World Media On Farm Laws Repealed: કૃષિ કાયદા પરત ખેંચાયાની વિશ્વએ લીધી નોંધ, જાણો કોણે શું લખ્યું ?
અમેરિકા, બ્રિટન, કેનેડા અને પાકિસ્તાનની ડિજિટલ મીડિયા અને ન્યુઝપેપર્સે તેને હોમપેજ પર જગ્યા આપીને આ ઘટના કે સમાચારનું શું મહત્વ છે દર્શાવ્યું છે.
World Media On Farm Laws Repealed: ગુરુપર્વ (Guruparva) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત બાદ ખેડૂત વર્ગમાં આનંદનો માહોલ છે. દિલ્હીની ગાઝીપુર બોર્ડર પર જલેબીનું વિતરણ કરવામાં આવ્યુ હતું. કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાતના સમાચાર ભારત દેશમાં સૌથી મોટા સમાચાર તરીકે તો ઉભરીને આવ્યા જ પરંતુ સમગ્ર વિશ્વના મીડિયાએ પણ આની નોંધ લીધી છે.
અમેરિકા, બ્રિટન, કેનેડા અને પાકિસ્તાનના ડિજિટલ મીડિયા અને ન્યુઝ પેપર્સે તેને હોમપેજ પર જગ્યા આપીને આ ઘટના કે સમાચારનું શું મહત્વ છે તે દર્શાવ્યું છે. જો કે આ તમામ પ્રસિદ્ધ થયેલા સમાચારનો સાર એટલો જ નીકળે છે કે મોદી સરકાર ખેડૂતોના આંદોલન સામે ઝૂકી ગઈ છે. સરકારની સામે ખેડૂતોની જીત થઈ છે. ચાલો જાણીએ કે કૃષિ કાયદાઓ પાછા લેવાની ઘટનાને વર્લ્ડ મીડિયા આ બાબતે શું કહી રહ્યું છે ?
સૌથી પહેલા પાડોશી દેશ પાકિસ્તાનની જો વાત કરીએ તો તેની સૌથી મોટી ન્યુઝ વેબસાઈટ dawn.comએ એજન્સીના ઈનપુટની સાથે પોતાની વેબસાઈટ પર આ સમાચાર ચલાવ્યા હતા. હેડિંગમાં તે લખે છે કે – કૃષિ કાયદા પર મોદીએ પાછી પાની કરવી પડી. geo.tv અને tribune.com.pk જેવી મહત્ત્વની વેબસાઈટ્સના સમાચારોનું પણ લગભગ આવું જ કઈક કહેવું હતું. ધ ડોને શીખ ખેડૂતોનો એક-બીજાને મીઠું મોઢું કરાવતા ફોટો લગાવ્યા હતા.આ સાથે જ વડાપ્રધાન મોદીએ શુક્રવારે કરેલા રાષ્ટ્રના નામના સંબોધનનો વીડિયો પણ લગાવ્યો હતો. જેમાં કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી.
કેનેડાના ન્યુઝપેપર theglobeandmail ના લખાણ પર જો એક નજર કરવામાં આવે તો તે કઈક આવું લખે છે ‘વડાપ્રધાન મોદીએ એક વખત ફરી ચોંકાવ્યા. મોદીની એક વાત પર નજર રાખવી જોઈએ. મોદીએ કહ્યું- હવે આપણે નવી શરૂઆત કરવી જોઈએ. પ્રકાશ પર્વ પર મોદીની આ જાહેરાતને સાંકળીને ઘણી બાબતો કહેવામાં આવી રહી છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં આ કૃષિ કાયદાઓને પાસ કરવામાં આવ્યા હતા. ત્યારથી આજ સુધી તેનો ઘણો વિરોધ થઈ રહ્યો હતો અને સરકારની મુશ્કેલીઓ વધી રહી હતી. thestar.comએ પણ લગભગ આવું જ કઈક કહેવાની કોશિશ કરી છે.
બ્રિટિશ ન્યુઝ પેપર the Guardianની જો વાત કરવામાં આવે તો તે એવું લખે છે કે- 2020માં જ્યારે કૃષિ કાયદો લાવવામાં આવ્યા હતો તો લાગ્યું કે સરકાર કૃષિની સમગ્ર કાયા પલટ કરવા માંગે છે. દેશની 60 ટકા વસ્તી એગ્રીકલ્ચર સેક્ટર પર નિર્ધારિત છે. આ બાબત પર સૌ કોઇની નજર હતી.
આપને જણાવી દઈએ કે જ્યારે વડા પ્રધાન મોદીએ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી ત્યાર બાદની થોડી જ મિનિટોના અંતરમાં ન્યુ યોર્ક ટાઇમ્સે આ અંગે સમચાર પ્રસારિત કર્યા. જેમાં તે લખે છે કે એક વર્ષ સુધી ચાલેલા ખેડૂત આંદોલન સામે વડાપ્રધાનને પોતાનો અભિગમ બદલવો પડ્યો. સરકારે કૂણું વલણ દાખવવાનો નિર્ણય કર્યો અને ચર્ચાસ્પદ કૃષિ કાયદો પરત ખેંચાયો. તે વધુમાં ટાકે છે કે આંદોલન કરતાં ખેડૂતોમાં સૌથી વધુ શીખ લોકો છે, કદાચ એટ્લે જ પ્રકાશ પર્વ પર આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગજબ હો બાકી ! આ છે દુનિયાનો અનોખો ધોધ, જ્યાંથી દર સેકન્ડે નીકળે છે 300 લીટર પાણી