ભરૂચના રિઝર્વ ફોરેસ્ટમાં મળી આવ્યા બે નવા ધોધ, વનવિભાગે બંને ધોધને પ્રવાસન સ્થળ બનાવવાના પ્રયાસ શરૂ કર્યા
ભરૂચના રિઝર્વ ફોરેસ્ટમાં બે રમણીય વોટરફોલ મળી આવ્યા છે. ગીચ જંગલમાં કિમ અને કરજણ નદીના વહેણમાં મળી આવેલા બે ધોધ આગામી દિવસોમાં રાજ્યના જાણીતા પ્રવાસન સ્થળ બને તેવા પ્રયાસો શરુ કરાયા છે. ભરૂચ જિલ્લાનો નેત્રંગ પટ્ટીનો વિસ્તાર રિઝર્વ ફોરેસ્ટ એરિયા જાહેર કરાયો છે. જે વિસ્તાર ડુંગરો, વન અને કોતરોથી છવાયેલો છે. નેત્રંગમાં વનવિભાગની ટીમે ફોરેસ્ટ […]
ભરૂચના રિઝર્વ ફોરેસ્ટમાં બે રમણીય વોટરફોલ મળી આવ્યા છે. ગીચ જંગલમાં કિમ અને કરજણ નદીના વહેણમાં મળી આવેલા બે ધોધ આગામી દિવસોમાં રાજ્યના જાણીતા પ્રવાસન સ્થળ બને તેવા પ્રયાસો શરુ કરાયા છે. ભરૂચ જિલ્લાનો નેત્રંગ પટ્ટીનો વિસ્તાર રિઝર્વ ફોરેસ્ટ એરિયા જાહેર કરાયો છે. જે વિસ્તાર ડુંગરો, વન અને કોતરોથી છવાયેલો છે. નેત્રંગમાં વનવિભાગની ટીમે ફોરેસ્ટ સર્વે દરમ્યાન નેત્રંગના મોતિયા અને કાકરપાડા વિસ્તારમાં બે સુંદર ધોધ શોધ્યા છે. હાલમાં આ વિસ્તાર સુધી પહોંચવું દુર્ગમ છે. પરંતુ ધોધ અને હરિયાળીની ચાદર તળે છવાયેલા વિસ્તારની સુંદરતા ધ્યાનાકર્ષક છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કિમાવતી ધોધ
મોતિયા વિસ્તારમાં આવેલ ધોધ કિમાવતી ધોધ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. આ ધોધ કિમ નદીનું ઉદગમસ્થાન છે. જે 3 લેવલમાં વહેંચાયેલો છે. જેની કુલ ઊંચાઈ 35 મીટર જેટલી માનવામાં આવે છે. લીલાછમ જંગલમાંથી વહેતુ પાણી ધ્યાન ખેંચે છે. કિમાવતી ધોધ સુધી પહોંચવા હાલમાં વનવિસ્તારમાં મુશ્કેલ રસ્તા ઉપરથી નેત્રંગથી ચાસવડ ગામમાંથી મોતિયા પહોંચી શકાય છે.
કાકરપાડા ધોધ
કાકરપાડા ધોધમાં કરજણ નદીનું પાણી પડે છે. આ ધોધમાં બે જગ્યાએ પાણી પટકાઈ જમીન ઉપર પડે છે. જેના કારણે પાણીના ઉડતા છાંટાની ભીંજાશ આનંદનો અહેસાસ કરાવે છે. આ ધોધ સુધી પહોંચવા નેત્રંગના મોવી રોડથી કોચબર થઈ ડેબાર ગામ પહોંચી કાકરપાડા ધોધ સુધી પહોંચી શકાય છે. આ ધોધ સુધી પહોંચવા 4 કિમીનો માર્ગ ખુબ મુશ્કેલ છે. નેત્રંગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સરફરાઝ ઘાંચીએ જણાવ્યું હતું કે આ બંને ધોધ સીઝનલ છે. જે ચોમાસામાં સક્રિય થઈ શિયાળા સુધી જોવા મળે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
બંને ધોધ અંગેના અહેવાલ તૈયાર કરી દિલ્લી વન અને પર્યાવરણ મંત્રાલયમાં મોકલાયા છે. આ બંને ધોધ વિસ્તારની નવી ઓળખ ઉભી કરે તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે. કિમાવતી અને કાકરપાડા ધોધ ખુબ ઊંચા તો નથી પરંતુ પ્રકૃતિની નિશ્રામાં વહેતા હોવાથી માત્ર ધોધ નહીં. પરંતુ ધોધ સુધીના માર્ગનું કુદરતી સૌંદર્ય ચોક્કસ ધ્યાન ખેંચે છે. ત્યારે નેત્રંગ વનવિસ્તારમાં બંને ધોધ ટુરિઝમ સાઈટ તરીકે ડેવલોપ કરવા પ્રયત્નો હાથ ધરાયા છે.