કોર્ટ કેનેડાની, આરોપી ખાલીસ્થાની, આરોપ કનિષ્કા વિમાનના 329ની હત્યાનો…
કોણ હતો આ મલિક ? તેનો ખાલીસ્થાની ભૂતકાળ જાણવા જેવો રહે. 1985 માં 385 મુસાફરોને લઈ જતાં વિમાનમા તેણે બોમ્બ વિસ્ફોટ કર્યો.
રિપુદમન મલિક (Ripudaman Malik) તેનું નામ. એર ઇન્ડિયાના (Air India) વિમાનમા તેણે બોમ્બ મૂક્યો. બીજા વિમાનમા પણ તેવું કર્યું. બંને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ હતી. 1985ના આ હાહાકાર મચાવી દેનારા બનાવમાં 329 મુસાફરોના જીવ ગયા. અદાલતે તો આરોપી વિષે કોઈ ખાસ પુરાવા નથી એમ કહીને છોડી દીધા, પણ 14 જુલાઈના દિવસે કેનેડાના (Canada) સર્રે નગરમાં ખુલ્લી રીતે ગોળી ચલાવીને મારી નાખવામાં આવ્યો. બુકાનીધારીઑ તેના વેરહાઉસમાં સવારે આવ્યા, હાથમાં પિસ્તોલો હતી. મલિક વેંકોવરના આ સ્થાને રોજ સવારે આવતો, તેની કાર પણ બળીને ખાક થઈ ગઈ હતી.
કોણ હતો આ મલિક ? તેનો ખાલીસ્થાની ભૂતકાળ જાણવા જેવો રહે. 1985 માં 385 મુસાફરોને લઈ જતાં વિમાનમા તેણે બોમ્બ વિસ્ફોટ કર્યો. ટોરોન્ટો અને વેંકોવરના મુસાફરો તેમાં હતા. કેનેડાની પોલીસે તપાસ કરી. કેનેડા નિવાસી પંજાબી અલગાવવાદીઓનું આ કાવતરું હતું તેવી કડી મળી. અમૃતસરમાં 1984 માં સ્વર્ણમંદિર પર ઓપરેશન બ્લૂ સ્ટાર (Operation Blue Star) હેઠળ જે સૈનિકી પગલાં લેવામાં આવ્યા, અને ભિંદરાણવાલેને ખતમ કર્યો તેની ખિલાફ આ અલગાવવાદી જુથ કેનેડા અને બીજે હિંસાચારથી બદલો લેવાનું કામ કરી રહ્યું હતું. પહેલાં તેઓ વેંકોવર હવાઈ મથક પર સ્યૂટકેસ બોમ્બ લઈને ગયા. ટોરોન્ટો ફ્લાઇટ અહીથી આયર્લેંડના સમુદ્ર પર થઈને ઊડવાની હતી. 23 જૂન 1985 તેની દુર્ઘટનામાં કેટલાક મુસાફરોએ જીવ ગુમાવ્યા અને બીજા ટોકિયોના વિમાની મથક પર મર્યા.
કેનેડાના રોયલ માઉન્ટેડ પોલીસ ( RCMP)ની તપાસ શરૂ થઈ. 100 જગ્યાએ દરોડા પાડ્યા. તેમાં ઇંદ્રજીતસિંઘને ત્યાં વિસ્ફોટ્ક સામગ્રી મળી આવી. બબ્બર ખાલસાનો પ્રમુખ તલવિંદર સિંઘ પણ પકડાયો, પછીથી તે કેનેડા છોડીને પંજાબ આવ્યો ત્યારે એનકાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો. 1991માં ઇન્દ્ર્જીતસિંઘને બીજા કિસ્સોમાં પણ હાથ હોવાથી અદાલતમાં કેસ થયો અને 10 વર્ષની સજા થઈ. અજાયબ સિંઘ અને મુખ્ય આરોપી મલિકને 329ની ફ્લાઇટ દરમિયાનના બોમ્બથી હત્યાનો આરોપ મૂકીને 2000 માં કારવાઈ શરૂ કરવામાં આવી.
એપ્રિલ 2003થી સુનાવણી ચાલી. 100 શકમંદ સાક્ષી હતા. 2004ના ડિસેમ્બર સુધી મુક્દ્દ્મો ચાલ્યો. 2005ના માર્ચમાં ન્યાયમૂર્તિ જોસેફ્નના ચુકાદામાં મલિકને પુરાવાની મજબૂતી ના હોવાનો લાભ મળ્યો. પાંચ ગ્રંથોમાં 4000 પાનાનો આ ચુકાદો “એ કેનેડીયન ટ્રેજેડી ” નામ આપવામાં આવ્યું છે. સરકાર અને પોલીસને ભૂલોની પરંપરા કરનારા પરિબળ કહ્યા છે. પણ મમલિકનું શું થયું? ચાર વર્ષથી તો તે જેલમાં હતો. 2012માં છૂટ્યો. જન્મ્યો હતો લાહોરમાં. તેના પિતા અને પરિવારે લાહોરથી ફિરોઝપુર હિજરત કરી.
મલિક પહેલાં ઈંગ્લેન્ડ પછી વેંકોવર પહોંચ્યો. કેબ શરૂ કરી. અને ઉદ્યોગોમાં આગળ વધ્યો. ભારતમાં તે મહિલાઓના વસ્ત્રોનો વ્યવસાય કરતો. થાઈલેંડ, ઇંડોનેશિયા, ફિલિપિન્સ સુધી વિસ્તાર કર્યો. તેણે ખાલસા ક્રેડિટ યુનિયન સ્થાપ્યું. કેનેડાના આરોગ્ય વિભાગને પોતાની ગગનચુંબી ઇમારત ભાડે આપી. સતનામ એજ્યુકેશન સોસાઇટી બ્રિટિશ કોલમ્બિયામાં ચલાવી. ભારતની મુલાકાત લીધી ત્યારે અકાળ તખ્ત દર્શન અને મુલાકાતો માટે ગયો. 2019ના ડિસેંબરમાં વળી ભારતીય મુલાકાત કરી. તેનું નામ સરકારના બ્લેક લિસ્ટમાં હતું તે રહ્યું નહીં.
પણ તેનો અંજામ તો ખતરનાક જ રહ્યો. કેટલા અને કેવા અલગાવવાદીઓની જિંદગી આવા ઉત્પાતમાં પૂરી થઈ જતી હશે?
લેખકનો પરિચય :-
પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…
વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.
(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)