કાશ્મિરમાં પાકિસ્તાન તરફી સૂત્રો બોલાવનારા કટ્ટરવાદી સૈયદ અલી શાહ ગીલાનીએ હુરીયત કોન્ફરન્સમાથી આપ્યુ રાજીનામુ
કાશ્મિરમાં રહીને પાકિસ્તાન તરફી વલણ દાખવનારા અને કાશ્મિરના યુવાનોમાં અવારનવાર પાકિસ્તાનનો જયજયકાર કરાવનારા કટ્ટરવાદી નેતા સૈયદ અલી શાહ ગીલાનીએ ઓલ પાર્ટી હુરીયત કોન્ફરન્સમાંથી રાજીનામુ આપી દીધુ છે. કેન્દ્ર સરકારે કાશ્મિરને લગતી કલમ 370 દૂર કરીને જમ્મુ કાશ્મિરમાંથી પાકિસ્તાન તરફી અલગાવવાદી નેતાઓનુ રાજકારણ જ સમાપ્ત કરી દીધુ છે. ઓલ પાર્ટી હુરીયત કોન્ફરન્સ એ જમ્મુ કાશ્મિરમાં સક્રીય […]
કાશ્મિરમાં રહીને પાકિસ્તાન તરફી વલણ દાખવનારા અને કાશ્મિરના યુવાનોમાં અવારનવાર પાકિસ્તાનનો જયજયકાર કરાવનારા કટ્ટરવાદી નેતા સૈયદ અલી શાહ ગીલાનીએ ઓલ પાર્ટી હુરીયત કોન્ફરન્સમાંથી રાજીનામુ આપી દીધુ છે. કેન્દ્ર સરકારે કાશ્મિરને લગતી કલમ 370 દૂર કરીને જમ્મુ કાશ્મિરમાંથી પાકિસ્તાન તરફી અલગાવવાદી નેતાઓનુ રાજકારણ જ સમાપ્ત કરી દીધુ છે. ઓલ પાર્ટી હુરીયત કોન્ફરન્સ એ જમ્મુ કાશ્મિરમાં સક્રીય નાના મોટા અલગાવવાદી જૂથની સર્વોચ્ચ સંસ્થા ગણાય છે. હુરીયત કોન્ફરન્સમાંથી રાજીનામુ આપતા ગીલાનીએ ઓડીયે મેસેજ જાહેર કરી જણાવ્યુ છે કે, રાજીનામા અંગે હુરીયતના તમામ નાના મોટા ઘટક દળ અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓના વડાઓને જાણ કરી દેવાઈ છે.
ઓલ પાર્ટી હુરીયત કોન્ફરન્સ બે ભાગમાં વહેચાયેલી છે. એક ભાગ કટ્ટરવાદમાં માને છે જ્યારે બીજો ભાગ ઉદારવાદી ગણાય છે. ગીલાનીની ગણના કટ્ટરવાદીઓમાં થાય છે. 1990ના દશકામાં કાશ્મિરમાં ફેલાયેલા આંતકવાદ, અલગાવવાદને રાજકીય મંચ પૂરો પાડવા ઓલ પાર્ટી હુરીયત કોન્ફરન્સની રચના કરવામાં આવી હતી. કાશ્મિરમાં સક્રીય તમામે તમામ આંતકી સંગઠનો કોઈને કોઈ પ્રકારે હુરીયત કોન્ફરન્સ સાથે જોડાયેલા છે. 9 માર્ચ 1993ના રોજ કાશ્મિરમાં સક્રીય 26 અલગાવવાદી જૂથોએ એકઠા થઈને, છ વ્યક્તિઓની આગેવાનીમાં ઓલ પાર્ટી હુરીયત કોન્ફરન્સની સ્થાપના કરી હતી. જે તે સમયે કાશ્મિરમાં ઓલ પાર્ટી હુરીયત કોન્ફરન્સનો નિર્ણય એ આખરી નિર્ણય ગણાતો હતો. હુરીયત કોન્ફરન્સમાં મતભેદ સર્જાતા, 2004માં ગીલાનીએ પોતાના ટેકેદારો સાથે નવુ જૂથ બનાવ્યુ. આની સાથે જ ઓલ પાર્ટી હુરીયત કોન્ફરન્સ બે જૂથમાં વહેચાઈ ગયું.
કાશ્મિર બાબતોના જાણકારોનું કહેવુ છે કે, કેન્દ્રમાં મોદી સરકાર અસ્તિત્વમાં આવ્યા બાદ, 2017 પછી કાશ્મિરમાં ગીલાનીની પકડ ઢીલી પડી. ગીલાનીની સામે ઓલ પાર્ટી હુરીયત કોન્ફરન્સમાં મતભેદ અને મનભેદ વધતા ચાલ્યા. રાજનીતિક કોઈ મોટા નિર્ણયો લેવામા અસમર્થ હતા. છેલ્લા એક વર્ષથી કહી શકાય કે મૌન રહ્યા હતા. અને હુરીયત કોન્ફરન્સ સાથે જોડાયેલા નાના મોટા જૂથ પોત પોતાની રીતે વર્તવા લાગ્યા. પોતાનુ વર્ચસ્વ ઘટતા અને શ્વાસ, હ્રદયરોગ તેમજ કિડનીના રોગથી પિડાતા ગીલાનીને આખરે આજે રાજીનામાની જાહેરાત કરવી પડી.