેમાં ભાગ લીધો હતો, તો કેટલાક સાંસદો શારીરિક રીતે સંસદમાં હાજર હતા. ખેડૂત આંદોલનને લેબર પાર્ટીએ સર્વોચ્ચ સમર્થન આપ્યું. લેબર પાર્ટીના પૂર્વ સાંસદો, જેમાં લેબર પાર્ટીના પૂર્વ નેતા જેરેમી કોર્બીનનો (Jeremy Corbyn) સમાવેશ થાય છે. તેમણે અગાઉ એક ટ્વિટમાં ખેડૂતોને સમર્થન આપ્યું હતું.
આ દરમિયાન કન્ઝર્વેટિવ પાર્ટીની થેરેસા વિલિયર્સે (Theresa Villiers) ભારત સરકારને સમર્થન આપતાં કહ્યું હતું કે કૃષિ ભારતની પોતાની આંતરિક બાબત છે, વિદેશી સંસદમાં તેની ચર્ચા થઈ શકે નહીં.
આ ચર્ચાના પ્રતિસાદ માટે પ્રતિનિધિ પ્રધાન નિગેલ એડમ્સે (Nigel Adams) કહ્યું કે ‘કૃષિ સુધારણા એ ભારતનો પોતાનો ‘ઘરેલું મામલો’ છે, બ્રિટીશ પ્રધાન અને અધિકારીઓ આ મુદ્દે ભારતીય સમકક્ષો સાથે સતત સંપર્કમાં છે અને આ મુદ્દા પર ખૂબ નજીકથી નજર રાખી રહ્યા છે.’
પ્રધાન નિગેલ એડમ્સે વધુમાં કહ્યું કે, ‘અમે ભારતની સાથે યુએન સુરક્ષા પરિષદમાં અને જી-7 સમિટમાં પણ સારા પરિણામ માટે કામ કરી રહ્યા છીએ. વૈશ્વિક સમસ્યાઓના નિરાકરણ માટે બંને દેશોના સંબંધો પણ કામ લાગશે. તે ભારત અને યુકેમાં પણ સમૃદ્ધિ લાવશે.
નિગેલે કહ્યું, “જોકે બંને દેશો વચ્ચે સારા સંબંધ હોવા છતાં આ અમને મુશ્કેલ પગલા ઉઠાવતા નથી રોકતું”. નિગેલ એડમ્સે આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં ભારત સરકાર અને ખેડૂત સંઘો વચ્ચેની વાતચીતમાં સકારાત્મક પરિણામ મળશે.