ગેંગસ્ટરમાંથી આતંકવાદી બનેલો કોણ છે આ હરવિંદર સિંહ રિંડા? પાકિસ્તાનમાંથી ભારતમાં ચલાવે છે આતકંવાદી મોડયૂલ
પંજાબના મોહાલીમાં બ્લાસ્ટ થવાની ઘટનાને પોલીસ આતંકવાદી એંગલથી પણ ચકાસી રહી છે. પોલીસને શંકા છે કે આ બ્લાસ્ટમાં ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ રિંડાનો (who is Harvinder Singh Rinda) હાથ હોઈ શકે છે.
પંજાબના (Punjab) મોહાલીમાં બ્લાસ્ટ બાદ પોલીસ આરોપીની તપાસ કરી રહી છે, તેમાં પંજાબ પોલીસ (Punjab Police) ગેંગસ્ટરમાંથી આતંકવાદી બનેલા હરવિંદર સિંહ રિંડાની ભૂમિકાની તપાસ પણ કરી રહી છે. એવુ જણાવવામાં આવ્યું છે કે તે પાકિસ્તાનમાં રહે છે અને ગત વર્ષે 8 નવેમ્બરે નવાંશહર ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન એજન્સીની ઈમારતમાં થયેલા ધડાકા પાછળ પણ 35 વર્ષીય રિંડાની ભૂમિકા હોઈ શકે છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે રિંડાને ચાર કેસમાં પોલીસે વોન્ટેડ જાહેર કરેલો છે, હત્યાનો પ્રયત્ન, આર્મ્સ એક્ટ, પંજાબ યૂનિવર્સિટીમાં તે વિદ્યાર્થી હતો તે દરમિયાન પોલીસ સ્ટેશન હાઉસ ઓફિસરને જાનથી મારવાની ધમકી આપવા બદલ તે વોન્ટેડ છે.
કોણ છે હરવિંદર સિંહ રિંડા સંધૂ
રિંડા મૂળ તો પંજાબના તરનતારન જિલ્લાનો રહેવાસી છે. તે 11 વર્ષની વયે જ પરિવાર સાથે મહારાષ્ટ્રના નંદીદ સાહિબમાં રહેવા આવી ગયો હતો. તેણે 18 વર્ષની વયે જ પોતાના એક સંબંધીની હત્યા કરી હતી અને પછી તેના રહેણાંક સ્થળે વેપારીઓ પાસેથી પૈસાની ઉઘરાણી પણ કરતો હતો. રિંડા સામે ચંદીગઢમાં હત્યા, ઉઘરાણી, હત્યાનો પ્રયત્ન જેવા કેસ નોંધાયેલા છે તો વર્ષ 2017માં સેક્ટર 38માં એક સ્થાનિક ગુરૂદ્વારા બહાર સરપંચ સતનામ સિંહ સાથે બે અન્ય લોકોની હત્યા કરી હતી.
કેવી રીતે પાકિસ્તાન પહોંચ્યો રિંડા
એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે હરવિંદર સિંહ રિંડા કદાચ નેપાળના રસ્તે પાકિસ્તાન પહોંચ્યો હતો. રિંડા પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈના સંરક્ષણમાં છે.
પંજાબ યુનિવર્સિટીમાં શું કર્યું રીંડાએ?
ચંદીગઢ પોલીસના એક અધિકારીએ કહ્યું, “મૂળ પંજાબી પરિવારના કારણે અને મહારાષ્ટ્ર પોલીસના સતત દબાણને કારણે રિંડાએ પોતાને છુપાવવાનું સ્થળ નંદીદ સાહિબથી પંજાબ ખસેડ્યું હતું. તેના માટે પંજાબ યુનિવર્સિટી કરતાં આશ્રય લેવા માટે કોઈ સારી જગ્યા નહોતી. તેમણે પ્રદર્શનોમાં ભાગ લેતા ઓક્ટોબર 2016માં વિદ્યાર્થી રાજકારણ કરવાનું શરૂ કર્યું. તે વિદ્યાર્થી રાજકારણમાં પોતાનો આતંક અને પ્રભાવ ફેલાવવા માંગતો હતો. આ માટે તેણે સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SOI)ના નેતાઓ પર ગોળી વડે હુમલો કર્યો હતો. તે જ સમયે, પંજાબ યુનિવર્સિટીના ગેટ નંબર નજીક, સેક્ટર 11 પોલીસ સ્ટેશનના તત્કાલિન એસએચઓ, ઇન્સ્પેક્ટર નરિંદર પટિયાલને ખતમ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ભારે ભીડને કારણે યોજના નિષ્ફળ ગઈ.
બેંગ્લોર સુધી પહોંચી ગયો હતો રિંડા
2017માં પંજાબ પોલીસને માહિતી મળી હતી કે રિંડા તેની પત્ની હરપ્રીત કૌર સાથે કર્ણાટકના બેંગ્લોરમાં એક હોટલમાં રહે છે. પંજાબ પોલીસે બેંગ્લોરમાં પોતાના અધિકારીઓને એલર્ટ કરી દીધા હતા. પોલીસે આ વિસ્તારની આ હોટલમાં પણ દરોડો પાડ્યો હતો, પરંતુ રિંડા રૂમની બારીમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. જોકે, તેની પત્નીને કસ્ટડીમાં લેવામાં આવી હતી. તે હજુ પણ પોલીસ એજન્સીઓના રડાર પર છે.