શું કોંગ્રેસ અધ્યક્ષપદની સ્પર્ધામાં G-23 આપશે ટક્કર ? ઉમેદવારીને લઈને વધશે સસ્પેન્સ, જાણો મોટા અપડેટ્સ
રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ અને કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને ગુરુવારે ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યો છે. અશોક ગેહલોતને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ના લડે.
રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ અને કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને (Congress President Election) લઈને ગુરુવારે ઘટનાક્રમ ઝડપથી બદલાઈ ગયો. અશોક ગેહલોતને (Ashok Gehlot) સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી નહીં લડે. સોનિયા ગાંધીને (Sonia Gandhi) મળ્યા બાદ તેમણે આ નિવેદન આપ્યું હતું. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે રાજસ્થાનના સીએમ અંગે કોંગ્રેસ અધ્યક્ષ નક્કી કરશે. તો બીજી બાજુ મોડી સાંજે સચિન પાયલટ પણ સોનિયા ગાંધીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.
મીટિંગ બાદ પાયલોટે કહ્યું કે મારે જે કહેવું હતું તે મેં તેમને (સોનિયા ગાંધી) કહી દીધું છે. મને ખાતરી છે કે અમે સખત મહેનત કરીને રાજસ્થાનમાં ફરી સરકાર બનાવીશું. 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નોમિનેશનનો છેલ્લો દિવસ છે. એક તરફ દિગ્વિજય સિંહ ફોર્મ ભરશે અને બીજી તરફ શશિ થરૂર પણ ઉમેદવારી નોંધાવશે કારણ કે ગેહલોત હવે કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી બહાર આવી ગયા છે.
બીજી તરફ ‘G-23’ ગ્રુપના ચાર સભ્યો આનંદ શર્મા, ભૂપિન્દર સિંહ હુડ્ડા, પૃથ્વીરાજ ચવ્હાણ અને મનીષ તિવારીએ પણ બેઠક યોજી હતી. આ ચાર નેતાઓની બેઠક આનંદ શર્માના નિવાસસ્થાને થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી અંગે ચર્ચા કરી હતી. ભૂતકાળમાં એવી ચર્ચા હતી કે મનીષ તિવારી પ્રમુખ પદ માટે ચૂંટણી લડી શકે છે, જોકે તેમના નજીકના સૂત્રોનું કહેવું છે કે તેમને હજુ સુધી ઉમેદવારી પત્રો મળ્યા નથી. પાર્ટીના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિક વિશે એવી અટકળો ચાલી રહી છે કે તેઓ પાર્ટી અધ્યક્ષ પદ માટે પણ ચૂંટણી લડી શકે છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું G-23 કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં ટક્કર આપી શકશે? વાંચો કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લગતા મોટા અપડેટ્સ …
- સોનિયા ગાંધીને મળ્યા બાદ અશોક ગેહલોતે કહ્યું કે તેઓ હવે પ્રમુખ પદ માટે ચૂંટણી નહીં લડે અને કોંગ્રેસ અધ્યક્ષ નક્કી કરશે કે તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે કે નહીં. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ‘હું છેલ્લા 50 વર્ષથી કોંગ્રેસનો વફાદાર સૈનિક છું… બે દિવસ પહેલા બનેલી ઘટનાએ અમને બધાને હચમચાવી દીધા હતા. હું જે પીડા અનુભવું છું તે ફક્ત હું જ જાણી શકું છું. આખા દેશને સંદેશો ગયો કે હું મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા માંગુ છું, તેથી આ બધું થઈ રહ્યું છે.
- સોનિયા ગાંધી સાથે ગેહલોતની મુલાકાતના કલાકો પછી, તેમના કટ્ટર હરીફ સચિન પાયલટ, રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન પણ 10 જનપથ પહોંચ્યા હતા. સોનિયા ગાંધીને મળ્યા બાદ પાયલોટે કહ્યું કે તેમણે રાજસ્થાનના વિકાસને લઈને કોંગ્રેસ અધ્યક્ષને તેમની લાગણીઓ અને પ્રતિભાવો પહોંચાડ્યા અને આશા વ્યક્ત કરી કે સોનિયા ગાંધી સકારાત્મક નિર્ણય લેશે.
- ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની રેસમાંથી પોતાની જાતને પાછી ખેંચી લીધા બાદ દિગ્વિજય સિંહ અને શશિ થરૂર હવે બે ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે, જો કે અન્ય નામ સામે આવવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. દિગ્વિજય સિંહ અને શશી થરૂર શુક્રવારે ઉમેદવારી નોંધાવશે. દિગ્વિજય સિંહે આજે નામાંકન પત્ર લીધું હતું અને થરૂરે ઉમેદવારી પત્રો મંગાવી ચૂક્યા છે. શુક્રવારે નોમિનેશનનો છેલ્લો દિવસ છે.
- જી-23 નેતાઓની બેઠક બાદ ચવ્હાણે કહ્યું કે, “તે સારી વાત છે કે ચૂંટણી લોકતાંત્રિક રીતે યોજાઈ રહી છે. સંભવિત ઉમેદવારોના નામો સામે આવવા દો. આપણે કેટલાક નામ સાંભળ્યા છે. જે ઉમેદવાર શ્રેષ્ઠ હશે, અમે તેને સમર્થન આપીશું.” મનીષ તિવારીએ કહ્યું કે હજુ સુધી કોઈએ નોમિનેશન ફાઈલ કર્યું નથી, આવતીકાલે જ્યારે નોમિનેશન ફાઈલ કરાશે, ત્યારે અમે તેના પર વિચાર કરીશું. પાર્ટીમાં લોકતાંત્રિક પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમે વિચાર વિમર્શ કર્યો છે, જે ધટનાક્રમ સર્જાયો છે તેના પર વિચાર કરવામાં આવ્યો છે. જોઈએ શુક્રવારે શું થાય છે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાશે.
કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. આ પહેલા ઉમેદવારી અંગે ભારે સસ્પેન્સ છે.