મમતા બેનર્જીના મંત્રીના 6 સ્થળો પર CBIના દરોડા, કેન્દ્રીય સુરક્ષા દળના જવાનોએ ઘરને ઘેરી લીધું
CBI કોલકાતા અને આસનસોલ સહિત લગભગ છ સ્થળોએ દરોડા પાડી રહી છે, જેમાં મલય ઘટકના ભાઈ અભિજિત ઘટકના સ્થળોનો પણ સમાવેશ થાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તપાસના સંદર્ભમાં મલય ઘટકની પણ પૂછપરછ કરી છે.
પશ્ચિમ બંગાળમાં (West Bengal) સીબીઆઈએ મમતા (Mamata Banerjee) સરકારમાં કાયદા મંત્રી મલય ઘટકના છ સ્થળો પર દરોડા પાડ્યા છે. કોલસા કૌભાંડમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. માહિતી મળી રહી છે કે કેન્દ્રીય સુરક્ષા દળના જવાનોએ મલય ઘટકના ઘરને ચારે બાજુથી ઘેરી લીધું છે. CBI કોલકાતા અને આસનસોલ સહિત લગભગ છ સ્થળોએ દરોડા પાડી રહી છે, જેમાં મલય ઘટકના ભાઈ અભિજિત ઘટકના સ્થળોનો પણ સમાવેશ થાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તપાસના સંદર્ભમાં મલય ઘટકની પણ પૂછપરછ કરી છે. મલય ઘટક આસનસોલ ઉત્તર સીટથી ધારાસભ્ય છે.
બંને તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કોલસા કૌભાંડમાં ઘટકની કોઈ ભૂમિકા હતી કે કેમ. ઈડી આ કેસમાં મની લોન્ડરિંગ અને સીબીઆઈ ગુનાહિત પાસાની તપાસ કરી રહી છે. એવો આરોપ છે કે આસનસોલ નજીક કુનુસ્તોરિયા અને કજોરા વિસ્તારમાં ઈસ્ટર્ન કોલફિલ્ડની લીઝ પર આપવામાં આવેલી ખાણોમાંથી ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન કરવામાં આવ્યું હતું.
CBI raids West Bengal Law Minister and TMC leader Moloy Ghatak’s residence in Asansol, in connection with the coal scam case.
(File photo) pic.twitter.com/Rhd37kVvdP
— ANI (@ANI) September 7, 2022
કોલસાની દાણચોરી કેસમાં સીબીઆઈ તપાસ કરી રહી છે
સીબીઆઈ અને ઈડી બંને એજન્સીઓ પશ્ચિમ બંગાળમાં કોલસાની દાણચોરીના કેસની તપાસ કરી રહી છે. ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ બંગાળના પશ્ચિમ ભાગોમાં ઘણી ખાણોનું સંચાલન કરે છે. આરોપ છે કે એક રેકેટ દરમિયાન ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે ખોદવામાં આવેલ કોલસાને કાળાબજારમાં વેચવામાં આવતો હતો. આ કેસમાં કેન્દ્રીય એજન્સીઓએ અભિષેક બેનર્જી અને તેની પત્ની રૂજીરા બેનર્જીની પણ પૂછપરછ કરી છે. EDએ દાવો કર્યો હતો કે TMC સાંસદ બેનર્જી આ ગેરકાયદે કારોબારમાંથી મળેલા નાણાંના લાભાર્થી હતા. જોકે, બેનર્જીએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.
દરોડાને લઈને ટીએમસીએ ભાજપ પર હુમલો કર્યો
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સતત ED અને CBIના દરોડા માટે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ ભાજપ પર પ્રહારો કરી રહી છે. ટીએમસીનો દાવો છે કે બંગાળની જનતાએ 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને નકારી કાઢી હતી. જે બાદ કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય એજન્સીઓનો સતત રાજકીય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.