કાનુની સવાલ : મિલકતના ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ ખોવાઈ ગયા છે ? ચિંતા ન કરો, આ રીતે પાછા મેળવી શકો છો
કાનુની સવાલ: ઘણા લોકો માટે મિલકત એટલે જીવનભરની કમાણીનો આધાર. પરંતુ જો કોઈ કારણસર મૂળ મિલકતના દસ્તાવેજો ખોવાઈ જાય તો એ મોટો તણાવ બની શકે. ચિંતા કરવાની જરૂર નથી. કાયદા મુજબ યોગ્ય પ્રક્રિયા અનુસરવાથી તમે દસ્તાવેજોની સર્ટિફાઈડ નકલ મેળવી શકો છો.

પોલીસમાં ફરિયાદ નોંધાવો: જો મિલકતના દસ્તાવેજો ખોવાઈ ગયા હોય તો સૌપ્રથમ નજીકના પોલીસ સ્ટેશનમાં FIR (First Information Report) નોંધાવો. એમાં સ્પષ્ટ લખો કે કયા દસ્તાવેજો ખોવાઈ ગયા છે — જેમ કે સેલ ડીડ, એન.એ. ઓર્ડર, સોસાયટી એગ્રીમેન્ટ વગેરે. FIRની એક કૉપિ જરૂર રાખો. કારણ કે આગળની પ્રક્રિયામાં એ જરૂરી બનશે.

જાહેર જાહેરાત આપવી: FIR બાદ સ્થાનિક અખબારમાં જાહેર સૂચના આપવી પડે છે કે તમારા દસ્તાવેજો ખોવાઈ ગયા છે. એ સૂચનામાં તમારી મિલકતનું સરનામું, દસ્તાવેજનો પ્રકાર અને જો કોઈને તે દસ્તાવેજ મળી આવે તો ક્યાં સંપર્ક કરવો તે લખવું જરૂરી છે. સામાન્ય રીતે 15 દિવસ સુધી કોઈ વિરોધ ન આવે તો આગળનું પગલું લઈ શકાય છે.

નોટરાઈઝ્ડ એફિડેવિટ તૈયાર કરવી: આ પછી તમે એક એફિડેવિટ તૈયાર કરો જેમાં દસ્તાવેજો ખોવાઈ ગયા હોવાની વાત સત્યતા સાથે લખવામાં આવે છે. એ એફિડેવિટ નોટરી દ્વારા વેરિફાય કરાવવું જોઈએ. આ દસ્તાવેજ પણ રજીસ્ટ્રાર ઓફિસ અથવા સોસાયટીમાં રજૂ કરવો પડશે.

સબ-રજીસ્ટ્રાર કચેરીથી નકલ મેળવવી: મૂળ દસ્તાવેજોની નકલ મેળવવા માટે તે દસ્તાવેજ જ્યાં રજીસ્ટર થયા હતા તે સબ-રજીસ્ટ્રાર કચેરીમાં અરજી કરો. ત્યાં તમે FIR, એફિડેવિટ અને અખબારની કટિંગ સાથે અરજી આપો તો તમને Certified Copy (અધિકૃત નકલ) મળી જશે. આ નકલ કાયદેસર રીતે માન્ય ગણાય છે.

સોસાયટી કે બેંકને જાણ કરવી: જો મિલકત હાઉસિંગ સોસાયટીમાં હોય કે લોન હેઠળ હોય તો સોસાયટીના મેનેજર કે બેંકને તરત જાણ કરો. કેટલાક કેસમાં બેંક પાસે દસ્તાવેજની નકલ હોય છે, જે મદદરૂપ થઈ શકે છે.

દસ્તાવેજોનું ડિજિટલ સ્ટોરેજ રાખવું: આવા જોખમથી બચવા માટે ડિજિટલ કૉપિ રાખવી જરૂરી છે. સરકારની DigiLocker સેવા કે અન્ય સુરક્ષિત ક્લાઉડ સ્ટોરેજમાં દસ્તાવેજો સ્કેન કરીને રાખવાથી ભવિષ્યમાં મુશ્કેલી ઓછો થાય છે.

મિલકતના દસ્તાવેજ ખોવાઈ જવું ચિંતાનો વિષય છે, પરંતુ યોગ્ય કાયદાકીય પ્રક્રિયા અનુસરવાથી તમે સર્ટિફાઈડ નકલ મેળવી શકો છો. હંમેશા દસ્તાવેજોની ડિજિટલ કૉપિ રાખવી, પોલીસ અને અખબારમાં સમયસર જાણ કરવી એ તમારા હકની સુરક્ષા માટે જરૂરી છે.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
