અરવિંદ કેજરીવાલના રોડ શોથી, પંચાયત-પાલિકાની ચૂંટણીમા થઈ શકે છે મતોનુ ધ્રુવિકરણ
દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ,, આજે સુરતમાં રોડ શો ( road show ) યોજવાની સાથે, પાટીદાર અને સામાજીક આગેવાનો સાથે બેઠક યોજશે. આ બેઠકમાં ગુજરાતના આગામી સમયના રાજકારણની ગતિવિધી અને રણનીતિ ઉપર ચર્ચા થવાની સંભાવના છે.
ભાજપનો વિક્લ્પ શોધતા મતદારો માટે, આગામી ચૂંટણીમાં AAP સ્વીકાર્ય બની શકે
છ મહાનગરપાલિકા પૈકી સુરત (SURAT) મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કરેલા ઉત્સાહજનક દેખાવને લઈને મતદારોનો આભાર માનવા દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ( Arvind Kejriwal ) આજે સુરતમાં રોડ શો કરશે. સુરતમાં રોડ શો ( road show ) કરવાથી, આગામી રવિવાર 28 ફેબ્રુઆરીએ યોજાનાર જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં મતોનુ ઘ્રુવિકરણ થઈ શકે તેમ કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે.
દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સારી રીતે જાણે છે કે, કેટલાક પાટીદાર આગેવાન ઉપરાંત અન્ય સામાજીક આગેવાનો ભાજપની નારાજ છે. આવા સામાજીક અને પાટીદાર આગેવાનો સૌરાષ્ટ્રમાં પણ વર્ચસ્વ ધરાવી રહ્યાં છે. લોકોમાં વર્ચસ્વ ધરાવનારા પાટીદાર અને સામાજીક આગેવાનો સાથે અરવિંદ કેજરીવાલ સુરતમાં બેઠક યોજશે અને તેમની માંગણીઓ સંદર્ભે ચર્ચા વિચારણા કરશે. એવુ મનાઈ રહ્યું છે કે, જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત બને તો ભાજપને રાજકીય નુકસાન થઈ શકે છે. મતદારોનો એક વર્ગ એવો છે કે જેઓ ભાજપના વિક્લ્પે કોંગ્રેસને મત આપવા માંગતા નથી. પણ જો આપ સારી કામગીરી કરીને ઉભરી આવે તો આ વર્ગ ચોક્કસ આમ આદમી પાર્ટીને સ્વીકારીને આગામી ચૂંટણીમાં તેના તરફે મતદાન કરે.