અમિત શાહે રાહુલ ગાંધીને ગણાવ્યા ‘ટૂરિસ્ટ નેતા’, ભાજપના DNA પર ઉભા થયેલા સવાલનો આપ્યો આ જવાબ
પશ્વિમ બંગાળમાં ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે દેશમાં ટૂરિસ્ટ નેતાઓ છે.
ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના પ્રવાસ પર છે. કોરોના રોગચાળા વચ્ચે બંગાળમાં રાજકારણીઓની રાજકીય રેલીઓનો દોર ચાલુ છે. રાજ્યના પાંચમા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા ગૃહમંત્રીએ તેહત્તામાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે દેશમાં ટૂરિસ્ટ નેતાઓ છે. મંત્રીએ રાહુલ ગાંધીનું નામ લીધું અને કહ્યું, ‘મતદાનના ઘણા તબક્કાઓ પૂરા થયા છે, પરંતુ રાહુલ બાબા ક્યાંય દેખાતા નથી. તેમણે હમણાં જ એક રેલી યોજી હતી અને ભાજપના ડીએનએ વિશે વાત કરી હતી. અમારા ડીએનએ વિશે પૂછશો નહીં કારણ કે તે વિકાસ, રાષ્ટ્રવાદ અને આત્મનિર્ભર ભારતનું પ્રતિબિંબ પ્રદર્શિત કરે છે.’ અમિત શાહે આ સાથે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા.
અમિત શાહે સાથે લોકોને સંબોધન કરતાં કહ્યું કે, ‘જે લોકો અહીં 70 વર્ષથી આવ્યા છે, તેઓ પોતાના દેશમાં શરણાર્થીઓની જીંદગી જીવી રહ્યા છે. ભાજપ તેમને નાગરિકત્વ અપાવવાનું કામ કરશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નાગરિકત્વ મેળવનારા શરણાર્થીઓ માટે 100 કરોડનું ભંડોળ બનાવવામાં આવશે.’
બંગાળમાં ઘૂસણખોરી બંધ કરવા પર બોલ્યા અમિત શાહ
આ સાથે જ અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું, ‘શું આપણે બંગાળમાં ઘુસણખોરી બંધ ન કરવી જોઈએ? ઘુસણખોરો આપણા યુવાનોની નોકરી છીનવી લે છે, ગરીબોનું અનાજ છીનવી લે છે. જો બંગાળમાં ઘુસણખોરીની સ્થિતિ યથાવત્ છે, તો મારા પર વિશ્વાસ કરો, તે માત્ર બંગાળ જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે જોખમ પેદા કરશે.’
બંગાળમાં આવતીકાલે પાંચમા તબક્કા માટે મતદાન
તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં મતદાનના ચાર તબક્કાઓ થઈ ચૂક્યા છે. હવે પાંચમા તબક્કા હેઠળ છ જિલ્લાઓમાં 45 બેઠકો પર ચૂંટણી 17 એપ્રિલ એટલે કે આવતીકાલે યોજાવાની છે. મતની ગણતરી 2 મેના રોજ કરવામાં આવશે. આ વચ્ચે નેતાઓનો ચૂંટણી પ્રચાર જોરોશોરોથી ચાલી રહ્યો છે. જેમાં રાજકીય પાર્ટીના નેતાઓ એકબીજા પર આકરા પ્રહાર કરતા રહેતા હોય છે.
આ પણ વાંચો: Double Income: એમેઝોન કંપનીને કોરોના ફળ્યો, એક વર્ષમાં 1594 અબજ રૂપિયાની કરી કમાણી