આજે પણ યાદ કરવા જેવા વડાપ્રધાન વાજપેયી
વાજપેયીજીને કડકડતી ટાઢમાં લોકો સાંભળવા આતુર હોય અને વાજપેયી મંચ પર ઉભા થઈને માઈક પાસે આવે. આરોહ અવરોહ સાથેના સુંદર ગદ્યથી શરૂઆત થાય. ગુસ્સો, હાસ્ય, મજાક, તર્ક બધુ તેમાં આવે. 'ये देश जमीन का कोई टुकडा नहीं है, जीता जागता राष्ट्रपुरूष है' થી શરૂઆત કરીને ભારત-ભક્તિનો ટંકાર કરે.
આજે નાતાલનો દિવસ દુનિયાના અનેક દેશોમાં ચર્ચમાં પ્રાર્થના થશે, ઘંટી વાગશે, મીણબતીના પ્રકાશમાં ઈસુ ખ્રિસ્તે યાદ કરાશે. બરાબર આજ દિવસે 1924ના વર્ષે એક કર્મકાંડી બ્રાહ્મણને ત્યાં જન્મ થયો હતો અટલ બિહારી વાજપેયીનો. મધ્યપ્રદેશથી ઉત્તર પ્રદેશ અને ત્યાંથી દિલ્હી- તેમના બાળપણથી 15-16 ઓગસ્ટે 2018માં આપણી વચ્ચેથી વિદાય લીધી. ત્યાં સુધીમાં તેમણે ભારતીય સંસદમાં વિરોધપક્ષે અને પછી વડાપ્રધાન તરીકે જે જવાબદારીને નિભાવી હતી, તે ભારતીય સાર્વજનિક જીવનના ઈતિહાસની એક મહત્વની ઘટના છે.
પિતા પુત્ર બંનેએ કાયદાની કોલેજમાં સાથે પ્રવેશ મેળવ્યો હતો. બટેશ્વર તેમનું મૂળ વતન પછી તો ગ્વાલિયર, લખનૌ, દિલ્હી એમ નિવાસ થતો રહ્યો. આ દરમિયાન જ તેમનો પરિચય વિદ્યાર્થી સંગઠન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સાહિત્ય તેમજ પત્રકારત્વની સાથે સબંધ બંધાયો. અભ્યાસ દરમિયાન જ તેમને RSSનો પરિચય થયો. તરૂણ સ્વયંસેવક અટલ શાખના સ્વયંસેવકોની વચ્ચે હિન્દુ તન મન, હિન્દુ જીવન, રગ રગ મેરા પરિચય ગીત પ્રચંડ સ્વરે લલકારતો, જોતજોતામાં ભાઉરાવ દેવરસની નજરે પડ્યા. પ્રચારક બન્યા.
લખનૌમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયની સાથે પત્રકારત્વમાં પ્રવેશ કર્યો. રાષ્ટ્રધર્મ, સ્વદેશ, વીર અર્જૂનના પત્રકારત્વે તેમને ઘડ્યા. ડો. શ્યામા પ્રસાદ મુખર્જીએ હિન્દુ મહાસભા છોડીને ભારતીય જનસંઘની સ્થાપના કરી. ડો. મુખર્જીના અંગત સચિવ તરીકે તેમનાં વ્યાખ્યાનોને હિન્દીમાં રૂપાંતરિત કરતા પણ જનસંઘને દેશવ્યાપી મજબૂત બનાવે તે પહેલા ડો. મુખર્જીએ કાશ્મીર સત્યાગ્રહ કર્યો. પઠાણકોટ પછી તેમને યુવાન વાજપેયીને કહ્યું કે જાવ, દેશ આખાને જણાવો કે કાશ્મીરમાં શું થઈ રહ્યું છે?
