ઉતરાખંડના CM તીરથ સિંહ રાવતે વ્યક્ત કરી મોદી ભક્તિ, કહ્યુ રામ અને કૃષ્ણની માફક ઘરે ઘરે પુજાશે PM મોદી
ઉત્તરાખંડમાં નવા બનેલા મુખ્યમંત્રીએ તેમના એક ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) તુલના ભગવાન શ્રી રામ અને કૃષ્ણ સાથે કરી હતી. આ બાદ આ નિવેદન પર ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ઉત્તરાખંડના નવા મુખ્ય પ્રધાન તિરથ સિંહ રાવતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) તુલના ભગવાન રામ સાથે કરી છે. તેઓએ રવિવારે ઋષિકેશમાં આવેલી સરકારી પીજી આયુર્વેદિક કોલેજના સભાગૃહમાં સામાજિક સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમ ‘નેત્ર કુંભ’ માં ભાગ લીધો હતો. ત્યાં તેમને આ મોટું નિવેદન આપ્યું હતું.
સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ રાવતે કહ્યું કે “આજે વિવિધ દેશોના નેતાઓ વડા પ્રધાન સાથે ફોટો ક્લિક કરવા લાઇનમાં ઉભા રહે છે. આ પહેલાના સમયથી વિરુદ્ધ થઇ રહ્યું છે, જ્યારે કોઈ વિશ્વ નેતાને આપણા દેશના વડા પ્રધાનથી કોઈ ફરક નહોતો પડતો. નરેન્દ્ર મોદીના કારણે હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. આ એક નવું ભારત છે જે તેમણે બનાવ્યું છે.”
‘મોદી ઝિંદાબાદ’ના નારા વચ્ચે સીએમ તીરથે કહ્યું હતું કે જેમ દ્વાપર યુગમાં ભગવાન શ્રી રામ અને ત્રેતા યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ તેમના કાર્યોથી સમાજમાં આદર મેળવ્યો અને ભગવાનનો દરજ્જો મેળવ્યો, તે જ રીતે ભવિષ્યમાં પીએમ મોદીની પણ પૂજા કરવામાં આવશે.
આ ઉપરાંત રાવતે કહ્યું કે મેગા મહોત્સવમાં કોઈ પણ આરટી-પીસીઆર રિપોર્ટ અથવા યાત્રાળુઓની નોંધણીની જરૂર નહીં હોય. જો કે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે. તેમણે કહ્યું કે કુંભમેળાને લઈને નકારાત્મક વાતાવરણ હતું, અમે તેને સાફ કરી દીધું છે. લોકો ચિંતા વગર આવી શકે છે કોઈને અટકાવવામાં આવશે નહીં.