આંદોલનકારી કેન્દ્રમાં સત્તા પરિવર્તન નથી ઈચ્છાતા, પ્રશ્નોનો ઉકેલ ઇચ્છે છે: રાકેશ ટિકૈત
રાકેશ ટિકૈતે બુધવારે કહ્યું કે અંદોલનકારી કિસાન કેન્દ્રમાં સત્તા પરિવર્તન નથી ઈચ્છતા. પરંતુ સમસ્યાનું સમાધાન ઈચ્છે છે. ખેડૂત નેતાઓ આંદોલનને મોટું બનાવવા માટે દેશના વિવિધ ભાગોની મુલાકાત લેશે.
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે બુધવારે કહ્યું કે અંદોલનકારી કિસાન કેન્દ્રમાં સત્તા પરિવર્તન નથી ઈચ્છતા. પરંતુ સમસ્યાનું સમાધાન ઈચ્છે છે. તેમણે કહ્યું કે ખેડૂત નેતાઓ આંદોલનને મોટું બનાવવા માટે દેશના વિવિધ ભાગોની મુલાકાત લેશે. ટિકૈતે અગાઉ કહ્યું હતું કે પોલીસે લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ લગાડનારાઓને પોલીસે ગોળી મારી દેવી જોઈતી હતી. જ્યારે આજે કહી રહ્યા છે કે આ રાજદ્રોહ નથી અને યુવાનોને ફસાવવામાં આવી રહ્યો છે.
ટિકૈતે સિંઘુ બોર્ડર પરના ખેડુતોને સંબોધન કહ્યું કે કેન્દ્ર સરકારના પ્રશ્નોના સમાધાન ન થાય ત્યાં સુધી ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન ચાલુ રહેશે. આ ઉપરાંત કહ્યું કે ‘કેન્દ્રમાં પરિવર્તન કરવાનું અમારું લક્ષ્ય નથી. સરકારે તેનું કામ કરવું જોઈએ. અમે કૃષિ કાયદાઓ અને MSPના કાયદાને રદ કરવા માગીએ છીએ.’ ભારતીય કિસાન યુનિયનના નેતાએ કહ્યું કે,’સરકારે વાત કરવી જોઈએ. અમારી સમિતિ વાત કરવા તૈયાર છે. વાટાઘાટોથી સમાધાન નીકળશે અને મામલો ઉકેલાશે. ‘
લાલ કિલ્લાની ઘટનાનો ઉલ્લેખ કરતાં ટિકૈતે કહ્યું હતું કે યુવાનોને ધાર્મિક ધ્વજ લગાડવાની ઘટનામાં ફસાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું, ‘પરવાનગી વગરના સ્થાનો પર ધ્વજ લગાવવા માટે કઈ ધારા લગાવવામાં આવે છે? તે ધારા લગાવીને કેસ નોંધે. આમાં કયું રાજદ્રોહનું કામ કરી લીધું? ટિકૈતે આરોપ લગાવ્યો છે કે લાલ કિલ્લાની ઘટના આંદોલનને સમાપ્ત કરવા અને ખેડૂતોનું મનોબળ તોડવા સરકાર દ્વારા કરવામાં આવેલું કાવતરું છે.
તેમણે એમ પણ કહ્યું કે સંયુક્ત કિસાન મોરચાની એકતા અકબંધ છે. સરકારે કોઈ ભ્રમણામાં રહેવું ના જોઈએ. ટિકૈતે કહ્યું, ‘કોણ કહે છે કે સંયુક્ત ખેડૂત મોરચો વેરવિખેર થઈ જશે? ન તો અમારું સંયુક્ત મંચ વહેંચવામાં આવશે કે ન તો મોરચો વેરવિખેર થશે. અહીં સિંઘુ બોર્ડર પર અમારું મંચ રહેશે જ અને તેના નેતાઓ જ અમારા પ્રમુખ હશે.” તેમણે કહ્યું કે, દેશભરમાં મોટી સભાઓનું આયોજન કરીને અને 40 લાખ ટ્રેકટરો જોડીને આંદોલનનો વિસ્તાર કરવામાં આવશે. ખેડૂત નેતાઓ આંદોલન ફેલાવવા વિવિધ રાજ્યોની મુલાકાત લેશે.
આ ઉપરાંત ટિકૈતે કહ્યું, “ચિંતા કરશો નહીં, અમે જીતીશું. દેશભરના ખેડુતો દિલ્હીની આસપાસના 300 કિ.મીના ક્ષેત્ર તરફ નજર રાખી રહ્યા છે. અમે દેશના દરેક ગામમાં જઈશું, મોટી સભાઓ યોજીશું અને 40 લાખ ટ્રેકટરોને આંદોલન સાથે જોડીશું.” ટિકૈતે કહ્યું કે ખેડૂત આંદોલન એ સુનિશ્ચિત કરવાનું છે કે અનાજ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે અને તે કોર્પોરેટના હાથમાં ન રહે. નવા કૃષિ કાયદાઓ માત્ર ખેતી અને ખેતીનો નાશ જ નહીં કરે, પરંતુ તે દેશના નાના ઉદ્યોગપતિઓ અને સામાન્ય લોકોને પણ આર્થિક રીતે તોડશે. તેમણે ફરી કર્યું કે આંદોલન સંપૂર્ણપણે બિનરાજકીય છે અને કોઈ પણ રાજકીય પક્ષને આ આંદોલનમાં તેના હિતોનું પાલન કરવાની તક મળશે નહીં.