વાજપેયી દિલ્હી પાછા ફરે ત્યાં તો ડો. મુખર્જીએ શેખ અબ્દુલ્લાની સરકારે જેલમાં પુરી દીધાના સમાચાર મળ્યા. ભારતીય લોકસભામાં વિપક્ષી જૂથના સર્વમાન્ય નેતા અને ભારતીય જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ મુખર્જીને જેલમાં એવી તે કેવી સારવાર આપવામાં આવી કે તેમનું મૃત્યુ થયું તે રહસ્ય એવું ને એવું આજે પણ છે. મૃત્યુ થયાના દિવસ પછીના બીજા દિવસે તો બેરિસ્ટર ઉમાશંકર ત્રિવેદી કાશ્મીરની કોર્ટમાં હેબિયસ કોર્પસ આપીલ સાથે દલીલ કરીને ડો. મુખર્જીને ચોક્કસપણે છોડાવી લેવાના હતા, તેને 24 કલાક પહેલા જ મોત મળ્યું!
જનસંઘને માટે આ પહેલો આઘાત હતો. વજ્રાઘાત હતો. હજુ તો જનસંઘ પા-પા પગલી ભરતો હતો અને પક્ષની પાસે તમામ સંગઠનો તો જાહેર જીવનમાં પાયાનું કામ કરનારા, છાપામાં ક્યારેય ચમક્યા વિનાનું આવિરત કાર્ય કરનારા હતા. એકલા મુખર્જી જ ઝળહળતો સુરજ હતા! હવે શું કરવું?
બીજા કોઈ પક્ષ કે સંસ્થા હોય તો તેની શક્તિ ક્ષીણ થઈ જાય, વાવટો સંકેલાઈ જાય પણ જનસંઘનો નિર્ધાર તો ‘પથ પર આગે બઢતે જાના’ નો હતો. અટલ બિહારી વાજપેયી, નાનાજી દેશમુખ, લાલા હંસરાજ, પ્રાણનાથ ડોગરા, મૌલીચંદ્ર શર્મા, સુંદરસિંહ ભંડારી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, બલરાજ મધોક આ બધાએ પ્રખર પરિશ્રમ કરીને જનસંઘને ઉછેર્યો. એક પછી એક આપતિ આવી. આચાર્ય રઘુવીર અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું અસામયિક નિધન થયું. પંડિતજીની તો હત્યા થઈ બીજી બાજુ કોંગ્રેસ અને જવાહરલાલનો દબદબો ‘કોંગ્રેસ એટલે દેશ, દેશ એટલે નેહરૂ’ એવો નારો હતો અને પડકાર પણ અસામાન્ય.
પરંતુ તે બધા સામર્થ્ય પૂર્વક લડ્યા. વાજપેયી લોકસભા માટે ઉભા રહ્યા, ક્યાંક તો સફળતા મળે એવી રણનીતિ હતી. ક્યાંક જીત્યા, બીજે હાર્યા. એક લોકસભા વિસ્તાર તો એવો હતો કે તેમનાથી સાવ અજાણ હતો! લોકસભા અને રાજ્યસભામાં અટલજી એ પણ રસપ્રદ વિષય છે. વિપક્ષે રહીને બુમબરાડા પાડ્યા વિના, વહેલમાં ધસ્યા વિના નેહરૂ શૈલીના ભવ્ય રાજકારણને પડકારવું એ સામાન્ય નહોતું. દેશના સદભાગ્યે 1952થી જ લાંબા સમય સુધી ભારતીય સંસદને ઉત્તમ વિપક્ષીનેતા મળ્યા.
