હુમલો કે અકસ્માત? જાણો ચૂંટણી પંચને મોકલાયેલા રિપોર્ટમાં મમતા બેનર્જીની ઈજા વિશે શું અપાઈ વિગતો
મમતા બેનર્જી (Mamata Banerjee) થોડા દિવસો અગાઉ ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં તેમની ઈજા વિશે હુમલો કે અકસ્માત અંગે ચર્ચાઓ ચાલી હતી. આ ઘટના વિશે ચૂંટણી પંચે રીપોર્ટ માંગ્યો હતો.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને નંદીગ્રામથી ટીએમસીના ઉમેદવાર મમતા બેનર્જીને (Mamata Banerjee) થોડા દિવસ પહેલા ઈજા પહોંચી હતી. આ ઈજા અંગે ચૂંટણી પંચને રિપોર્ટ મોકલવામાં આવ્યો. જણાવી દઈએ કે રિપોર્ટના કોઈપણ ભાગમાં ચાર-પાંચ લોકો દ્વારા કરવામાં આવેલા હુમલાનો ઉલ્લેખ નથી. રાજ્ય ચૂંટણી પંચના અધિકારીએ આ માહિતી આપી છે.
જો કે તેમણે કહ્યું કે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોની હાજરી રીપોર્ટમાં જણાવવામાં આવી છે. તેમણે કહ્યું કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના ક્યાં બની છે તેના વિશે કોઈ સ્પષ્ટ ફૂટેજ ઉપલબ્ધ નથી.
નંદિગ્રામ સીટ માટે ઉમેદવારી પત્ર ભર્યા બાદ ચૂંટણી પ્રચાર દરમિયાન 10 માર્ચે પૂર્વ મેદનીપુર જિલ્લાના બિરુલિયા બજારમાં બેનર્જીને ઈજા થઈ હતી. બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે ચાર-પાંચ લોકોના હુમલોમાં તેઓ ઘાયલ થયા છે. જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં એક દુકાનમાં સીસીટીવી હતા પરંતુ તે કામ કરી રહ્યા નથી. સ્થાનિક લોકો, પ્રત્યક્ષદર્શીઓના મિશ્ર અભિપ્રાયો મળી આવ્યા છે. તેથી કોઈ નિષ્કર્ષ પર આવવું હમણા શક્ય નથી.
તમને જણાવી દઇએ કે આ ઘટનાની નોંધ લેતા ચૂંટણી પંચે રિપોર્ટ માંગ્યો હતો. તે જ સમયે પંચે ટીએમસી દ્વારા તેના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા.