Twitter જવાબ આપે કેન્દ્રીય મંત્રીનું એકાઉન્ટ કેમ બ્લોક કર્યું, ગૂગલ- ફેસબુક પણ નિયમો પાળે : સંસદીય સ્થાયી સમિતિ
સંસદીય સ્થાયી સમિતિએ ગુગલ અને ફેસબુકના અધિકારીઓને ભારતના આઇટી નિયમોનું પાલન કરવા નિર્દેશ આપ્યો હતો. તેમજ કેન્દ્રીય મંત્રીના ટ્વિટર(Twitter) એકાઉન્ટને બ્લોક કરવા બદલ ટ્વિટર પાસે દિવસમાં જવાબ માંગ્યો છે.
ભારતમાં નવા આઈટી(IT)નિયમોને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને સરકાર વચ્ચે સતત વિવાદ ચાલી રહ્યો છે. આ દરમ્યાન માહિતી અને તકનીકી મંત્રાલયની સંસદીય સ્થાયી સમિતિએ મંગળવારે એક બેઠક બોલાવી હતી. જેમાં સંસદીય સ્થાયી સમિતિએ ગુગલ અને ફેસબુકના અધિકારીઓને ભારતના આઇટી નિયમોનું પાલન કરવા નિર્દેશ આપ્યો હતો. તેમજ કેન્દ્રીય મંત્રીના ટ્વિટર(Twitter) એકાઉન્ટને બ્લોક કરવા ટ્વિટર પાસે દિવસમાં જવાબ માંગ્યો છે.
યુટ્યુબે 95 લાખથી વધુ વિડીયો દૂર કર્યા હતા
આ બેઠકમાં ગૂગલના અધિકારીઓએ સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં સમિતિ સમક્ષ જવાબ રજૂ કર્યો છે. જાન્યુઆરી અને માર્ચ 2021 ની વચ્ચે યુટ્યુબે તેની કોમ્યુનિટી ગાઈડલાઇનના ઉલ્લંઘન કરવા બદલ 95 લાખથી વધુ વિડીયો દૂર કર્યા હતા. તેમાંથી 95 ટકા વિડીયો અગાઉ વ્યકિતના બદલે મશીનો દ્વારા ફ્લેગ કરવામાં આવ્યા હતા. મશીનો દ્વારા શોધી કાઢવામાં આવેલા લોકોમાંથી 27.8 ટકા એક પણ વાર જોવાયા ન હતા.
યુટ્યુબે 1 અબજથી વધુ ટિપ્પણીઓને દૂર કરી
જ્યારે આ ત્રિમાસિક ગાળા દરમ્યાન યુટ્યુબે તેના સમુદાય દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ 22 લાખથી વધુ ચેનલો દૂર કરી દીધી છે. જ્યારે આ જ સમયગાળામાં યુટ્યુબે 1 અબજથી વધુ ટિપ્પણીઓને દૂર કરી જેમાંની મોટાભાગની સ્પામ હતી અને ઓટોમેટિક ઓળખાઈ ગઈ હતી.
મીડિયા પ્લેટફોર્મના દુરૂપયોગને અટકાવવાનો
આ સમિતિ દ્વારા ફેસબુક અને ગુગલના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર આ સમિતિના અધ્યક્ષ છે. આ સમિતિ સમક્ષ ભારતના ફેસબુકના જાહેર નીતિ નિર્દેશક શિવનાથ ઠુકરાલ અને જનરલ કાઉન્સેલ નમ્રતા સિંહે વાત કરી હતી. સંસદીય સમિતિની બેઠકનો એજન્ડા નાગરિકોના હકોનું રક્ષણ કરવા અને સોશિયલ મીડિયા / ઓનલાઇન ન્યૂઝ મીડિયા પ્લેટફોર્મના દુરૂપયોગને અટકાવવાનો હતો.
ટ્વિટર પાસે બે દિવસમાં માંગ્યો જવાબ
સંસદીય સમિતિએ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદના એકાઉન્ટને બ્લોક કરવા બદલ બે દિવસની અંદર ટ્વિટર (Twitter)પાસે જવાબ માંગ્યો છે.આ સમગ્ર ઘટના ક્રમમાં ટ્વિટર દ્વારા 25 જૂનના રોજ સવારે એક કલાક માટે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ બ્લોક કરાયું હતું. રવિશંકર પ્રસાદે ટ્વિટરની આ કાર્યવાહી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આની પાછળનું કારણ જણાવતા ટ્વિટરએ કહ્યું કે કેન્દ્રીય મંત્રીએ અમેરિકાના ડિજિટલ મિલેનિયમ કોપીરાઇટ એક્ટનું ઉલ્લંઘન કર્યું છે. જો કે બાદમાં ટ્વિટર(Twitter)એ ચેતવણી સાથે રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ ફરીથી અનબ્લોક કર્યું હતું.