BIHAR : લાંબા સમય બાદ નીતીશ સરકારના મંત્રીમંડળનું થશે વિસ્તરણ, રાજભવનમાં તૈયારીઓ પૂર્ણ
BIHAR : ગત વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં NDA ગઠબંધનને બહુમતી મળ્યા બાદ 16 ડિસેમ્બર 2020ના રોજ 14 પ્રધાનોએ શપથ ગ્રહણ કર્યા હતા, ક્યારે નીતીશકુમારે મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા.
BIHAR માં મંગળવારે લાંબા સમય બાદ નીતીશ કુમારની કેબિનેટનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. પટનાના રાજભવનના રાજેન્દ્ર મંડપમ ખાતે મંત્રીમંડળ વિસ્તરણ સમારોહ યોજાશે. અગાઉ કેબિનેટ વિસ્તરણનો દિવસ ગયા મહિને નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ તે મુલતવી રાખવામાં આવ્યો હતો. ગત વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં NDA ગઠબંધનને બહુમતી મળ્યા બાદ 16 ડિસેમ્બર 2020ના રોજ 14 પ્રધાનોએ શપથ ગ્રહણ કર્યા હતા, ક્યારે નીતીશકુમારે મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા. 9 ફેબ્રુઆરીએ શપથ લેનારા નવા પ્રધાનોના નામ હજી જાહેર કરવામાં આવ્યાં નથી.
બિહારમાં મંત્રીમંડળના વિસ્તરણ અંગે છેલ્લા કેટલાક દિવસોથી અટકળો ચાલી રહી છે કે BJP અને JDU વચ્ચે વિભાગોની વહેચણી અંગે કોઈ સહમતિ સધાઈ નથી. બંને પાર્ટીઓ પણ આ બાબતને નકારી રહી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં મુખ્યપ્રધાન નીતીશ કુમારે ઘણીવાર કહ્યું હતું કે કેબિનેટના વિસ્તરણ અંગે તેમના તરફથી કોઈ વિલંબ નથી થઇ રહ્યો પરંતુ નિર્ણય તો ભાજપે જ લેવાનો રહેશે.
બિહારમાં ભારતીય જનતા પાર્ટી અને જેડીયુના ટોચના નેતાઓ વચ્ચે કેબિનેટ વિસ્તરણને લઈને ઘણી બેઠકો થઈ છે. જો કે બંને પક્ષો વચ્ચે કયા ફોર્મ્યુલા પર સહમતી સધાઈ છે તે અંગે સ્થિતિ હજી અસ્પષ્ટ છે. બિહારની એનડીએ સરકારમાં ભાજપ, જેડીયુ, પૂર્વ મુખ્યપ્રધાન જીતનરામ માંઝીનો હિન્દુસ્તાની અવમ મોરચો (HAM)અને મુકેશ સાહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) એમ કુલ ચાર પક્ષો છે.
નીતિશ કુમારના પ્રધાનમંડળમાં હાલમાં ભાજપના બે ઉપમુખ્યપ્રધાનો સહીત સાત પ્રધાનો છે. જયારે જેડીયુમાંથી મુખ્યપ્રધાન ઉપરાંત ફક્ત ચાર જ પ્રધાનો છે. જીતનરામ માંઝીની પાર્ટીમાંથી તેમના પુત્ર અને વિકાસ ઇન્સાન પાર્ટીના સહાનીને પણ કેબિનેટમાં શામેલ કરવામાં આવ્યા છે.