ઈમાનદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ, 6 મહિનાથી બેકાર હોવા છતાં રસ્તા પરથી મળેલા રૂપિયા મૂળમાલિકને પરત કર્યા
અંકલેશ્વરના યુવાને પ્રમાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પડ્યું છે, જેને રસ્તા ઉપર પડેલા 25,500 રૂપિયા મળ્યા તો સોશિયલ મીડિયાની મદદથી પૈસા મૂળમાલિક સુધી પહોંચાડ્યા હતા. અંકલેશ્વરમાં રસોઈયાનું કામ કરતા દિપક પંડયા કોરોનાકાળમાં શુભ પ્રસંગો અટક્યા હોવાથી લગભગ 6 મહિનાથી તેઓ બેકાર છે. ગઈકાલે તેઓ પૈસાની તંગી વચ્ચે કામ શોધવા વાલિયા ચોકડી તરફ જઈ રહ્યા હતા. ત્યારે […]
અંકલેશ્વરના યુવાને પ્રમાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પડ્યું છે, જેને રસ્તા ઉપર પડેલા 25,500 રૂપિયા મળ્યા તો સોશિયલ મીડિયાની મદદથી પૈસા મૂળમાલિક સુધી પહોંચાડ્યા હતા. અંકલેશ્વરમાં રસોઈયાનું કામ કરતા દિપક પંડયા કોરોનાકાળમાં શુભ પ્રસંગો અટક્યા હોવાથી લગભગ 6 મહિનાથી તેઓ બેકાર છે. ગઈકાલે તેઓ પૈસાની તંગી વચ્ચે કામ શોધવા વાલિયા ચોકડી તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને રૂપિયાનું બંડલ નજરે પડયું હતું. પોતાને પૈસાની ખુબ જરૂર હોવા છતાં દિપકે આ પૈસા લઈ લેવાની લાલચ ન કરી મૂળ માલિકની શોધખોળ શરુ કરી હતી. જ્યાંથી રૂપિયા મળ્યા તે વિસ્તારમાં પૈસા શોધતું કોઈ વ્યક્તિ આવે તો તેને સોંપવા બે કલાક રાહ જોવા છતાં કોઈ ન આવતા પૈસા લઈ ઘરે પહોંચ્યા અને ગણતરી કરતા આ બંડલમાં રૂપિયા 25,500 હોવાનું તેમના ધ્યાન ઉપર આવ્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કોરોનાના કારણે તમામ વેપાર રોજગાર ઠપ્પ છે અને પોતે પણ તકલીફમાં છે, ત્યારે મોટી રકમ કોઈની પડી જવાથી શું તકલીફ થતી હશે તે ચિંતા સતત દિપકભાઈને સતાવતી હતી. ગમે ત્યાંથી પૈસાના મૂળ માલિકને શોધી રકમ પરત કરવાનું તેમણે નક્કી કરી સોશિયલ સાઈટ અને ગ્રુપમાં રકમ જણાવ્યા વિના અંકલેશ્વરના એક વિસ્તારમાંથી પૈસા મળ્યા હોવાનો મેસેજ ફરતો કરી મૂળ માલિકની શોધ તેજ કરાઈ હતી. મેસેજ વાઈરલ થતાં ઠગ ટોળકીઓ પણ સક્રિય થઈ હતી. સાંજે 6-7 વાગ્યે એક કોલ આવ્યો, જેમાં ફોન કરનારે પૈસા પડી ગયા હોવાનું જણાવી રકમની માંગણી કરી હતી તો દિપક રકમ શેમાં હતી તે પૂછતાં થેલી પડી ગઈ હોવાનું જણાવાયું હતું. જે જવાબ ખોટો હોવાથી દિપકે રકમ આપવા ઈન્કાર કર્યો હતો.
રાતે વધુ એક કોલ આવ્યો જેમાં પૈસા ન આપે તો જોઈ લેવાની ધમકી પણ મળી પણ દિપકે પોલીસને કોલ કરવાની ધમકી આપતા ફોન કાપી નખાયો હતો. રાતે એક વાગ્યે દિપકભાઈને મોબાઈલ ફોન ઉપર એક ફોન આવ્યો હતો. જેમાં સામે અંકલેશ્વરના વેપારી ઝકરિયા ઉર્ફે મિયાં મહંમદ સુલેમાન હતા. જેમણે પોતાના પૈસા વાલિયા ચોકડી નજીક પડી ગયા હોવાનું જણાવ્યું હતું. ફોન કરનાર સાચો છે કે નહીં તેની ખાતરી કરવા દિપકભાઈએ ચોક્કસ રકમ, નોટની સંખ્યા અને પૈસા શેમાં હતા, તે પ્રશ્ન પૂછતાં ત્રણેય જવાબ સાચા હતા છતાં અગાઉના બે કોલના અનુભવના આધારે પૈસા પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં આપવાનું કહેતા ઝકરિયા તૈયાર થઈ ગયા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ત્યારે આજે સવારે શહેર પોલીસે ભોગ બનનાર વેપારી ઝકરિયાની પૂછપરછ અને દિપક પંડ્યાના નિવેદનને સરખાવી મળી આવેલી રકમ ઝકરિયાની હોવાનું નક્કી કરી પૈસા આપ્યા હતા. દિપકે એક પણ પૈસાના ઈનામની લાલચ વગર મળી આવેલા પૈસા મૂળ માલિકને સોંપી માનવતાની ફરજ અદા કરવાનો સંતોષ મેળવ્યો હોવાનું જણાવ્યું હતું.