West Bengal: રૂપિયા ન આપો તો બંગાળમાં સરકારી નોકરી નથી મળતી? જાણો શા માટે આવું બોલ્યા હાઈકોર્ટના જજ
જિલ્લા પ્રાથમિક શિક્ષણ બોર્ડે 4 મહિનાની સેવા બાદ યુવકને બરતરફ કરવાનો આદેશ આપ્યો હતો. મંગળવારે આ કેસની સુનાવણી દરમિયાન કોલકાતા હાઈકોર્ટે (High Court) યુવકને તે નોકરી પરત કરી દીધી હતી.
પશ્ચિમ બંગાળમાં (West Bengal) સરકારી નોકરીઓમાં ભરતી અંગેની હેરાફેરીની તસવીર ફરી એકવાર કોલકત્તા હાઈકોર્ટમાં (High Court) સામે આવ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ બોર્ડે 4 મહિનાની સેવા બાદ યુવકને બરતરફ કરવાનો આદેશ આપ્યો હતો. મંગળવારે આ કેસની સુનાવણી દરમિયાન કોલકાતા હાઈકોર્ટે યુવકને તે નોકરી પરત કરી દીધી હતી. આ મામલે સુનાવણી કરતી વખતે મંગળવારે કોલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે આ આદેશ આપ્યો હતો. આ સાથે જજે કડક ટીપ્પણી કરતા કહ્યું હતું કે, જો પૈસા માણિક ભટ્ટાચાર્યને આપવામાં ન આવ્યા તો અરજદારની નોકરી છીનવાઈ ગઈ.
પશ્ચિમ બંગાળ એક એવું રાજ્ય બની ગયું છે જ્યાં પૈસા આપ્યા વિના નોકરી મળતી નથી. આ સાથે જસ્ટિસ ગંગોપાધ્યાયે વધુ સવાલો પૂછ્યા, ચાર મહિનાની સેવા પછી કોઈને કેવી રીતે બરતરફ કરી શકાય! જો ત્યાં કોઈ નિયમો નથી તો ભરતી અરજી કેવી રીતે સ્વીકારી શકાય?
છ મહિના પછી યુવકને ફરી નોકરી મળી
જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે 6 મહિના પછી યુવકને ફરી નોકરી આપવાનો આદેશ આપ્યો. આ મામલો મુર્શિદાબાદના મિરાજ શેખનો છે. મિરાજ શેખને પહેલા મુર્શિદાબાદમાં નોકરી મળી. ડિસેમ્બર 2021માં પ્રાથમિક શિક્ષક તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ 4 મહિના બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ બોર્ડે સર્વિસ બુક તૈયાર કરતી વખતે તેમની સેવા રદ કરી હતી.
ચાર મહિનાની સેવા બાદ તેઓ બેરોજગાર બની ગયા હતા. મુર્શિદાબાદ DPSC એ માહિતી આપી હતી કે પ્રાથમિક બોર્ડની માર્ગદર્શિકા મુજબ, આરક્ષિત પદો માટે ઓનર્સમાં 45% કરતા ઓછા ગુણ ધરાવતા સ્નાતકોને પ્રાથમિકમાં નોકરી આપી શકાતી નથી. ગ્રેજ્યુએશન ઓનર્સમાં સામાન્ય પોસ્ટ માટે 50% માર્ક્સ જરૂરી છે.
પૂર્વ શિક્ષણ રાજ્ય મંત્રીની પુત્રી અંકિતા અધિકારી પર પણ આરોપ મૂકવામાં આવ્યો
NCTE એ આજે જાહેરાત કરી છે કે સામાન્ય ઉમેદવારો માટે ગ્રેજ્યુએશનમાં માત્ર 50% માર્કસ અને અનામત ઉમેદવારો માટે 45% માર્કસ પ્રાથમિકમાં નોકરી માટે લાયક છે. અરજીકર્તા પાસે 46% સ્નાતક ગુણ હોવા છતાં રોજગાર સમાપ્ત કરવામાં આવ્યો હતો. જે બાદ જસ્ટિસ અભિજિત ગંગોપાધ્યાયે અરજદાર મિરાજ શેખને વહેલી તકે પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો.
તમને જણાવી દઈએ કે જસ્ટિસ ગંગોપાધ્યાયે પ્રાથમિક અને SSC શિક્ષકોની નિમણૂક મામલે CBI તપાસનો આદેશ આપ્યો હતો. જે બાદ મામલો EDના હાથમાં ગયો અને આ કેસમાં માત્ર પૂર્વ મંત્રીઓ પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીની ધરપકડ જ નહી પરંતુ પૂર્વ શિક્ષણ રાજ્ય મંત્રી પરેશ ચંદ્ર અધિકારીની પુત્રી અંકિતા અધિકારીને પણ નોકરીમાંથી કાઢી મુકવામાં આવી. સાથે જ પગાર પરત કરવાનો આદેશ આપ્યો હતો.