Narendra Giri Case: યોગી સરકારે નરેન્દ્ર ગિરી મોતના કેસમાં CBI તપાસની કરી ભલામણ, સંત સમાજની વિનંતી બાદ લીધો નિર્ણય
યુપી સરકારના ગૃહ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે મહંત નરેન્દ્ર ગિરીના મૃત્યુમાં સીએમ યોગીના આદેશ પર સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી છે.
અખિલ ભારતીય અખાડા પરિષદ (All India Akhara Parishad)ના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરી(Narendra Giri Death Case)એ સોમવારે સાંજે તેમના મઠમાં આત્મહત્યા કરી હતી. પોલીસને મહંત નરેન્દ્ર ગિરીના મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ પણ મળી હતી. જેને પગલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
નરેન્દ્ર ગિરીના મૃત્યુના કેસમાં ઉત્તર પ્રદેશ સરકારે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. યુપી સરકાર વતી અને સંત સમાજની વિનંતી પર આ બાબતની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહંત નરેન્દ્ર ગિરીના મૃત્યુની ઘટનાથી સંત સમાજ આઘાતમાં છે. ત્યારથી તેમના તરફથી આ મામલામાં સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી હતી.
બુધવારે મુખ્ય આરોપી આનંદ ગિરીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આ કેસમાં અત્યાર સુધી પોલીસે મહંત નરેન્દ્ર ગિરીના શિષ્યો આનંદ ગિરી અને આદ્યા તિવારીની ધરપકડ કરી છે. મંગળવારે પ્રયાગરાજ પોલીસે આ કેસમાં SIT ની રચના પણ કરી હતી. જે બાદ બુધવારે એસઆઈટીએ મહંત નરેન્દ્ર ગિરીની સુરક્ષા હેઠળ તૈનાત ચાર ગનરોની પૂછપરછ કરી હતી.
प्रयागराज में अखाड़ा परिषद के अध्यक्ष महन्त नरेन्द्र गिरि जी की दुःखद मृत्यु से जुड़े प्रकरण की मा. मुख्यमंत्री जी के आदेश पर सी.बी.आई. से जाँच कराने की संस्तुति की गई l
— HOME DEPARTMENT UP (@homeupgov) September 22, 2021
નરેન્દ્ર ગિરીના શિષ્ય આનંદ ગિરિની પ્રયાગરાજ પોલીસ લાઇનમાં લગભગ 12 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના મહંતજી સાથે તાજેતરના ભૂતકાળમાં કોઈ પણ પ્રકારનો વિવાદ થયો ન હતો. આનંદ ગિરિએ કહ્યું તેને ફસાવવાના પ્રયાસો ચાલુ છે, તેને નરેન્દ્ર ગિરી કેસ સાથે કોઈ લેવાદેવા નથી.
હકીકતમાં પોલીસને મહંત નરેન્દ્ર ગિરીના મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ મળી હતી. નરેન્દ્ર ગિરીએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે હું દુઃખી થઈને આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. ચિઠ્ઠીમાં આગળ લખ્યું હતું કે મારા મૃત્યુની જવાબદારી આનંદ ગિરી, હનુમાન મંદિરના પૂજારી આદ્યા તિવારી અને સંદીપ તિવારીની છે. હું પ્રયાગરાજનાં પોલીસ વહીવટી અધિકારીઓને વિનંતી કરું છું કે મારા મૃત્યુ માટે જવાબદાર ઉપરોક્ત લોકો સામે પગલાં લેવા. જેથી મારી આત્માને શાંતિ મળે.
બુધવારે મહંત નરેન્દ્ર ગિરીને ભૂમિ સમાધિ આપવામાં આવી હતી. પોતાની સુસાઈડ નોટમાં તેમણે આ સ્થળે ભૂમિ સમાધિ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભૂ સમાધિ દરમિયાન, સાધુને સમાધિમાં બેસાડ્યા પછી જ વિદાય આપવામાં આવે છે. જે મુદ્રામાં તેઓ બેઠા છે તેને સિદ્ધ યોગની મુદ્રા કહેવાય છે. સામાન્ય રીતે સાધકોને આ મુદ્રામાં સમાધિ આપવામાં આવે છે. મહંત નરેન્દ્ર ગિરીને પણ આવી જ સમાધિ આપવામાં આવી છે.
આ દરમિયાન, મોટી સંખ્યામાં એકઠા થયેલા સંતોએ તેમને હાથ જોડીને વિદાય આપી. તે જ સમયે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે પ્રયાગરાજમાં બાગમ્બ્રી મઠ પહોંચીને મહંત નરેન્દ્ર ગિરીને શ્રદ્ધાંજલિ આપી હતી. જે દરમિયાન મુખ્યમંત્રી ભાવુક જોવા મળ્યા હતા. સાથે જ સમાધિ પ્રસંગે સંત સમાજના શિષ્યો અને મહંત ગીરી ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Air Quality Guidelines: WHOએ હવાની ગુણવત્તાને લગતી નવી માર્ગદર્શિકા બહાર પાડી, જેનાથી લાખો લોકોના જીવ બચશે
આ પણ વાંચો : Global COVID-19 Summit: PM મોદીએ કહ્યું ‘બીજી લહેર દરમિયાન વિશ્વ ભારતની સાથે એક પરિવારની જેમ ઊભું રહ્યું’