વળી પાછો નેતાજી-વિવાદ?
બંગાળમાં ત્યાંના (West Bengal) દૈનિકો અને બૌદ્ધિકોમાં વળી પાછી ચર્ચા ચાલી છે. નેતાજી બોઝ વિશે નવાં ત્રીજા તપાસ પંચની યે એક અજીબ કહાણી હતી, પરદા પાછળ અને નજર સામે કેટકેટલા રંગ પૂરાયા તેના માટે?
‘ભારત રત્ન’નાં સન્માનથી કેન્દ્ર સરકારે નેતાજીને નવાજિત કરવાની ઘોષણા કરીને તરત બંગાળની હાઈકોર્ટના વકીલ બિજાન ઘોષે અવાજ ઉઠાવ્યો : નેતાજીનાં મૃત્યુનો વિવાદ પહેલાં ઉકેલો! 1993માં સર્વોચ્ય અદાલતમાં યાચિકા દાખલ થઈ. ચાર વર્ષ તેમાં વીતી ગયાં. 1997માં જસ્ટિસ સુજાતા મનોહર, જી.બી. પટનાયકની બેંચે ગમગીન સ્વરે કહ્યું કે સરજારે તો ભારતરત્ન એનાયત થશે એવી ઘોષણા કરી દીધી. હવે શું? ‘મરણોપરાંત સમ્માન’ શબ્દનું ઔચિત્ય શોધવું જરૂરી નથી. એ પણ આવશ્યકતા નથી કે 18 ઓગસ્ટે સુભાષ મૃત્યુ પામ્યા તેનું તથ્ય કે સભ્યતા સાબિત કરવા માટેની કોઈ સામગ્રી પણ છે કે નહીં! આ એક મુદ્દો છે અને રહેશે કે સુભાષ જીવિત છે કે નહીં…
આ ચુકાદાનાં વાદળોની વચ્ચે જાદવપુર યુનિવર્સિટીનાં વિદુષી સંશોધક ડો. પૂરબી રોયનો મથામણે નવારિખ રચી. તેમના પતિ સ્વ. કલ્યાણ શંકર રાય સામ્યવાદી નેતા હતા. શ્વસુર કિરણશંકર રાય નેતાજીના નિકટવર્તી સાથીદાર તેમની પાસે રશિયાથી જાણકારી આવતી શરૂ થઈ કે અરે, 1945 પછી તો સુભાષ અહીં હતાં.
અહીં રશિયામાં!!
ફોરવર્ડ બ્લોકનાં ડો. ચિત્તા બસુ, જયંત રાય, પૂર્વ સૈનિક અને તત્કાલિન રશિયન એકેડમી ઓફ નેચરલ સાયન્સના અધ્યાપક એલેકઝાન્ડર કોલેસનિકોલ અને પૂરબી રોય કોલકાત્તામાં એકઠાં થયાં. દસ્તાવેજો ખડકલો કંઈક બીજી દિશાના અંધારાને ખોલતો હતો.
વોરોશિલોવ. મિકોયાન. મોલોતોવ. વિશુન્સ્કી.
આ બધાં રશિયન પક્ષોની વચ્ચે એક મુદ્દાનો પત્રવ્યવહાર થયો હતો, તે નેતાજીના રશિયન-નિવાસ વિશે! કોલેસનિકોલે તો કહ્યું : મિત્રો, ભારત સરકારે રશિયાનાં પુરાલેખ તપાસનાં જોઈએ. જુઓ, આ મારો લેખ રશિયન અખબારમાં છપાયો છે. “Destiny and death of Chandra Bose.”
ભારત-રશિયા સંબંધોનું સૌથી રહસ્ચભર્યું કેન્દ્ર બિદું જ આ ઘટના છે. સોવિયત સંઘની સરકાર ખામોશ છે…
ચિત્તા બસુ મોસ્કોથી આ સામગ્રી લઈને આવ્યા પણ લોકો સમક્ષ પ્રસ્તુત કરે તે પહેલાં એક રેલ-દુર્ઘટનામાં મૃત્યુ પામ્યાં.
પરંતુ પૂરબી રોયે દ્રઢતાથી વાતને આગળ ધપાવી. ‘ભારત સરકાર મારા રશિયામાં કરવાનાં સંશોધનને માટે એક ભલામણપત્ર લખી આપે… હું જઈશ… દૂરસદૂર રશિયામાં ભમ્રણ કરીને ભાળ મેળવવો કે આપણા નેતાજીની નિયતિ શું હતી?
ભારત સરકારનું મૌન અને સરકારી બાબુઓનું શુકરટણ કે ભારત સરકારે માન્યું છે કે નેતાજી 18 ઓગસ્ટ, 1945ના વિમાની દુર્ઘટનામાં માર્યા ગયા છે એટલે આવી તપાસનો કોઈ અર્થ નથી. અલ્યાં લાગણી વધુ છે, તર્ક જરીકેય નથી!
વળી પાછી સર્વોચ્ય અદાલતમાં વાત આવી. ન્યાયમૂર્તિઓએ સ્પષ્ટ કહ્યું કે રૈકોજી દેવળમાં પહેલાં અસ્થિ પાછાં લાવતા પહેલાં એ તો નક્કી કરો કે એ ખરેખર નેતાજીનાં જ અસ્થિ છે ખરાં? બીજો ચુકાદો તો નવી તપાસનો સંકેત આપતો હતો.
એપ્રિલ, 1998માં અટલ બિહારી વાજપેયી દેશનાં વડાપ્રધાન બન્યાં. સમર ગુહા સાથે તેમની અંગત મૈત્રી હતી અને સુભાષ-તથ્ય જાણવા તેઓ પણ આતુર હતા. 14 એપ્રિલે નવા તપાસ પંચની વિધિસર ઘોષણા થઈ.
મનોજકુમાર મુખરજી સર્વોચ્ય અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ-જેમણે મુંબઈ, લખનૌમાં પણ મુખ્ય ન્યાયમૂર્તિ પદે કાર્ય કર્યું હતું. તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આ તપાસનો એક વર્ગ તરફથી વિરોધ થયો, મજાક ઉડાવવામાં આવી. ‘ધ ટેલીગ્રાફ’ના તંત્રીલેખમાં એમ.જે. અકબરે (20 માર્ચ,2000) આકરી ભાષામાં લખ્યું છે કે નવી તપાસની જરૂર જ ક્યાં છે?
આ તો નાણાની બરબારી છે અને સત્ય છુપાવવાનો રસ્તો છે!
લેખકનો પરિચય :-
પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…
વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.
(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)