WEST BENGAL : કોંગ્રેસ બાદ BJP નું પણ એલાન, ચૂંટણી પ્રચારમાં નહીં થાય મોટી રેલી-જનસભા
WEST BENGAL : કોરોનાના કારણે કોંગ્રેસ બાદ હવે BJP એ પણ ચૂંટણી પ્રચાર ઘટાડ્યો.
WEST BENGAL : દેશમાં એક બાજું કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને બીજી બાજું પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. એક બાજુ કોરોનાના રોજ રેકોર્ડબ્રેક કેસો સામે આવી રહ્યાં છે એવામાં રાજકીય પક્ષો દ્વારા થતા ચૂંટણી પ્રચાર પર પણ સવાલો ઉભા થયા હતા. સૌ પ્રથમ કોંગ્રેસે રેલી-જનસભા રદ્દ કરવાની જાહેરાત કરી તો હવે BJP એ પણ આની જાહેરાત કરી છે.
ભાજપે ચૂંટણી પ્રચાર ઘટાડ્યો કોરોનાના મામલામાં થયેલા મોટાપાયે વૃદ્ધિ અને મોટી સભા વિશે વિપક્ષ દ્વારા સવાલ ઉભા થવાને કારણે હવે ભારતીય જનતા પાર્ટી (BJP) એ પણ જાહેરસભા ટૂંકાવી દેવાનો નિર્ણય કર્યો છે. BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે હવે પીએમ મોદીની સભામાં માત્ર 500 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. મંગળવારથી ભાજપ પોતાનું અપના બૂથ-કોરોના મુક્ત અભિયાન હાથ ધરશે અને પાર્ટી રાજ્યના નાગરિકોને છ કરોડ માસ્ક સાથે સેનિટાઇઝરનું વિતરણ કરશે.
સૌ પ્રથમ રાહુલ ગાંધીએ રેલી કરવાની ના પાડી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં કોરોનાને લઈને પહેલીવાર રેલીઓ ન યોજવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોરોનાની અનિયંત્રિત ગતિને કારણે તતેઓ તમામ રેલીઓને રદ કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે રાજકીય પક્ષોએ આવા સમયે આ રેલીઓથી જનતા અને દેશ માટેના જોખમો વિશે વિચારવું જોઇએ. આ સાથે જ કોંગ્રેસ તરફથી સત્તાવાર નિવેદન પણ આવ્યું હતું કે હવે પાર્ટી મોટી રેલી નહીં કરે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અધિર રંજન ચૌધરીએ આ માહિતી આપી છે.
મમતાએ પણ મોટી રેલી યોજવાનું ટાળ્યું હતું પશ્ચિમ બંગાળમાં કોરોનાના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ મોટી જાહેરાત કરી છે. મમતા બેનર્જી હવે બંગાળમાં પ્રચાર નહીં કરે. મમતાની પાર્ટી TMC હવે કલકત્તામાં નાની ચૂંટણી બેઠકો કરશે.
હવે 3 તબક્કાનું મતદાન બાકી રહ્યું West Bengal Bengal Election 2021 માં અત્યાર સુધીમાં પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે હવે 22 એપ્રિલના રોજ છઠ્ઠા તબક્કામાં 43 બેઠકો પર મતદાન થશે અને 26 મી એપ્રિલે સાતમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન થશે. આઠમા અને અંતિમ તબક્કાની ચૂંટણી 29 એપ્રિલના રોજ યોજાશે, જેમાં 35 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. મતની ગણતરી 2 મેના રોજ થશે.