આજ બાકી હતું ! માત્ર 1 ટકા વ્યાજ પર લોન આપે છે આ ‘ભીખારી બેંક’, જાણો ક્યાં છે આ બેંક અને કઈ રીતે કરે છે કામ
Beggars Bank: આ બેંકના સભ્યોને જરૂર પડે ત્યારે લોન પણ મળે છે, તે પણ માત્ર એક ટકા વ્યાજ પર. તેમજ લોન અને ડિપોઝિટ ખાતા સંબંધિત સાપ્તાહિક બેઠકોનું પણ આયોજન કરવામાં આવે છે.
એસબીઆઈ (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા (Bank of Baroda), સેન્ટ્રલ બેંક (Central bank), એચડીએફસી બેંક (HDFC), એક્સિસ બેંક (Axis Bank), આઈસીઆઈસીઆઈ (ICICI Bank) બેંક વગેરે. દેશમાં 42 થી વધુ સરકારી અને ખાનગી બેંકો છે. આ ઉપરાંત ઘણી માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ પણ બેંક તરીકે કામ કરી રહી છે. તમારું અને પરિવારના અન્ય સભ્યોનું આમાંની કોઈપણ બેંકમાં ખાતું હશે જ!
પરંતુ શું તમે જાણો છો કે આ બેંકો અને માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ સિવાય ભિખારીઓ માટે પણ એક બેંક છે. તમને આશ્ચર્ય થયું ને? હેરાન થવાની વાત નથી, તમે આ બરાબર વાંચ્યું. ભિખારીઓની આ બેંક બિહારના મુઝફ્ફરપુરમાં છે. કેટલાક ભિખારીઓએ તેની શરૂઆત કરી હતી અને હવે તે બેંકની જેમ કામ કરી રહી છે. થાપણો, ઉપાડ, વ્યાજ વગેરેની સાથે આ બેંક તેના સભ્યોને લોન પણ આપે છે.
ભિખારીની પોતાની બેંક
તમે વિચારતા જ હશો કે, જેમની આજીવિકા અન્ય લોકો પાસેથી ભીખ માંગીને ચાલે છે, તેમના માટે વળી કેવી બેંક ! પરંતુ બિહારના મુઝફ્ફરપુરમાં કેટલાક ભિખારીઓએ આને સ્વ-સહાય જૂથ તરીકે શરૂઆત કરી અને તેનું નામ ભીખારી બેંક રાખ્યું. અહીંના ભિખારીઓ 5 ગ્રુપ બનાવીને તેને ચલાવી રહ્યા છે.
મુઝફ્ફરપુરના એક સ્થાનિક પત્રકારે અમને કહ્યું કે શહેરમાં આશરે 175 ભિખારીઓએ તેમની જરૂરિયાતોને પહોંચી વળવા અને ભવિષ્યની મુશ્કેલીઓથી બચવા માટે બેંકો જેવા પાંચ સ્વાવલંબન જૂથો શરૂ કર્યા છે. તેમના સંકલનની જવાબદારી જિલ્લા સમાજ કલ્યાણ વિભાગની છે.
ભિક્ષાવૃત્તિ નાબૂદી કાર્યક્રમનો એક ભાગ
સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ આ ભિખારી બેંકોના સંયોજકની ભૂમિકા ભજવી રહ્યા છે. જણાવી દઈએ કે ભીખ નાબૂદી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સ્વાવલંબન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત મુઝફ્ફરપુર સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓની મદદથી જિલ્લામાં ભિખારીઓના પાંચ સ્વનિર્ભર જૂથોની રચના કરવામાં આવી છે. આ જૂથો બેંકોની જેમ કામ કરે છે.
70 ટકા સભ્યો મહિલાઓ છે
અત્યારે 175 ભિખારીઓ મુઝફ્ફરપુર જિલ્લામાં આ સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલા છે, જેમાંથી લગભગ 70 ટકા સભ્યો મહિલા ભિખારી છે. તમામ સભ્યોને ભિક્ષામાં જે નાણાં મળે છે તેમાંથી ખર્ચ્યા બાકીની રકમ તેઓ અહીં બાદ જમા કરે છે. તેમને આ રકમ પર વ્યાજ પણ મળે છે.
માત્ર 1 ટકા વ્યાજ પર ઉપલબ્ધ છે લોન
આ બેંકના સભ્યોને જરૂર પડે ત્યારે લોન પણ મળે છે, તે પણ માત્ર એક ટકા વ્યાજ પર. અહેવાલો અનુસાર, આ સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલા જરૂરિયાતમંદ સભ્યોને ત્રણ મહિના માટે 1 ટકાના દરે લોન આપવામાં આવે છે. લોન અને ડિપોઝિટ ખાતા સંબંધિત સાપ્તાહિક બેઠકોનું પણ આયોજન કરવામાં આવે છે.
તમામ હીસાબ કીતાબ મોબાઈલ એપ પર
સમાજ કલ્યાણ વિભાગ પાસે આને લગતી મોબાઇલ એપ પણ છે, જેમાં ભિક્ષુક સભ્યોનો ડેટા છે. આમાં, ભિખારીઓનું એક જૂથ બનાવવામાં આવે છે અને તેઓ લાવેલા નાણાં તેમના ખાતામાં જમા થાય છે. હાલમાં આવા 5 જૂથો છે અને સરકારે દરેક જૂથને 10,000 રૂપિયાની આત્મનિર્ભરતા રકમ પણ આપી છે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. કેટલાક ભિખારીઓએ ભીખ માંગવાનું છોડી પોતાની રીતે રેકડી કે લારી લગાવીને નાનો વ્યાપાર પણ શરૂ કર્યો છે.
મુજફ્ફરપુર જિલ્લા સમાજ કલ્યાણ વિભાગના મદદનીશ નિયામક બ્રજ ભૂષણ કુમાર કહે છે કે ભિખારીઓ દ્વારા લેવામાં આવેલી આ પહેલની સફળતા જોઈને રાજ્ય સરકાર પણ તેમની મદદ માટે આગળ આવી છે. જૂથોને આર્થિક સહાય આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Metro Recruitment 2021: મહારાષ્ટ્ર મેટ્રોમાં ખાલી જગ્યાઓ માટે બહાર પડી ભરતી, B.Tech ઉમેદવારો કરી શકે છે અરજી