“પોપ્યુલર ફ્રન્ટ” ખરો, પણ દેશદ્રોહી હિકમતમાં !
તેની કરમકુંડળી તપાસવા જેવી છે એવું નહીં, અનિવાર્ય પણ છે. સ્વતંત્ર ભારતમાં લોકશાહીનો દુરુપયોગ કરીને અરાજકતા તરફ લઈ જનારી સંસ્થાઓ પર સખત પગલાં લેવાં જ પડે. આવી સંસ્થાઓ કશ્મીર, ઈશાન ભારત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, બંગાળ, ઝારખંડ અને દક્ષિણ ભારતમાં સંખ્યાની દ્રષ્ટિએ 100 જેટલી થવા જાય છે.
આમાની એક છે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (Popular Front of India). ટૂંકમાં તેને પીએફઆઈ કહેવામા આવે છે. સામાન્ય નાગરિકને તો હમણાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા દેશભરમાં દરોડા પાડ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામેના કાવતરાથી માંડીને બધે ઉશ્કેરણી કરીને દંગા-ફસાદ કરાવવાના કાતિલ ખેલ આ સંસ્થા કરી રહી છે તેનો અંદાજ આવ્યો. અત્યાર સુધીમાં 15 રાજ્યોમાં 93 સ્થાનોએ દરોડા પાડવામાં આવ્યા, 45 ની ધરપકડ થઈ એટલે તોફાનો શરૂ કરવામાં આવ્યા તે હકીકત આંખો ઊઘડનારી છે.
વિગતો એવી પણ મળી છે કે આ સંસ્થા વિદેશોમાંથી ફંડફાળો મેળવે છે અને આતંકવાદી પ્રવૃત્તિ ચલાવે છે. ખાસ કરીને આઈએએસઆઈએસ જેવી દુનિયાની ખતરનાક સંસ્થા(જેને દુનિયા આખીમાં ઈસ્લામિક રાજ્ય સ્થાપવું છે) માં ભારતીય મુસ્લિમ યુવકોની ભરતી કરવાનું તેનું આયોજન ચાલી રહ્યું છે. ઈડી વિભાગે તેવી 68.62 લાખની રકમ જૂન માહિનામાં પકડી પાડી હતી. પછી પગલાં લેવાની શરૂઆત થઈ.
છે શું આ સંસ્થા? કોણે તેના મૂળિયાં નાખ્યા? આ વિગતો તપાસવા જેવી છે
2007માં દક્ષિણની ત્રણ સંસ્થાઓ કેરળની નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ, કર્ણાટકની ફોરમ ફોર ડિગનીટી, અને તમિલનાડુની મનીથા નીથી પસારી ના નેતાઓને એવું લાગ્યું કે આમ અલગ રહેશું તો આપણા ઈરાદા સફળ થશે નહીં. નવેમ્બર 2006 માં આ સંસ્થાઓ કોઝીકોડમાં એકત્રિત થઈ. 16 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં રેલી કાઢી અને જાહેર કર્યું કે હવે આ ત્રણે સંસ્થાઓ ભળી જઈને “પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા” નામે ઓળખાશે.
પણ આ સાવ એક્દમ નિર્ણય નહોતો લેવાયો. એક બીજી ખતરનાક પ્રવૃત્તિ કરી રહેલી “સીમી” (સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મુવમેંટ ઓફ ઈન્ડિયા) મુસ્લિમ, દલિત, અને બીજી નાની જાતિઓ પર દમન થઈ રહ્યું છે એવી ઉશ્કેરણી કરતી હતી તેના પર પ્રતિબંધ જાહેર કરાયો એટલે બીજા નામે કામ ચાલુ રાખવામા આવ્યા તેમાં આ પીએફઆઈ પણ હતું. વ્યૂહરચના એવી કે આ શોષણ અને દમન કોંગ્રેસ, ભાજપ, જનતા દળ-એસ ત્રણે કરી રહ્યા છે તેવો પ્રચાર કરીને પોતાને મજબૂત કરવી. બરાબર આ જ કામ 1947 પૂર્વે મુસ્લિમ લીગ કરી રહી હતી.
