West Bengal: મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેરી મોકલાવી, CM બન્યા બાદ 11 વર્ષથી નિભાવી રહ્યા છે પરંપરા
મમતા બેનર્જીએ (Mamata Banerjee) રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સહિત 18 કેન્દ્રીય પ્રધાનોને કેરીઓ મોકલી હતી.
રાજકારણમાં એકબીજાના વિરોધી હોવા છતાં પશ્ચિમ બંગાળના મમતા બેનરજી (Mamata Banerjee) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) વચ્ચે કેરીની મીઠાશ રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સહિત 18 કેન્દ્રીય પ્રધાનોને કેરીઓ મોકલી હતી. મમતા બેનર્જી આ પરંપરાને 11 વર્ષથી અનુસરી રહી છે. વર્ષ 2011માં તે પહેલીવાર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી બન્યા ત્યારથી તે બંગાળની પ્રખ્યાત કેરીઓ મોકલી રહી છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળની ચાર પ્રખ્યાત કેરી લંગડા, હિમસાગર, આમ્રપાલી અને લક્ષ્મણભોગ મોકલી છે. જણાવી દઈએ કે કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી મેંગો ફેર બંધ હતો, પરંતુ આ વર્ષે ફરીથી મેંગો ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષથી બંધ રહ્યા બાદ પાટનગરની મધ્યમાં ફરી આ મેંગો ફેર શરૂ થયો છે.
દુર્ગા પૂજા પર મમતાએ પીએમ મોદીને કુર્તા અને મીઠાઈ મોકલી
મુખ્યમંત્રી મમતા બેનર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે રાજકીય સંપર્કો સારા નથી. મમતા બેનર્જી કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરતી રહે છે, પરંતુ તાજેતરમાં નવી દિલ્હીમાં ન્યાયાધીશોની કોન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રી પીએમ નરેન્દ્ર મોદી સાથે ચા પીતા જોવા મળ્યા હતા. પીએમ મોદીએ ફિલ્મ સ્ટાર અક્ષય કુમારને આપેલા ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે મમતા અને હું ચૂંટણી પ્રતિસ્પર્ધી છીએ, પરંતુ અમારી વચ્ચે ખૂબ સારા સંબંધો છે. દીદી પોતે મારા માટે કુર્તા પસંદ કરે છે અને દર વર્ષે મોકલે છે. તે જાણે છે કે મને બંગાળી મીઠાઈઓ ભાવે છે અને તેથી જ તે મને મીઠાઈ મોકલે છે.
દિલ્હીમાં બે વર્ષ બાદ ફરી મેંગો ફેર શરૂ થયો
આ ઉપરાંત આ વર્ષે ફરી દિલ્હીમાં ‘મેંગો ફેર’ શરૂ થયો છે. આ મેળો ‘બંગાલ મેંગો ફેર’ તરીકે ઓળખાય છે. તેમાં હિમસાગર અને લંગડા કેરી ઉપરાંત નવાબ સિરાજદુલ્લાની પ્રિય કેરી ‘ઈકોહિતૂર’ પણ હાજર છે. એક કિલો કેરીની કિંમત 1200 રૂપિયા છે. આ ફેર 25 જુલાઈ સુધી ચાલશે. આ મેળા પર કેન્દ્રિત સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ સરકાર સત્તામાં આવ્યા બાદ માર્કેટિંગ માટે ખાસ પહેલ કરવામાં આવી છે. માત્ર સ્થાનિક બજારમાં જ નહીં પણ વિદેશી બજારોમાં પણ વિતરિત થાય છે.