આસામ પોલીસે બાંગ્લાદેશી આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા બે ‘જેહાદી’ મોડ્યુલનો પર્દાફાશ કર્યો, અત્યાર સુધીમાં 10ની ધરપકડ
આસામ પોલીસે ગુરુવારે બે "જેહાદી" મોડ્યુલનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે. સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે કે 48 કલાકમાં આ કેસમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આસામ (Assam)પોલીસે ગુરુવારે બે “જેહાદી” મોડ્યુલનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે. પોલીસનો દાવો છે કે તેમના વાયર બાંગ્લાદેશના (Bangladesh)આતંકવાદી સંગઠન સાથે સંબંધિત છે. સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે કે 48 કલાકમાં આ કેસમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે એક મોડ્યુલ કથિત રીતે નીચલા આસામના બરપેટાથી અને બીજું મધ્ય આસામના મોરીગાંવ જિલ્લામાંથી ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું. પોલીસના દાવા મુજબ, બંને મોડ્યુલ બાંગ્લાદેશ સ્થિત અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT)ના સંપર્કમાં હતા જે ભારતીય ઉપખંડમાં અલ કાયદાનો ભાગ છે.
ભૂતકાળમાં ઘણી ધરપકડો
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “જેહાદી મોડ્યુલ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને કેન્દ્રીય એજન્સીઓની મદદથી આ શક્ય બન્યું છે. આસામમાં કેટલાક જેહાદી તત્વો છે જેઓ બાંગ્લાદેશના કટ્ટરપંથી જૂથો સાથે સંબંધ ધરાવે છે. આવું એટલા માટે થાય છે કારણ કે રાજ્ય પડોશી બાંગ્લાદેશની નજીક આવેલું છે. જો કે, આ પહેલીવાર નથી કે આસામમાં બાંગ્લાદેશી લિંક ધરાવતા જેહાદીઓની ધરપકડ કરવામાં આવી હોય. અગાઉ પણ માર્ચ અને એપ્રિલ મહિનામાં બારપેટામાંથી બાંગ્લાદેશી નાગરિક સહિત દસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
બારપેટા અને ગુવાહાટીમાંથી ધરપકડ
એડિશનલ ડીજીપી હિરેન નાથે જણાવ્યું હતું કે બુધવારે બોંગાઈગાંવ જિલ્લા પોલીસે ગોલપારામાંથી એબીટી સાથે જોડાયેલા અબ્બાસ અલીની ધરપકડ કરી હતી. અબ્બાસે કથિત રીતે એક બાંગ્લાદેશી જેહાદીને તેના ઘરમાં આશ્રય આપ્યો હતો. અબ્બાસની પૂછપરછ કર્યા પછી, બારપેટાના સાત અને ગુવાહાટીના ત્રણ સહિત અન્ય આઠની ધરપકડ કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું.
એક મદરેસા સંચાલકની પણ ધરપકડ કરવામાં આવી છે
બીજી તરફ, પોલીસે મોરીગાંવના મોઇરાબારીમાંથી મુફ્તી મુસ્તફા અહેમદની ધરપકડ કરી છે જે કથિત રીતે એબીટીના સંપર્કમાં હતો. આરોપી જિલ્લામાં એક મદરેસાના સંચાલક છે – જે તેની ધરપકડ બાદ સીલ કરી દેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મુફ્તી અહેમદ વર્ષ 2020થી જેહાદી જૂથ સાથે સંકળાયેલા બાંગ્લાદેશી નાગરિક પાસેથી પૈસા મેળવી રહ્યો હતો. ADGના દાવા મુજબ, તેણે જાન્યુઆરી 2022 સુધી બે બાંગ્લાદેશી નાગરિકોને પોતાના ઘરમાં આશ્રય પણ આપ્યો હતો.
ADG હિરેન નાથે કહ્યું, “અમે અહેમદના ઘરેથી જેહાદી સાહિત્ય અને કેટલાક વીડિયો ફૂટેજ રિકવર કર્યા છે. તેની સામે મજબૂત તથ્યો છે. તેને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને 12 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. અન્ય લોકો પાસેથી વધુ માહિતી માટે પૂછપરછ ચાલુ છે.”