Vishnu Tiwari: SC-ST ACTમાં 20 વર્ષની સજા ભોગવ્યા બાદ ઇલાહાબાદ હાઇકોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો
SC-ST ACT : વિષ્ણુ તિવારી પર વર્ષ 2000માં SC-ST ACT અંતર્ગત કેસ થયો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. વિષ્ણુ પર SC-ST ACT અંતર્ગત કેસ થયા બાદ તેના પરિવારનો સામાજિક બહિષ્કાર થયો.
Vishnu Tiwari: SC-ST ACT : દેશનો કાયદો કહે છે કે સો ગુનેગારો ભલે છૂટી જાય પણ કોઈ નિર્દોષને સજા ન થવી જોઈએ. પરંતુ ઉત્તરપ્રદેશના લલિતપુરમાં રહેતા વિષ્ણુ તિવારી સાથે આનાથી વિરુદ્ધનું વર્તન થયું છે. તેને SC-ST ACT અને બળાત્કારના કેસમાં ટ્રાયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. જેલમાં 20 વર્ષની સજા ભોગવ્યા બાદ ઇલાહાબાદ હાઈકોર્ટ (Allahabad High Court)એ તેને નિર્દોષ જાહેર કર્યો છે. જેલમાંથી છૂટયા પછી વિષ્ણુ તિવારીએ કહ્યું કે નિર્દોષ સાબિત થઈને તે ખુશ છે પરંતુ તેનો ચહેરો કહી રહ્યો હતો કે આ 20 વર્ષમાં તેણે જે ગુમાવ્યું છે તે ફરીથી પાછું લાવી શકાય એમ નથી.
SC-ST ACT અંતર્ગત વર્ષ 2000માં થયો હતો કેસ વિષ્ણુ તિવારી પર વર્ષ 2000માં SC-ST ACT અંતર્ગત કેસ થયો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 2003 માં નિચલી કોર્ટે વિષ્ણુ તિવારીને દોષી ઠેરવતા 10 વર્ષની કેદની સજા ફટકારી હતી. ત્રણ મહિના જિલ્લા જેલમાં રહ્યા બાદ વિષ્ણુને આગ્રાની સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો. 20 વર્ષ જેલની સજા ભોગવ્યા પછી 3 માર્ચ 2021ના રોજ ઇલાહાબાદ હાઇકોર્ટે વિષ્ણુને નિર્દોષ જાહેર કર્ય. વિષ્ણુએ કહ્યું કે આ કેસમાં તેના વકીલે પણ તેને દગો દીધો. ન્યાયપ્રણાલીના જાણકાર લોકો પર આ કેસને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે.
પરિવારનો સામાજિક બહિષ્કાર, માતા-પિતા અને બે ભાઈના મૃત્યુ આ સમગ્ર કેસ ઉત્તરપ્રદેશના લલિતપુર જિલ્લાના મહરૌલી કોટવાલી અંતર્ગત સિલવાં ગામનો છે. વિષ્ણુ પર SC-ST ACT અંતર્ગત કેસ થયા બાદ તેના પરિવારનો સામાજિક બહિષ્કાર થયો. વિષ્ણુના પિતા રામપ્રસાદ તિવારી આ આઘાત સહન કરી ન શકયા અને હૃદયના હુમલાના કારણે મૃત્યુ પામ્યા. વિષ્ણુને દોઢ વર્ષ બાદ પિતાના મૃત્યુના સમાચાર મળ્યા હતા. ત્યાર બાદ વિષ્ણુના બે ભાઈ દિનેશ તિવારી અને રામકિશોર તિવારીના મૃત્યુ થયા અને છેલ્લે વિષ્ણુના માતાનું પણ મૃત્યુ થઈ ગયું. વિષ્ણુના કુટુંબમાં ચાર લોકોના મૃત્યુમાં એક પણ વખતે કોર્ટે તેને પેરોલ આપ્યા નહોતા.
હાઇકોર્ટે કહ્યું, આ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ 28 જાન્યુઆરી 2021ના રોજ જ્યારે ઇલાહાબાદ હાઈકોર્ટે જેલમાંથી દાખલ કરેલી અરજીની સુનાવણી કરી જેમાં વિષ્ણુને SC-ST ACTમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. આ સાથે જ હાઇકોર્ટે ઉત્તરપ્રદેશ સરકારની આકરી ટીકા કરી. ન્યાયમૂર્તિ ડો.કે.જે. ઠાકર અને ગૌતમ ચૌધરીની ડિવિઝન બેંચે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે કે આરોપીએ ગંભીર ગુનો ન કરવા છતાં 20 વર્ષ જેલમાં રહ્યો છે. રાજ્ય સરકારે તેની સજાના 14 વર્ષ પછી પણ મુક્તિના કાયદાને ધ્યાનમાં લીધો નહીં. એટલું જ નહીં, વિષ્ણુ દ્વારા જેલમાંથી દાખલ કરવામાં આવેલી અપીલને પણ 16 વર્ષ પૂરા થયા હતા. કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારના કાયદા સચિવ અને તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને 10 થી 14 વર્ષની કેદ પછી આજીવન કેદની ભલામણો રાજ્ય સરકારને મોકલવા માટે આદેશ આપ્યો છે.