આ સંસ્થા પોતે ચૂટણી નહોતી લડતી પણ બીજાને ટેકો આપતી હતી. પોતે તો સામાજિક અને કટ્ટર મઝહબી પ્રવૃત્તિ કરી રહી હતી. તેની સભ્ય સંખ્યાના કોઈ રેકોર્ડ નથી. 2009માં એક રાજકીય પક્ષ ઊભો કરવામાં આવ્યો. “સોસિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા” (એસડીપીઆઈ) તે આ પોપ્યુલર ફ્રન્ટનું જ ફરજંદ હતું. કેવું રૂપાળું નામ? અને કામ પણ મુસ્લિમ, દલિત, આદિવાસીનું કલ્યાણ! જ્યાં મુસ્લિમ નાગરિકોની વસતિ વધારે છે ત્યાં તેનો પગદંડો જમાવવામાં આવ્યો. દક્ષિણ કન્નડ અને ઉડીપીમાં તેની અસર થઈ. જોકે 2013 સુધી તો સ્થાનિક પંચાયત, નગર પંચાયત, જિલ્લા પરિષદ વગેરેમાં આ પક્ષના ઉમેદવારો ઊભા રાખવામા આવ્યા. 21 બેઠકો પર જીત મેળવી. 2018માં વિજેતા ઉમેદવારોની સંખ્યા વધીને 121 થઈ. ઉડુપીમાં ત્રણ નગર પંચાયતોમાં બહુમતી મેળવી. પછી વિધાનસભા ચૂટણી આવી. કર્ણાટક વિધાનસભા અને લોકસભામાં તેણે ઉમેદવારો ઊભા કર્યા. કેટલીક જગ્યાએ તેનો ઉમેદવાર બીજા ક્રમે આવ્યો. 2018માં 20 ટકા મત મેળવ્યા અને ત્રીજા ક્રમે રહી. દક્ષિણ કન્નડમાં પીએન પ્રયોગ કર્યો. કેરલમાં તેની મજબૂતી છે. મહારાષ્ટ્ર, બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં તેનું સંગઠન છે.
પીએફઆઈ પર કર્ણાટકમાં હત્યા અને રમખાણના 310 આરોપનામા પોલીસે કોર્ટમાં દાખલ કર્યા અને પાંચને તો સજા પણ થઈ. એક કોલેજ અધ્યાપકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. અનેક જગ્યાએ વિસ્ફોટ કર્યા, સરકારી સંપત્તિ બાળી મૂકવામાં આવી, ઈસ્લામિક રાજ્યની પ્રવૃત્તિ તો કાયમ ચાલુ જ છે.
પીએન તેનો પ્રમુખ એમ.કે. ફેઝી તો બચાવ કરી રહ્યો છે કે ના, અમે એવું કશું કરી રહ્યા નથી. ગુજરાતમાં પીએન તેનું સંગઠન વ્યાપક છે. ગુજરાતનાં ખંભાત, હિમ્મતનગરમાં રામ નવમીએ જે હિંસા થઈ તેમાં આ સંસ્થા સામેલ હતી. કેરળમાં તેના કાર્યકરોએ ભાજપ, કોંગ્રેસ, ડાબેરીઓના કાર્યકર્તાઓની હત્યા કર્યાના કેસ નોંધાયેલા છે. ત્રણ મહિના પહેલા પટણા પોલીસે ફૂલવાડી શરીફમાં દરોડા પાડીને વડાપ્રધાન મોદીની બિહાર મુલાકાત દરમિયાન હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું તેની વિગતો આપી હતી. તેમાં આ સંગઠનના સભ્યો સામેલ હતા. હિજાબનું નિમિત્ત લઈને જે દેખાવો થયા તેમાં પણ તેનો હાથ છે. છેક વરિષ્ઠ અદાલત સુધી આ વાત ગઈ છે. સીધી વાત છે કે આ સંસ્થા મુસ્લિમોમાં મુસ્લિમ લીગ અને બીજી સંસ્થાઓ તેમજ પક્ષોને પાછળ રાખીને આખા દેશમાં પોતાનો ફેલાવો કરવા માગે છે. કેરળમાં ભાજપના નેતા રણજીત શ્રીનિવાસનના ઘરમાં ઘૂસી જઈને તેને મારી નાખવામાં આવ્યા હતા. અખિલા નામની, સેનામાં નોકરી કરતા કે.એમ. અશોક્નની પુત્રીને લવ જિહાદનો શિકાર બનાવવામાં આવી અને શફીન નામે મુસ્લિમ યુવકે ઘરમાં ગોંધી રાખીને પરાણે ધર્માંન્તર કરાવીને નિકાહ કરવાયા તે કિસ્સો અદાલતમાં ગયો ત્યારે છોકરીની મુક્તિ મળી.
આવા દેશવિરોધી, સમાજ વિરોધી તત્વો પર કારવાઈ શરૂ થઈ તેનો વિરોધ કરનારા પણ આપણે ત્યાં છે!
લેખકનો પરિચય :-
પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…
વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.
(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)