ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, દેશમાં કોરોના રસીકરણનો આંક પાંચ કરોડને પાર
ભારતે વૈશ્વિક મહામારી કોરોના સામેની જંગમાં નોંધનીય સીમાચિહ્નરૂપ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશમાં કોરોના રસીકરણ અંતર્ગત અત્યાર સુધીમાં આપવામાં આવેલા કુલ ડોઝનો આંકડો 5 કરોડને પાર પહોંચ્યો છે.
ભારતે વૈશ્વિક મહામારી Corona સામેની જંગમાં નોંધનીય સીમાચિહ્નરૂપ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશમાં કોરોના રસીકરણ અંતર્ગત અત્યાર સુધીમાં આપવામાં આવેલા કુલ ડોઝનો આંકડો 5 કરોડને પાર પહોંચ્યો છે. દેશમાં કોરોના અભિયાન અંતર્ગત આરોગ્ય મંત્રાલયના અહેવાલ અનુસાર કુલ 8,23,046 સત્રોનું આયોજન કરીને કુલ 5,08,41,286 લાભાર્થીઓને રસી આપવામાં આવી છે.
આમાં 79,17,521 આરોગ્ય વર્કરોને Corona વેકસિનનો પ્રથમ ડોઝ અને 50,20,695 આરોગ્ય વર્કરોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 83,62,065 ફ્રન્ટ લાઇન વર્કરને પ્રથમ ડોઝ અને 30,88,639 ફ્રન્ટ લાઇન વર્કરને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેમજ 45 વર્ષથી ઉપરના સહ-બીમારી ધરાવતા હોય તેવા 47,01,894 લાભાર્થીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 60 વર્ષથી વધુ ઉંમરના 2,17,50,472 લાભાર્થી સામેલ છે.દેશમાં રસીકરણ કવાયતના 67મા દિવસે એટલે કે 23 માર્ચ 2021 સુધી રસીના કુલ 23,46,692 ડોઝ આપવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાત આ પાંચ રાજ્યોમાં દૈનિક ધોરણે કોવિડના નવા કેસોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. નવા નોંધાયેલા 77.44% કેસ આ રાજ્યોમાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં વધું 47,262 દર્દીઓ સંક્રમિત છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસોમાંથી 81.65% દર્દીઓ છ રાજ્યોમાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે. દેશભરમાં સૌથી વધુ દૈનિક વધારો મહારાષ્ટ્રમાં નોંધાયો છે જ્યાં નવા 28,699 કેસ પોઝિટીવ નોંધાયા છે. તે પછીના ક્રમે, પંજાબમાં વધુ 2,254 અને કર્ણાટકમાં નવા 2,010 કેસ નોંધાયા છે. આઠ રાજ્યોમાં સાપ્તાહિક પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશ 4.11 ટકાની સરખામણીએ વધારે નોંધાયો છે. મહારાષ્ટ્રમાં સાપ્તાહિક પોઝિટીવિટી દર 20.53% નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં 23,907 દર્દીઓ સાજા થયા
ભારતમાં Corona ના કુલ સક્રિય કેસોનું ભારણ મંગળવારે 3,68,457 નોંધાયું છે જે દેશમાં કુલ પોઝિટીવ કેસોમાંથી 3.14% છે. છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસોની સંખ્યામાં 23,080 દર્દીનો વધારો નોંધાયો છે. ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા મંગળવારે 1,12,05,160 નોંધાઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 95.49% નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 23,907 દર્દીઓ સાજા થયા છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 275 દર્દીના મૃત્યુ નોંધાયા છે. નવા નોંધાયેલા મૃત્યુમાંથી 83.27% દર્દીઓ છ રાજ્યોમાંથી હતા. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ મૃત્યુઆંક (132) નોંધાયો છે. ત્યારબાદ, પંજાબમાં છેલ્લા 24 કલાકમાં વધુ 53 જ્યારે છત્તીસગઢમાં વધુ 20 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી
આ દરમ્યાન મોદી સરકારે કોરોના રસીકરણ અંગે મોટો નિર્ણય લીધો છે. હવે દેશમાં 45 વર્ષથી ઉપરના તમામ લોકો કોરોના રસી મેળવી શકે છે. કેબિનેટના આ નિર્ણય અંગે માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના બધા લોકોને કોવિડ -19 વિરોધી રસી મળી શકે છે. અમારી વિનંતી છે કે બધા તાત્કાલિક નોંધણી કરાવે અને રસી મુકાવે. તેમણે કહ્યું કે દેશમાં રસી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. કોરોના રસીની કોઈ અછત નથી.