Wheat Price : ભારતને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના ભાવમાં આવ્યો ઉછાળો ! યુનાઈટેડ નેશન્સે બતાવ્યું કારણ
મે મહિનામાં બરછટ ધાન્યના આંતરરાષ્ટ્રીય ભાવમાં 2.1 ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ એક વર્ષ અગાઉના તેમના ભાવ કરતાં કિંમતો 18.1 ટકા વધુ હતી.
રશિયાના યુક્રેન પર હુમલા બાદ ઉત્પાદનમાં ઘટાડો થવાની આશંકા વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘઉંના ભાવમાં (Wheat Price) વધારો જોવા મળ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની (United Nations) ફૂડ એજન્સીએ આ માહિતી આપી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘઉંના ભાવમાં થયેલા વધારામાં ભારત દ્વારા ઘઉંની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધે (Wheat Exports Ban) આગમાં ઘી હોમ્યુ છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (Food and Agriculture Organisation) પ્રાઇસ ઈન્ડેક્સ મે 2022માં સરેરાશ 157.4 પોઈન્ટ હતો, જે એપ્રિલથી 0.6 ટકા નીચે હતો.
જો કે, તે મે 2021 કરતાં 22.8 ટકા વધુ રહ્યું. FAO આંતરરાષ્ટ્રીય ખાદ્યપદાર્થોના ભાવમાં માસિક ફેરફારો પર નજર રાખે છે. FAO ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ મે મહિનામાં સરેરાશ 173.4 પોઈન્ટ હતો, જે એપ્રિલ 2022થી 3.7 પોઈન્ટ (2.2 ટકા) અને મે 2021ના ભાવથી 39.7 પોઈન્ટ (29.7 ટકા) વધારે છે. એજન્સીએ શુક્રવારે જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય ઘઉંના ભાવમાં મે મહિનામાં સતત ચોથા મહિને 5.6 ટકાનો વધારો થયો છે, જે અગાઉના વર્ષના ભાવ કરતાં સરેરાશ 56.2 ટકા વધુ છે અને માર્ચ 2008માં થયેલા વિક્રમી વધારા કરતાં માત્ર 11 ટકા ઓછો છે,”
ઘણા કારણોસર ભાવમા થયો વધારો
એજન્સીના જણાવ્યા અનુસાર ઘઉંના ભાવમાં અનેક કારણોસર વધારો થયો છે. ઘણા મોટા નિકાસ કરતા દેશોમાં પાકની સ્થિતિ અંગે વધેલી ચિંતા એ પહેલુ કારણ છે. જ્યારે યુક્રેનમાં યુદ્ધના કારણે ઉત્પાદનમાં ઘટાડો થવાનો ડર એ બીજું કારણ છે. તો ભારત દ્વારા ઘઉંની નિકાસ પર પ્રતિબંધ એ ભાવ વધવાનું ત્રીજું કારણ છે. નોંધપાત્ર રીતે, મે મહિનામાં બરછટ અનાજના આંતરરાષ્ટ્રીય ભાવમાં 2.1 ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ એક વર્ષ અગાઉના તેમના ભાવ કરતાં 18.1 ટકા વધુ ભાવ હતા.
13 મેના રોજ નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો
FAOના ખાંડના ભાવ સૂચકાંકમાં એપ્રિલની સરખામણીમાં 1.1 ટકાનો ઘટાડો થયો છે, જેનું મુખ્ય કારણ ભારતમાં ભારે ઉત્પાદન છે અને વૈશ્વિક સ્તરે તેની ઉપલબ્ધતામાં વધારો થવાની શક્યતા છે. જણાવી દઈએ કે, ભારતે સ્થાનિક સ્તરે વધતી કિંમતોને નિયંત્રિત કરવાના પગલાના ભાગરૂપે 13 મે 2022ના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. વાસ્તવમાં ભારતમાંથી નિકાસ થતા ઘઉંની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે. ભારતે 55 હજાર ટન ઘઉંની નિકાસ કરી છે. ઘઉંનો પહેલો કન્સાઈનમેન્ટ સૌપ્રથમ તુર્કી મોકલવામાં આવ્યો હતો. જો કે, તુર્કીએ તેને ખરાબ હોવાનું કહીને ઘઉના જથ્થાને ખરીદવાનો ઇનકાર કર્યો હતો. નોંધપાત્ર રીતે, યુક્રેન યુદ્ધના કારણે, વૈશ્વિક સ્તરે ઘઉંની નોંધપાત્ર અછત છે.