એન.સી.ચેટરજી, ભૂપેશ ગુપ્તા, રામમનોહર લોહિયા, પ્રા. માવળકર. જ્યોર્જ ફર્નાન્ડિઝ, એન.જી.રંગા, એન.જી.ગોરે, પ્રકાશવીર શાસ્ત્રી અને અટલજી. આજે વિરોધ પક્ષોના નેતાઓ કેવું બોલે છે. ગૃહમાં તે સાંભળતા સરખામણી કરવી યોગ્ય નહીં લાગે! ભાષા, વ્યવહાર, તર્ક, તથ્ય, બધી રીતે આપણે ક્યાંક ખોવાઈ રહ્યા છીએ. તેનો આઘાત લાગે. વાજપેયી ઉત્તમ વકતા હતા. 1968માં કચ્છ-સત્યાગ્રહ વખતે ભૂજના ચોકની સભામાં બેરિસ્ટર નાથપાઈ, રાજનારાયણ એસ.એમ.જોષી, જ્યોર્જ ફર્નાન્ડિઝ, મહારાજ કુમાર હિંમતસિંહજી સહિતના ધરખમ નેતાઓ એક પછી એક ભાષણો કર્યા અને રાતના બાર વાગ્યે અંતિમ વક્તા હોય અટલ બિહારી વાજપેયી કડકડતી ટાઢમાં લોકો તેમને સાંભળવા આતુર હોય અને વાજપેયી મંચ પર ઉભા થઈને માઈક પાસે આવે.
આરોહ અવરોહ સાથેના સુંદર ગદ્યથી શરૂઆત થાય. ગુસ્સો, હાસ્ય, મજાક, તર્ક બધુ તેમાં આવે. ‘ये देश जमीन का कोई टुकडा नहीं है, जीता जागता राष्ट्रपुरूष है’ થી શરૂઆત કરીને ભારત-ભક્તિનો ટંકાર કરે. 1977માં અમદાવાદના ચોકમાં મળેલી સભામાં જયપ્રકાશ મોરારજીભાઈ અને જ્યોર્જ ફર્નાન્ડિઝ બોલવાના હતા. વાજપેયીના પ્રભાવી વક્તવ્ય પછી જે.પી.નો વારો આવ્યો. જે.પીએ. શરૂઆતમાં જ કહી દીધું ‘અટલજી કી જીભ પર તો સરસ્વતી બસતી હૈ મેં ક્યા બોલુ?’ પ્રધાનમંત્રી તરીકે યુનો મહાસભામાં તેમને હિન્દીમાં વક્તવ્ય આપ્યું. 1947 પછીની એ પહેલી વહેલી ઘટના કે કોઈ ભારતીય નેતા હિન્દીમાં બોલ્યા હોય.
એક વિદેશી રાજનાયિકો આ ભાષણ સાંભળ્યા પછી અભિપ્રાય આપ્યો કે જો આ જ ભારતની ભાષા હોય તો તે યુનોમાં વારંવાર બોલાવવી જોઈએ. તેમને દેહાવસાન (15-16 ઓગસ્ટ 2018) પછી વિચાર્યુ કે તેમની સાથેના નિકટ્વર્તી અનુભવો, તેમના પોતાની આત્મકથા જેવો લખાણો, તેમના પત્રો, ભાષણો અને કવિતાઓનું એક પુસ્તક થવું જોઈએ. તે લખાયું તો 4-5 વર્ષ દરમિયાન અને હવે પ્રકાશિત થયું છે. 400 પાનાના હળદાર પુસ્તકનું નામ છે. આપણા અટલજી: સ્મૃતિ, રાજનીતિ અને કવિતા.
તેમાં વર્તમાન વડાપ્રધાન અને અટલજીના અનુગામી નરેન્દ્ર મોદીની પ્રસ્તાવના છે. વાજપેયીજી પોતાના શબ્દોમાં પત્રકારત્વ અને રાજકારણ વિશે લખ્યું છે. તેમના વિશેના 18 લેખો છે. 53 કાવ્યો અને તેમનો આસ્વાદ છે. 14 ભાષણો છે. 16 પત્રો છે. તસ્વીરો છે, તેમના સ્મૃતિ સ્મારકની સંવેદનશીલ મુલાકાત પણ છે. પ્રણામ અટલજી!
લેખકનો પરિચય :-
પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…
વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.
(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)